Final Chapter: THE DEVI



Chapter 2: Rise of Manragini

૭ વર્ષ અને ૭ માસ બાદ,

"અરજણ... એ... અરજણ (થોડીવાર પછી) ઘડી આ પા' આય ભઈ, આ દેતવા તપવ,'ને હોકો બનાવ." ચારપાઈ પર બે ઓશીકાની બેડી વાળતા શમાજી બોલ્યા. જવાબ ન આવતા તે ફરીથી બોલ્યા: "એલા પભા...!!!" ઓશીકા પર કોણીનો ટેકો દઈ પગ પર પગ ચઢાવી શમાજી ચારપાઈ પર બિરાજમાન થયા.

"એલા કોઈ હાંભાળ સ? કે કોનમાં પૂમડા ઘાલ્યા સ?" ઘડીવાર શાંતિ જળવાઈ રહી થોડીવાર રહી એક અસવાર ડેલીમાં પેસ્યો, ઘોડા પરથી નીચે ઉતરી તે લગામ પકડી તબેલામાં પેંઠો. એ પભો હતો. થોડીવાર બાદ તે તબેલાની બ્હાર આવ્યો. તે ધોતી પર થી માટી ખંખેરતો શમાજી પાસે આવ્યો. "જે મા બાપુ!" કે'તા તેણે શમાજીને પ્રણામ કર્યા.
"એલા, હવારનો ગ્યો તો, છેક અત્યાર તૈણ વાગે ચારો લઈને આવ સ. ચ્યાં જયો તો?"
"અરે બાપુ, ધારોડી હી આગર નદીનું પોણી ઉભરાયું'તુને તે રોડ નરો કાદવ કાદવ થઈ ગ્યો સ... તે છેક આમ ઘૂમીને આવવું પડયુ."
"બે ઘેલા, તારો ડોહો માહ(મેહ) મહિનામાં ચમનો કાદવ થઈ જયો?"
"અરે બાપુ... (જમીન પર બે પગ પર બેશી) તઈ પેલા સરકારી હોફિસરો કેનાલનું કોમ કર સ એટલે રોડ કાદવ વારો થ્યો સ."
"એમ..."
"હોવ.. રાઘજીને મેં ત્યાં જોયો'તો, હોફિસરોની હારે વાતો કરતો'તો જાણે ઇમનો વેવાઈ નો હોય...!"
"તુ દેતવા તપવ, હોકો ઠરી પડ્યો સ. બનાઈ જલ્દી."
"હો બાપુ." કહેતા તે અંદર દેતવા તપવવા ગયો.

શમાજી મનમાં વિચારવા લાગ્યા: ‘કાલ રાતે બેઠા હતા રાઘજી હાચુ બોલ્યો કે કેનાલનું કોમ ચાલુ કરશે. એક વરહ જ બાકી સ ચૂંટણીને, એની ચૂંટાવાની તક જાજી સ, આ ફેરી તો ના જીતવા દઉં, ગમે તે થાય મારે જ બનવું સ સરપંચ!
"એલા પભા ત્યાં બીજું શું જોયું તે?"

"પાસરના વાહના બધા આદમીઓને ત્યાં મજૂરીએ રાખ્યા સ, શકરો ત્યાં કોમ કરતો'તો મેં પૂસ્યું ચેટલી દાડી(પગાર) આલ સ તો કે' દા'ડાના(દિવસના) પોંચ(૫) રૂપિયા." પભો બોલ્યો. એ ફૂંકરણી વડે દેતવા તપવવામાં મશગુલ થઈ ગયો અને શમાજી વિચારવામાં મશગુલ થઈ ગયા: કેનાલનું કોમ, ગામના માણસોને દાડીએ રાખીને બધાને પોતાની બાજુ કરવાની હારી ચાલ રમ્યો સ રાઘજી. હુક્કો લઈ પભો આવ્યો. શમાજી મૂછોને મરકાવતા એકી ટશે જાડ પરની લીંબોડિયું તરફ જોઈ રહ્યા હતા.

"લો બાપુ, લગાવો...!" કહેતા તેણે શમાજી આગળ હુક્કો ધર્યો.
"તુ એક-બે દમ માર." કહેતા શમાજી ચારપાઈ પર આડા થયા.
"પભા...રાઘજી હારી રમત રમ્યો સ આ ફેરી...કઈક વિચારવુ પડશે, હું કરું કાઇ હમજણ નય પડતી." પભાએ શમાજીને હુક્કાની પાઇપ આપી અને પોતે તમાકુ બનાવા લાગ્યો.
"હાચી વાત, ગયા વરહથી એણે ગોમના શોકરાઓને બાજુના ગોમ નેહાર ભણતા કરી દીધા, એ પસી વાહના આદમીઓને દાડિએ રાખીને તો બધાના મનમાં તો વખણાઇ ગયો હશે એ." તમાકુ પર જાડો ચૂનો લગાવતા પભો બોલ્યો.

હુક્કાનો બડ-બડ અવાજ ચાલતો રહ્યો. શમાજીના વિચારોમાં નશો ચઢવા લાગ્યો. પભાએ મોઢામાં તમાકુ ભરાવી. ઘરની પાછળ વાસણ માંજતી મનુ ગીત ગાઈ રહી હતી:(પંક્તિ)     "સોઈ નર હાંફીને આજ ઊભો,
    ઘટડામાં ઘડે એક મનસૂબો:
    ધણ રે બોલે ને એરણ સાંભળે હો...જી"

શમાજી અને પભો તે સાંભળી શકતા હતા. તેમનુ ધ્યાન બે ઘડી એ તરફ ગયુ. ત્યારબાદ શમાજી બોલ્યા: "પભા... હું કરુ કાઇ ખબર નય પડતી." હાથ ખંખેરતા પભો બોલ્યો: "બાપુ ઇક ઉપાય સ ઇનો, તમે થોડુ પૈસા હામુ ના જોવો અન હું કવ એમ કરો તો લોકોમાં પાસા આવી અકાય."
"ઇમ... બોલ જોય તારો ઉપાય." કહેતા શમાજીએ હુક્કો ગડગડાવ્યો.
"પાછા કુંવર બની જાવ..." પભો ઊભો થયો.
"હેં...???"
"સવાર સાંજ ગોમમાં જમીનદારની જેમ લટાર મારવા નીકરો, ગોમમાં હાલતા-ચાલતા પૂસો બધાને હું તકલીફ સ!(તમાકુ થૂકી) મદદ કરો લોકોની 'ને જેને જરૂર હોય એને વગર વ્યાજે પૈસા આલો... આવું કાઇક કરો તો લોકોમાં પાસા આવી અકાય... થોડાક રૂપીયા જાહે પણ તમારૂ માન વધી જશે."
"વો(સારુ)...!"કહી શમાજી પાછા વિચારોમાં પરોવાયા.

વાંસણ માંજીને મનુ ગીત ગાતાં-ગાતાં ઓસરી એ આવી. શમાજીને જોતા તેના ગીતનો અવાજ માખીઓના ગણગણાટમાં ફેરવાઈ ગયો. મો નીચે કરી તે પોતાના ઘર તરફ ચાલવા લાગી.

"મનુડી..."હુક્કાનો દમ ખેંચી શમાજી બોલ્યા.
"જી બાપુ." મનુ પાછી વળી.
"આંય આય મનુડી...(મનુ શમાજી બેઠા હતા એ તરફ આવી) શું કરે સ દેવો?" શમાજી બોલ્યા.
"એ ખેતરે શિવાભાઈ હારે ગીયો સ, ઇમને ત્યાં દાડિયાની જરૂર હતી તે..." મનુ જમીન પર ઊભા પગે બેશી.
"સારું, સારું. કાઇ કોમ પડે તો આવજે મારી પાંહે, કાઇ જોઈતું કરતુ હોય તો."
"વો બાપુ, એકાદ તપેલી મગ આલ્યા હોત તો બે-ત્રણ દા'ડા ખિચડી થાત."
"હા, હા કેમ નહીં? વોવને કે' ઇ આલશે, જા અંદર."
"વો બાપુ, હું તપેલી લેતી આવુ." કહી મનુ જતી રહી.
"વાહ બાપુ... ઘરેથી જ શરૂવાત! ખરુ ખરુ હોં!!!" પભો બોલ્યો. શમાજીએ કૃત્રિમ સ્મિત આપ્યુ.

શમાજી સાંજે લટાર મારવા માટે જમીનદારની જેમ તૈયાર થયા. ભૂખરા રંગની શાલ ઓઢી, એક હાથમાં ચીલમની પાઇપ લીધી અને બીજા હાથમાં લાકડી પકડી, મોગરાના અત્તરની ખુશ્બુ વેરતા વેરતા શમાજી ગામની ગલીઓમાં ટહેલવા લાગ્યા. ગ્રામજનો અચંબિત અને હળવા ગભરાટથી તેમની સામે જોતા. કો'ક બે જણ ખાલી "જે મા બાપુ!" કહી બનાવટી આવકાર આપ્તા તો બીજા કો'ક બે જણ બેઠા-બેઠા અનુમાન લગાવતા કે શમાજી કેમ આ બાજુ આવ્યા. પીપળાની નીચે ૪-૫ ડોશાઓ બેઠા હતા. શમાજી એ તરફ ગયા.
"એ આવો આવો બાપુ, બોવ દા'ડે દેખાણા આ બાજુ." એક ડોશો રામ-રામ કરતા બોલ્યો.
"હા ભઈ, મને થયુ કે હાલો બધા ડેલામાં થતો જાવ, બધે હાજુ-હુજુ સ કે નહીં  જોતો આવુ."
"એ હારુ કર્યું બાપા...બેશો આયાં" એક ડોશાએ ઓટલા પર જગા કરી આપી.

વૃદ્ધો સાથે શમાજી ૨૦-૨૫ મિનટ બેઠા, એમને બધાને પૂછી પણ જોયુ કે કોઇ તકલીફ, કશુ જોઈતુ કરતુ હોય તો. શમાજી પહેલીવાર આવ્યા હતા. કોઈ કઈ પ્રશ્ન કે સમસ્યા લાવ્યુ નહીં. એમના એમ શમાજી ઘરે પાછા આવ્યા. ઘરે જતા વચ્ચે અરજણનુ ઘર આવતુ. તેના ઘરની બ્હાર ઊભા રહી જોયુ. અંદર ઘરમાં ખૂબ જ અંધારુ હતું. સૂર્યાસ્ત થઈ ગયો હતો માટે કઈ દેખાતુ ન હતું. શમાજી ઘરે પાછા ગયા.

બીજે દિવસે સવારે શમાજી ફરીથી લટાર મારવા નીકળી પડ્યા. આગળના વાસની પહેલી ડેલીએ ઊભા રહ્યા:"લખી વહુ...ઑ લખી વહુ!" કોઈ જવાબ ન આવતા લાકડી વડે ડેલીનો દરવાજો ખખડાવ્યો. અંદરથી એક સ્ત્રીનો અવાજ આવ્યો:"એ કુણ સ?" કહેતા એક સ્ત્રી તેના છ વર્ષના બાળક સાથે બ્હાર આવી. શમાજીને જોતા એણે લાજ કાઢી:"જે મા બાપુ." કહી દૂરથી પગે લાગવાની ચેષ્ટા કરી.
"વો વહુ, કાલ હાંજે ચૂલો કેમ ન'તો થયો?"
"મારા એ... બીજા ગોમ ગયા સ, લીંપણ કરવા... આજે આવશે એટલે હાંજે થશે."
"અરજણ તો કે'તોય નથી બીજે ગોમ કોમ કરવા જાય સ, આજ આવવાનુ કીધુ સ?"
"ના, પણ આવી જશે ને કાલ હવારના ગ્યા સ તે..."
"એવું ના હોય વહુ, બીજા ગોમ જયો હોય તો એ ચાર દા'ડે ય આવે. આ લો આ પાંચ આના છે, શાકભાજી લઈ આવજો, લાકડા લેવા જાવાનો છો ને?"
"હા."
"સારુ. ઘાંસતેલ આપણા ઘેરેથી લેતા જજો."
"એ ઘણી ખમ્મા બાપુ." કહી તેણે તેના બાળકને શમાજી પાસે મોકલ્યો: "જા, બાપુ પૈસા આલે."

છ વર્ષનો છોકરો ડગમગ પગે શમાજી પાસે આવ્યો. શમાજીએ બાળકના હાથમાં પૈસા મુકયા. પાંચ આના લઈ એણે એની મા ના હાથમાં મુકયા. શમાજી આગળ ચાલતા થયા. આવી રીતે બીજા ત્રણ દિવસ વિત્યા પરંતુ ગામવાળા હરફ ન બોલ્યા. લોકો તેમને આવકારતા, જોડે બેશતા, ચા-પાણીનુ પૂછતાં પણ કોઈ સમસ્યા કે પ્રશ્ન લાવતુ નહીં. કંટાળીને શમાજીએ આંટા મારવાનુ બંધ કર્યુ.

એક દિવસ મનુ શમાજીના ત્યાં વાસણ ઘસી પોતાના ઘરે જઇ રહી હતી ત્યાં શમાજીએ તેને બોલાવી.
"જી બાપુ, બોલો." મનુ બોલી.
"રોજ કોના કોના ઘેર વાહણ ગહવા(ઘસવા) જાશ?"
"જોવો ની પાસરના ડેલામાં મંગળાભાઈના ત્યાં, એમની બાજુમાં સઘીબુનના ત્યાં, તમારા ત્યાં અને રાઘજીબાપુના ત્યાં." નીચે જમીન પર ઊભા પગે બેશતા મનુ બોલી.

રાઘજી નામ સાંભળતા શમાજીના લોહીમાં ઉકળાટ મચી ગયો.
"એમ. ખાલી વાહણ જ કરે સે કે કચરા-પોતું પણ?"
"ખાલી રાઘજીબાપુના ત્યાં કચરા-પોતુ હોય, ક્યારેક કપડા ધોઈ આવુ."
"ક્યાં હુધી આમ ને આમ હાલશે? ક્યાં હુધી તુ આવુ બધુ કરીશ મનુડી? તારી તો ઉંમર પણ જતી રહી પરણવાની, આખી જિંદગી બસ આ જ કર્યા કરીશ?"
મનુ સહેજ ભોંઠી પડી: "જી બાપુ, મારા ભાઈ માટે કરુ સુ હું, એક વાર દેવો પગ ભર થઈ જાય પછી મારે નિરાંત."
"દેવો મોટો થશે ત્યારે તન હાચવશે કે એના બૈરી સોકરાન? (થોડીવાર રહી) એક કોમ કર, એક બરદ ખરીદી લે, તારે એનુ ગાડુ બનાવુ હોય તો એ બનાવીને તુ ગુજરાન કરી હકે, એના પોદરામાંહી તુ છાણા થાપીને વેચે તોયે ય ઘણુ કમાઈ હકે અથવા તો ખેતર ખેડવા આલી દેવાનો દાડિયાઓને જે બે-પાંચ આના આયા ઇ હાચા."
"વાત તો હાચી તમારી પણ મારી પાંહે ચ્યોંહી હોય એટલા પૈસા?"
"લે ગોંડી, પૈસા હામું નો જો અત્યાર એકવાર બરદ લઈ લે, પસી કમાણી જ કમાણી."
"પણ બાપુ મારી પાંહે એટલા બધા પૈસા નહીં." સંકોચ સાથે મનુ બોલી. થોડીવાર પછી શમાજી બોલ્યા: "એમાં હું વળી, હુ તન લોન કરાઇ આલુ, તુ મારી ભેગુ મોટા શે'ર આવજે."

મનુ વિચારવા લાગી. શમાજી હુક્કો ગગડાવતા લાગ્યા: "બોવ વિચારે નય, આવી તક બીજી વાર નય મળે, ૫૫૦૦ રૂપિયાની લોન કરાવી આપુ, તુ એ પસી બરદ લઈન, કમાઈને હપ્તા ભર્યા કરજે. (થોડીવાર પછી) હપ્તા ભરાઈ જાય પસી તાર કોઈ ચિંતા ખરી? નરી કમાણી જ કમાણી સ આમાં" મનુ ચુપચાપ વિચારતી રહી. શમાજી ફરી હુક્કો ગગડાવતા બોલ્યા: "બોલ હવે, હું કરવું સ?"
"હો બાપુ...તમે ક્યો ઇમ, કરી આલો લોન, હું ભરીશ હપ્તા."

શમાજી ચારપાઈ પર બેઠા થયા:"જો મનુડી, દર મહિને ટેમ સર હપ્તા ભરવા પડશે, નહીં ભરુ તો પોલીસ વારા તન ઉપાડી જશે... તુ ભરી હકે હપ્તા?" બે ઘડી મનુ વિચાર્યા બાદ બોલી: "હવ બાપુ, મું ભરી દઇશ." શમાજી મરક મરક હસવા લાગ્યા: "હારુ, હું પરમ દા'ડે શે'ર જવાનો સુ, તુ આવજે મારી ભેગુ."

ત્યારબાદ શમાજી મનુને શહેર લઈ ગયા. તેને બળદ માટેની લોન અપાવી. ૫૦૦રૂ. ડિપોઝિટ શમાજીએ પોતાના પૈસે ભરી. લોન લીધાના ત્રણ દિવસ પછી શમાજીએ મનુને બળદ લઈ આપ્યો.

મનુનો બળદ તેને સારી કમાણી કરી આપતો હતો. મનુ છાણા વેચતી અને સવાર-સાંજ બળદગાડુ ફેરવતી. મનુના ભાઈ દેવાને છાણાં થાપવુ ખૂબ ગમતુ, છાણાં થાપવાનો સમય થાય એટલે તરત તે મનુને મદદ કરવા આવી જતો. ઘણીવાર દેવો મનુને છાણાં થાપવાનું યાદ અપાવતો. તે સાથે મનુ લોકોના ત્યાં વાસણ ઘસવા અને કપડાં-પોતુ કરવા પણ જતી. એમાંથી તેનુ ગુજરાન ચાલી જતુ. તદઉપરાંત તે પૈસા ભેગા કરતી અને લોન પણ ભરતી. 

મનુની પરિસ્થિતી સુધરી હતી. તેણે નવેસરથી ઘરને લીંપણ કરાવ્યુ. ભીંત પર માટી રંગાવી કચ્છી ભાત પાડી. તેણે ઘરની ઉપર પાકા નળિયા નખાવ્યા. દર મહિને મનુ શમાજીને તેમના ઘરે લોનના હપ્તાના પૈસા આપી આવતી. શમાજી શહેર જાય ત્યારે હપ્તો ભરી આવતા. આવી રીતે દિવસો વિતતા ગયા.

એક દિવસ હરરોજની જેમ મનુ સવારે ૭ વાગતા તેના બળદને ચારો નાખતી આવી. ખુશનુમા વાતાવરણ હતું. તેનો બળદ સૂઈ રહ્યો હતો. આજે શમાજીના ઘરે મનુએ હપ્તાના પૈસા આપવા જવાનુ હતું. સવારના ૧૧ વાગ્યા. મનુ નાહી ધોઈને ગાડુ બાંધવાની તૈયારી કરી રહી હતી. મનુનો બળદ હજુ પણ સૂઈ રહ્યો હતો. તેના મોઢામાંથી લાળ નીકળી રહી હતી. મનુએ તેને ઢંઢોળયો, તેના પર પાણી છાંટ્યુ પરંતુ તે ઊભો ન થયો. મનુને થયુ આજે ગાડુ નથી બાંધવુ, એક દિવસ આરામ. તેના બળદે ચારો ન ખાધો. એ દિવસે તેનો બળદ જેમ હતો એમનો એમ આખો દિવસ પડ્યો રહ્યો. રાત્રે દેવો તેને ચારો નાખી આવ્યો.

બીજે દિવસે સવારે મનુ બળદ માટે ચારો લઈ ગઈ. મનુએ જોયુ કે ગઈ કાલનો ચારો હજુ એમનો એમ જ હતો, બળદે ખાધો ન હતો. એની આંખો હજુ બંધ હતી. મનુએ તેને પંપાળયો. તેના મોઢામાંથી લાળ નીકળી હતી તે સુકાઈ ગઇ હતી. મનુએ તેના મોઢા પર પાણી છાંટ્યુ પરંતુ તે ન ઊભો થયો. તેનો બળદ મરી ગયો હતો. મનુ તેના બળદને બથ ભરીને રડવા લાગી. એના રુદનની કિકિયારીથી વાડો આખો ગાજી ઉઠયો. અરસપરસના લોકો ભેગા થઈ ગયા, શું થયુ છે તે જોવા આવી ગયા.

મનુના ભાઈએ તેને છાની રાખી, તેને ઊભી કરી ઓસરીમાં લઈ આવ્યો. મનુને પ્યાલામાં પાણી આપ્યુ. ધીમે ધીમે લોકો આશ્વાસન આપી છૂટા થવા લાગ્યા. મનુ હાથ-મો ધોઈ શમાજીના ઘરે ગઈ. શમાજીના ઘરેથી જાણવા મળ્યુ કે તેમણે શહેર ગયા છે. મનુ શમાજીને મળવા શહેર જવાનુ નક્કી કર્યુ. તે ત્યાંથી ધોરીમાર્ગ સુધીના પાકા રોડ સુધી ચાલતી ગઈ અને ત્યારબાદ છકડામાં બેશી શહેર જવા માટે નીકળી. રસ્તામાં યાદ કરવા લાગી, અત્યાર સુધીમાં ૨૫૦૦રૂ. તેણે લોનના ભર્યા હતા. બીજા ૨૫૦૦ લોનના અને ૫૦૦રૂ. શમાજીને ડિપોઝિટના આપવાના નીકળતા હતા. તે વ્યાકુળ બની ગઈ.

રસ્તામાં એક જગ્યાએ ચા-પાણી કરવા છકડો ઊભો રહ્યો. છકડાવાળાને ઓચિંતુ કઈક કામ આવી જતા તે હોટલ પરથી જ પાછો વળ્યો. મનુ વિચારવા લાગી કેવી રીતે હવે શહેર જવુ? કોઈ વાહન શહેર તરફ જતુ દેખાયું નહીં. તેથી તેણે શહેર તરફ ચાલવાનુ શરૂ કર્યું. ત્રણ-ચાર કી.મી. કાપતા શહેર તરફથી એક બળદગાડુ આવતુ દેખાયુ. તેમાં શમાજી બેઠા હતા. મનુને જોતા તેમણે ગાડુ ઊભુ રખાવ્યુ. મનુએ સમગ્ર વાત તેમને જણાવી. તે રડવા લાગી. શમાજીએ તેને છાની રાખી. મનુએ શમાજી પાસે પૈસા માંગ્યા. "મનુડી એટલા પૈસા મારી પાંહે નથી. તારે હપ્તા ભરવા જ પડશે." શમાજી બોલ્યા. "ચાલ, ચાલ ગામ ચાલ, ત્યાં જઈન કઈક વિચારીએ." મનુને શાંત રાખતા શમાજી બોલ્યા. મનુ ચોધાર રડવા લાગી, તે ગામ પાછી ન ગઈ.

તે આંસુ લૂછતાં શહેર તરફ ચાલવા લાગી. શમાજીએ તેને ઊભી રાખવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ન ઊભી રહી. થાકીને શમાજી ગાડામાં બેશી જતા રહ્યા. થોડું અંતર કાપી મનુ થાકી ગઈ. હજુ ૨૦ કી.મી. શહેર દૂર હતું. રોડની બાજુમાં એક પાકી ઇમારત હતી. એ ઇમારત મનુને વિચિત્ર લાગી. કોઈ બારી નહીં, ધાબુ નહીં. ત્રણ માળ જેટલી ઊંચી અને લાંબી દીવાલ છેક સુધી પથરાયેલી હતી. દીવાલ પર તાર અને કાચની વાડ કરાવેલી હતી. રોડના છેડે મનુ હતાશ થઈ બેશી ગઈ. મોઢું નીચું રાખી તે રડવા લાગી. 

તે ઇમારતના મોટા લોખંડના દરવાજાના ઝાંપામાંથી કાળો કોટ પહેરેલો એક માણસ બ્હાર આવ્યો. ઝાંપો ઊઘડવાનો અવાજ આવતા મનુએ પાછળ ફરી એ તરફ જોયુ. તે માણસ ઝાંપાએ ઊભો રહી અંદર કોઈકની સાથે વાત કરી રહ્યો હતો. થોડીવાર બાદ કોટવાળો માણસ ત્યાંથી તેની ગાડી તરફ જવા લાગ્યો. મનુ નિરાંશ થઈ હજુ રડી રહી હતી. તે કોટવાળા માણસનુ તેના પર ધ્યાન ગયુ. મનુ બેઠી હતી એ તરફ તે આવ્યો: "એ લડકી કોન હૈ તુ?" કોટવાળો માણસ બોલ્યો.

મનુએ તેની સામે જોયુ. મનુની આંખોમાં આંસુ અને ચહેરા પર લાચારી દેખાઈ રહી હતી. "રો ક્યું રહી હૈ લડકી?" મનુ કશુ બોલી ન શકી. કોટવાળા માણસે હવાલદારને બૂમ મારી: "હવાલદાર, એક પાની કી બોતલ દેના..." પ્રતિઉત્તર આવ્યો: "જી સા'બ." હવાલદાર પાણીની બોટલ લઈને આવ્યો. કોટવાળા માણસે મનુને પાણી આપતા પૂછ્યુ: "રો ક્યુ રહી હે લડકી, કુછ બતાયેગી ભી યા નહીં?" મનુના ગળામાં ડચૂરો બંધાયો. પાણી પી ને તે બોલી: "મુજે હિન્દી નથી આવડતા હે."

આ સાંભળીને કોટવાળો માણસ હસ્યો, એમને જોઈ હવાલદાર પણ હસવા લાગ્યો. એ માણસ બોલ્યો: "ગુજરાતી તો આવડતા હે ના, ગુજરાતી મેં બોલ, મેં ગુજરાતી સમજુ છુ." મનુને આ નવા માણસ પર વિશ્વાસ ન હતો બેશ્તો પરંતુ એને વાત જણાવ્યા સીવાય બીજો કોઈ શ્રેષ્ઠ વિકલ્પ લાગ્યો નહીં માટે સમગ્ર વાત તે વ્યક્તિને કરી.

"અચ્છા...અચ્છા, બહોત તકલીફમેં હો લડકી, મેં તેરી મદદ કર શકતા હું, લેકીન ઉશકે બદલેમેં તુજે મેરા એક કામ કરના પડેગા." કોટવાળા માણસે સિગારેટના પાકીટમાંથી એક સિગારેટ કાઢી મોઢામાં મુક્તા કહ્યુ.
"સાહેબ તમે ક્યો ઇ બધુ કરવા હું તૈયાર છુ, બસ મારી લોન ચૂકવી આપોને."
"ઠીક હૈ, તેરે લીયે મેરે પાસ એક કામ હૈ, તુ થોડી દેર ઇધર બેઠ મેં અભી આતા હું પાંચ મિનિટમેં..." કહેતા કોટવાળો માણસ તેની ગાડીમાં ટાઈપિસ્ટ બેઠો હતો તેને લઈને ઇમારતમાં ગયો. 

મનુને એમ લાગતુ હતું કે જો એ લોનનો હપ્તો નહીં ભરે તો પોલીસ તેને લઈ જશે. આ કોટવાળા માણસ પાસે તેના માટે કઈક કામ છે તે જાણી મનુની આશા જીવંત થઈ, તેને લાગ્યું કે હવે તેની લોન ભરાઈ જશે, તે રાજી થઈ ગઈ. થોડીવાર પછી કોટવાળો માણસ પાછો આવ્યો. એ માણસ વકીલ હતો. તેના ડાબા હાથમાં બે-ચાર ફાઇલ હતી અને બીજા હાથમાં એક કાગળ હતો. તે મનુ પાસે આવ્યા અને હવાલદારને દૂર જવા કહ્યુ. મનુને ઓફર આપતા કહ્યુ:
"સુન લડકી, મેરા એક દોસ્ત હૈ સલીમ. વો થોડી દૈર બ્હાર ઘૂમના ચાહતા હૈ, તુ થોડે દિન ઉસકી જગહ પે ઇસ જેલમેં રહેગી તો તેરી લોન કે પૈસે વો ભર દેગા."
"પણ સાહેબ હુ તો છોકરી છુ. હું કેવી રીતે એની જગ્યા લઉં?
"લડકી યહાં પે કોઈ દેખને નહીં આતા હૈ, તુજે સીર્ફ રજીસ્ટરમેં હર હફ્તે અંગુઠા લગાના હૈ, બાકી કુછ નહીં કરના હૈ, તુજે ખાના-પીના સબકુછ અંદર મીલ જાયેગા. ટેંસન કી કોઈ બાત નહીં હૈ, અબ તુ ડિસાઈડ કર તુજે ક્યા કરના હૈ."
"પણ સા'બ મારો એક નાનો ભાઈ છે ગામડે, મારા સીવાય કોઈ નથી એનુ, હુ એને એકલો ના મૂકી શકુ."
"તેરે ભાઈ કો મેં સંભાલ લૂંગા, તુ ઉસકી ચિંતા મત કર."
મનુ વિચારવા લાગી, તે બોલી: "કેટલા દિવસ મારે જેલમાં રહેવું પડશે?"
"૩૦, ૨૫ દીનમેં મે તુજે બ્હાર નિકલવા દૂંગા." આ સાંભળી મનુ ખૂબ જ ગંભીર થઈ ગઈ.
"વિશ્વાસ કર મેરી બાત પે, તુજે જલ્દી સે જલ્દી મે છૂડવા દૂંગા ઓર તેરી લોન મે ભરવા દૂંગા."

મનુ મૂંઝાઇ ગઈ હતી. શું કરવુ તેને સમજ ન પડી. એક તરફ લોનનો બોજ હતો તો બીજી તરફ જેલ. આ અજાણ્યા માણસની વાતનો વિશ્વાસ કરવો કે કેમ? મનુ માટે એ પ્રશ્ન હતો. લોન ભરવાનો બીજો કોઈ ઉપાય તેની પાસે હતો નહીં. વકીલને લાગ્યું મનુ તેની વાત નહીં માને માટે તેમણે મનુ આગળ પૈસાની ઓફર મુકવાનુ વિચાર્યુ. વકીલ ઓફર મૂકવા જ જતાં હતા, તે પહેલા મનુ બોલી ગઈ:
"સારુ સા'બ, રહી લઇશ હું જેલમાં પણ મારા ભાઈને સાચવશોને?"
વકીલને થોડી નિરાંત થઈ તેમણે બોલ્યા: "હા."
"અને મારી લોન...?"
"વો મે દેખ લુંગા, ચિંતા મત કર."
"સારું." મનુ બોલી.

વકીલ જે કાગળ લાવ્યા હતા, એના પર મનુનો અંગુઠો લેવડાવ્યો. બાદ હવાલદારને બોલાવ્યો. તેમણે હવાલદાર સાથે દૂર જઈ વાત કરી: "ઇસ લડકી કો આજ કે દિન જેલર કી કેબિન કે બ્હાર બીઠા, પુને સે નયા જેલર આને વાલા હે, હી વિલ કમ બિફોર ધી ડોન (એ વહેલા પરોઢ પહેલા આવી જશે) મેં શામ તક વાપીશ આતા હું." કહી વકીલ તેમના ટાઈપિસ્ટ સાથે ગાડીમાં નીકળી ગયા.
"ઓકે સાહેબ." કહી હવાલદાર મનુને અંદર લઈ ગયો. 

આખી બપોર મનુને જેલરની કેબિન બ્હાર બેસાડવામાં આવી. જેલનુ આખુ તંત્ર (ખાલી નામ પુરતુ) એલન પેટ્રિક જેલરની નિગરાની હેઠળ ચાલતુ. બાકી તો હવાલદાર તેજસ ઉપાધ્યાય અને વકીલ ફીરોઝ ઇબ્રાહિમ સંભાળતા. હવાલદાર ઉપાધ્યાય અને ઇબ્રાહિમ વકીલ જેલની અંદર સજા કાપી રહેલા ક્રાંતિકારીઓને જરૂરી માહિતી અને જોઈતી સામગ્રી પૂરી પાડતા. એલન પેટ્રિકની બદલી પૂણેની યેરવડા જેલમાં થઈ હતી. તે પુણે જવા માટે નીકળી ગયા હતા. આજનો દિવસ વડોદરા સેંટ્રલ જેલમાં કોઈ જેલર કે અધિકારી હતું નહીં. આવતીકાલ સવારે જોસેફ વીંકલર જેલરનો હોદ્દો સંભાળવાના હતા. આજે સાંજે લાહોર જેલથી ૧૬ કેદીઓ વડોદરા સેંટ્રલ જેલ આવવાના હતા. જેમાંનો એક કેદી સલીમ મોમીન હતો.

સલીમ મોમીને ૧૯૨૯માં વિધાનસભામાં થયેલા બોમ્બ-બ્લાસ્ટ અને અંગ્રેજ અફસર જ્હોન સોંડર્સનના ખૂનમાં ભગતસિંહ અને બટુકેશ્વર દત્ત સાથે વિશેષ ભૂમિકા ભજવી હતી. પેશાથી સલીમ લુહાર હતો. ફક્ત તે જ સાઈકલના સ્પેરપાર્ટસ અને ધાતુની નળીમાંથી બંદૂક બનાવી શકતો. તદુપરાંત તેને ઘરેલુ વપરાશની ચીજોમાંથી ગ્રીનેડ અને સ્મોક બોમ્બ બનાવતા પણ આવડતુ. સાબુ, ગ્લીશરીન, સેનિટાઇઝર જેવી ચીજોમાંથી તે વિસ્ફોટક પદાર્થ બનાવતો. વિધાનસભાના બોમ્બ ધડાકામાં જે બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બોમ્બ સલીમે બનાવ્યો હતો. જ્હોન સોંડર્સનની ખુલેઆમ હત્યા, એ પછી વિધાનસભામાં થયેલા ધડાકા બાદ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ થઈ હતી. હુમલો કરનાર ત્રણેય આરોપીઓને પકડવામાં આવ્યા. બોમ્બ બનાવનારનુ પગેરુ અંગ્રેજોને ઝડપી પાડતા વધુ સમય ન લાગ્યો. ત્રણ વર્ષ પછી આજે છેક તે કેસનો ચુકાદો આવ્યો હતો. 

૨૩માર્ચ ૧૯૩૧: બટુકેશ્વર દત્ત, ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી થઈ, સલીમ મોમીનને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી. આજે લાહોર જેલથી સલીમ મોમીનને વડોદરા સેંટ્રલ જેલ લાવવામાં આવવાનો હતો. છ અઠવાડીયા સુધી સલીમને વડોદરા જેલમાં રાખવામાં આવવાનો હતો; ત્યારબાદ તેને કાયમ માટે અંદમાન જેલમાં રાખવાનો હતો. આજે સૌ ક્રાંતિકારીઓને સલીમ મોમીનની આગેવાનીની જરૂર ઊભી થઈ હતી. ઇબ્રાહિમ વકીલ સલીમને છોડાવા મથામણ કરી રહ્યા હતા. વકીલ એવી રીતે સલીમને બ્હાર નીકાળાવા માંગતા હતા કે કાનો-કાન અંગ્રેજ સરકારને ખબર ન પડે. 

આ જ સમયે મનુ ઇબ્રાહિમ વકીલને મળી. વકીલે વિચાર્યુ ૧૬ કેદીઓની ફાઇલમાંથી સલીમની ફાઇલ ગાયબ કરી, મનુની ખોટા કેસની ફાઇલ બનાવી તેને ૧૬મી કેદી બનાવી દેવામાં આવે તો કોઈને ખબર નહીં પડે કે સલીમ જેલમાંથી ફરાર છે. એ સમયે જેલમાં અંગ્રેજો કે કોઈ ચકાસણી કરવા આવતુ નહીં. ફક્ત રજીસ્ટરમાં લાગેલ નોંધ તપાસતા. 

આવી તક બીજીવાર નહીં મળે, એવુ વિચારી વકીલે મનુના ખોટા કેસની ફાઇલ બનાવી, રજીસ્ટરમાં જે ૧૬ કેદીઓના નામ લખવાના હતા એમાં સલીમનુ નામ હટાવી મનુનુ નામ દાખલ કરી દીધુ. સાંજે લાહોરથી કેદીઓને વડોદરા જેલ લાવી દીધા. દરેક કેદીને પોતપોતાની કોટડીમાં પૂરી દેવામાં આવ્યા. હવાલદાર ઉપાધ્યાય સલીમને કેબિન આગળ લઈ આવ્યો. ત્યાંથી વકીલ સલીમને જેલની બ્હાર લઈ ગયો. તે બન્ને ગાડીમાં બેશી જતા રહ્યા.

હવાલદારે મનુને તેની કોટડી બતાવી. જેલની પરસાળમાં તીવ્ર અંધારુ હતું. તે મનુને ટોર્ચલાઇટના અજવાળે તેના કેદખાના સુધી લઈ ગયો. મનુને અંદર પૂરી તાળુ મારી હવાલદાર જતો રહ્યો. જેલનો પહેલો દિવસ મનુ માટે અસાધારણ રહ્યો. કોટડીથી અંદર જેલમાં સંપૂર્ણ અંધકાર છવાઈ ગયો હતો. રાતમાં ડરામણી શાંતિ પ્રસરી ગઈ. સ્વાભાવિક રીતે પહેલા દિવસે ઊંઘ આવવી મુશ્કેલ હતી. બીજે દિવસે સવારે જોસેફ વીંકલર આવ્યા. સમગ્ર જેલમાં મનુ એક જ સ્ત્રી કેદી હતી. તેને જોવાની ઈચ્છા વીંકલર જેલરને થઈ. તે ઉપાધ્યાય અને બીજા હવાલદાર સાથે મનુને જે વિંગમાં રાખવામાં આવી હતી ત્યાં ગયા.

મનુની કોટડી આગળ ઊભા રહી વીંકલર અને અન્ય ચર્ચા કરવા લાગ્યા. મનુ ચૂપચાપ ઊભી ઊભી જોતી રહી. તે સૌ અંગ્રેજીમાં વાત કરી રહ્યા હતા. એક હવાલદાર જે અંગ્રેજ હતો. તે મનુની ફાઇલ સાથે લાવ્યો હતો. તેણે વીંકલરને ફાઇલ આપી. જેલરે ફાઇલ જોઈ અને તેઓ ત્યાંથી વાતો કરતા જતા રહ્યા. જે અંગ્રેજ હવાલદાર મનુના વિંગની દેખરેખ રાખતો હતો; તે ખુન્નસ ખાતો બીજા કેદીઓ સામે જોઈ રહ્યો હતો. તે વીંકલર સાથે બ્હારની તરફ ગયો અને પોતાના ટેબલ આગળ બેઠો.

મનુની સામેની કોટડીમાં જે કેદી હતો, તેને અંગ્રેજી આવડતુ હતું. જેલર અને બધા શુ વાત કરી રહ્યા હતા, તે વાતો એણે સાંભળી હતી. એણે મનુને કહ્યુ: "એ છોકરી તે કોનુ મર્ડર કર્યુ છે?"
"એ ભાઈ મે કાઇ નથી કર્યુ...(થોડીવાર બાદ) મર્ડર એટલે...?"

આ સાંભળી એ કેદી જોર જોરથી હસવા લાગ્યો: "મર્ડર એટલે હત્યા કરવી, ખૂન કરવું." કહી મોટેથી તે હસવા લાગ્યો. આ તરફ પેલો અંગ્રેજ હવાલદાર ઊંચેથી બોટલમાંથી પાણી પી રહ્યો હતો. એનાથી બોટલ વધારે ઊંચી થઈ જતા પાણી તેના કપડા પર અને નાકમાં પડ્યુ, તે ખાંસવા લાગ્યો. એ જ ક્ષણે પેલો કેદી જોર થી હસ્યો હતો.. હવાલદારને ગુસ્સો આવ્યો. તે દંડો લઈ એ બાજુ આવ્યો. "સો યુ ફાઇંડ ફની ઇન ધેટ?” (તને એમાં હસવા જેવુ લાગે છે?) કહી તેણે કેદીના મોઢા પર જોરથી દંડો માર્યો. તે કેદી બરાડી ઉઠ્યો. તેના નાકમાંથી લોહી ટપકવા લાગ્યું, બે ઘડી તેને આંખે અંધારા આવી ગયા. તેનું માથુ તમ તમ થવા લાગ્યું. તેના હોઠના કિનારે લોહીનો રેલો નીકળ્યો, આ જોઈ મનુ હેબતાઈ ગઈ. કેદીના શર્ટ પર લોહીનો રેલો ઉતર્યો. એના ગાલની અંદર એને દુખતુ હતું; પીડાના કારણે તેણે મોટી ચીસ પાડી. તેની ચીસના પડઘા પડ્યા. ચીસ સાંભળી મનુ ગભરાઈ ગઈ. તે રડવા લાગી. એ રીતે બીજો દિવસ પૂરો થયો.

આગલા દિવસે સવારે વકીલ આવ્યો. એને આવતા જોઈ મનુ સળિયા પકડી ઊભી રહી. તે વકીલને ઉપરા છાપરી સવાલો કરવા લાગી: "હેં સાહેબ મારા પર ખૂનનો આરોપ છે? આખી જિંદગી મારે અહી રહેવુ પડશે... બોલો ને સાહેબ...હેં સાહેબ, બોલોને કૈંક!" વકીલ તેમની બેગમાંથી કાગળિયા નિકાળી રહ્યા હતા: "અરે, શાંત રેહ લડકી કુછ નહીં હોગા, યે જેલર બદલ ગયા હે ઇસલીએ તુજે છુડાનેમેં થોડા વક્ત લગેગા." કહેતા તેમણે મનુને એક ચબરખી આપી.
"કેટલા દિવસ લાગસે સાહેબ?"
"મેં તુજે ૩ મહિનેમેં બ્હાર નિકલવા દુંગા! તેરે ઘર કા અડ્રેસ દે મુજે."

મનુએ સરનામુ લખાવ્યુ. સરનામુ લઈ વકીલ તરત ચાલતો થયો. "સાહેબ મારો ભાઈ ઘરે એકલો છે સાહેબ, એ ભૂખ્યો થયો હશે સાહેબ (મનુ રડવા લાગી) એનુ મારા સીવાય કોઈ નથી, એનુ ધ્યાન રાખજો સાહેબ... ઑ સાહેબ (તે રડવા લાગી) દેવા... ઑ દેવા..." કહેતા દીવાલે લસરતી મનુ બેશી અને રડતી રહી. 

બપોરે ઉપાધ્યાય આવ્યો એટલે મનુએ તેને વકીલે આપેલી ચબરખી આપી. ચબરખી લઈ ઉપાધ્યાય જતો રહ્યો અને અરધા કલાક પછી મનુ માટે પાણીનુ માટલુ, ચાદર અને ઓશીકુ લઈ આવ્યો અને મનુને કહ્યુ: "જો ઇબ્રાહિમ સાહેબે તારા માટે સ્પેશિયલ ટિફિનની વ્યવસ્થા કરવાનુ કીધુ છે એટલે અમારા માટે જે ખાવાનુ બને છે એવું ખાવાનુ તને મળશે, બીજા કેદીઓને જે આપવામાં આવે છે એ નહીં." કહી હવાલદાર ચાલ્યો ગયો. મનુ વ્યાકુળ બની ગઈ. તે ન સમજી શકી શુ ચાલી રહ્યુ હતું. સાંજના પાંચ છ વાગતા જેલમાં અંધારુ છવાઈ જતુ. સંપૂર્ણ શાંત વાતાવરણમાં ક્યારેક કોયલ કે ચકલીનો અવાજ સંભળાતો. વાતાવરણમાં એટલી શાંતિ પ્રસરી રહેતી કે પવનના વાયરાનો અવાજ પણ સંભળાઈ શકતો. મનુ ચિંતામાં મૂંગી બની દિવસો વિતાવતી.

૧ મહિનો વીતી ગયો. મનુની આંખો પર કુંડાળા આવી ગયા. તે દૂબળી થઈ ગઈ. ધીમે ધીમે એ એકાંત, આછા પ્રકાશ અને સંપૂર્ણ અંધકારની તેને આદત પડી ગઈ. તેનો ચહેરો ફિક્કો પડી ગયો. તે નીદરેક ક્રિયામાં નિરસતા દેખાતી. મૌન એવુ છવાઈ રહેતુ જાણે શ્વાસના હુંકારનો કકળાટ લાગતો. બાકી બધુ શાંત પડી રહેતુ.

આમ, બીજા ૨ મહિના વીતી ગયા. મનુના ચહેરા પર આજે જેલમાંથી છૂટવાની, આઝાદ થવાની આશા અને ઉમંગ દેખાઈ રહ્યો હતો. આજે ત્રણ મહિના બાદ ઇબ્રાહિમ વકીલ તેને છોડાવા આવવાના હતા. સવારથી મનુ ખુશ દેખાઈ રહી હતી. મનુની સામે જે કેદી હતો તેણે મનુને પૂછ્યુ: "આજે તો બોવ ખુશ લાગો છો તમે...શુ વાત છે?" મનુએ વાત જણાવી. આજે ત્રણ મહિના બાદ તે પોતાના ઘરે, પોતાના ગામ જવાની હતી. તેના ભાઈને મળવાની હતી. ઘરે જઈ તેના ભાઈને બથ ભરીને એને વ્હાલ કરવું હતું. તે આખો દિવસ વકીલની રાહ જોઈ રહી પણ તેને છોડાવા કોઈ આવ્યુ નહીં. તેને થયુ કે બીજા દિવસે વકીલ આવશે પરંતુ બીજા દિવસે પણ કોઈ આવ્યુ નહીં. અઠવાડિયુ આવુ ચાલ્યુ, ઊગતા સુરજ સાથે મનુની મુક્ત થવાની આશા જીવંત થતી અને આથમતા સુરજે મરી પરવારતી.

એક સાંજ તે બારીની બ્હાર આથમતા સૂર્યએ આઝાદ ઉડતા પંખીઓને જોઈ રહી. કેશરી રંગનો સૂર્યનો ગોળો તેના ચહેરાને કેશરી રંગ પાય રહ્યો હતો. ઢળતી ક્ષિતિજ સામે મનુએ મીટ માંડી. એની આંખોમાં તેજ હતું. એક પવનની લહેર તેના સુષ્ક થઈ ગયેલા હોઠને અડી. તેના સૂકા ચહેરા પર વાળની એક લટ આવી પડી, જે વારે ઘડીએ તેની ગરદનને ટકરાતી હતી. મનુએ ખુલ્લા આકાશ સામે જોયુ અને એક માનસિક ચિત્ર ખડુ કર્યુ. તેનો ભાઈ તેને લેવા આવ્યો હતો. એ દ્રશ્ય સાથે એક અવાજ ગુંજ્યો: "મનુડી...એ મનુડી હાલ છાણાં થાપવા!" દેવો એની બેનને છાણાં થાપવા બોલાવી રહ્યો હતો. બંને ભાઈ-બહેન એ દ્રશ્યમાં ખુશીથી છાણાં થાપી રહ્યા હતા, ગમ્મત કરી રહ્યા હતા. મનુએ એ દિવસો વાગોળવા લાગી.આ દ્રશ્યની કરુણતા તેની પલકોનુ પાણી ખમી ન શક્યુ અને કેટલાક અશ્રુઓએ રજા લીધી. ઢળતી સાંજ સાથે મનુની મુક્ત થવાની એ દિવસની આશા પણ અસ્ત થઈ.

*



Chapter 3: The path of the goddess

(શ્રાવણ ચોથ-૧૯૩૧)
(After 7 months)

એ દિવસોમાં બ્રિટિશ સરકાર વિરુદ્ધ ઘણી બધી ચળવળો ચાલતી હતી. એ ઉદ્દેશને પૂર્ણ કરવા હેતુસર ઘણા નવ્ય અને યુવા ક્રાંતિકારીઓ ઉત્તર-પશ્ચિમના પ્રદેશોમાંથી ગુજરાત આવ્યા હતા, જેમાંના ઘણા ચળવળ બાદ ઝારખંડ ભાગી જવામાં સફળ રહ્યા હતા. (એ સમયે બિહાર ઝારખંડમાં ગણાતુ) ત્યાં એક અલગ જ પાગલ રાષ્ટ્રવાદીઓની સેના ઊભી થઈ રહી હતી. જેમનુ ઉદ્દેશ્ય હતું લૂંટફાટ અને અંગ્રેજોના લોહીની હોળી. સલિમ આ સેનાનો એક આગેવાન હતો. જ્યારે સેનાને ખબર પડી કે સલિમને વડોદરાની સેન્ટ્રલ જેલમાંથી છોડાવામાં આવ્યો છે ત્યારે સેનાના ૧૨૦ જેટલા ક્રાંતિકારીઓ ગુજરાતમાં તેના માટે હાજર થઈ ગયા.

સેના શસ્ત્રો-સરંજામ જાતે બનાવતી. આ નિપુણતા દરેક ક્રાંતિકારીમાં હતી. સેનાને સામાન અને ભંડોળની અછત ઊભી થઈ હતી. એ વાતથી સલિમ વાકેફ હતો જ. માટે ઝારખંડ પાછા ફરતા પહેલા તેને એની વ્યવસ્થા કરવાની હતી. મુંબઈ થી અમદાવાદ આવતી અંગ્રેજોની આગગાડીઓ અને અમદાવાદથી દિલ્હી જતી રેલ્વે-કાર્ગોના ડબા તેમણે લૂંટયા હતા. છતાં શસ્ત્રો બનાવી શકાય એવો પૂરતો માલ મળ્યો નહીં પણ કીમતી ઘણી એવી વસ્તુઓ હાથ આવી હતી જેને વેચીને શસ્ત્રો માટેનો ઉપયોગી સામાન મેળવી શકાય.

નવ ખટારા ભરાય એટલો ચોરીનો માલ ભેગો થયો હતો. સમગ્ર ટ્રક એક સાથે જવા ન જ દેવામાં આવે, સ્વાભાવિક છે. દર અઠવાડિયે બે ટ્રક ઝારખંડ મોકલવામાં આવ્યા, સામાન અને ક્રાંતિકારીઓની બે-બે ટોળકી સલામત રીતે પહોંચી ગઈ છે, એ સમાચાર મળ્યા બાદ જ બીજા ટ્રક રવાના કરવામાં આવતા. બીજી વખતના ફેરામાં સલિમ મેમણ સાથે નીકળ્યો. કારણ ઝારખંડ પહોંચી ઉતારેલ માલને ઠેકાણે પાડી શસ્ત્રો બનાવાની ક્રિયા ચાલુ કરવા માટે યોગ્ય આગેવાનની દેખરેખની જરૂરી હતી.

ભાદરવાના પહેલા અઠવાડિયે છેલ્લા બે ખટારા નીકળ્યા, જેમાં ૪૦ જેટલા સેનાના ક્રાંતિકારીઓ હતા. બીજા દિવસે દાહોદ વટાવતા સારજંટ બ્લૂમ અને અંગ્રેજ અફસર રિચર્ડ હેંડર્સન અને ફોજે બન્ને ટ્રક પકડી પાડ્યા. બે ક્રાંતિકારીઓએ જંગલ તરફ નાસી જવાનો પ્રયત્ન કર્યો, બંનેને બ્રિટિશ અફસરોએ પકડી પાડી ત્યાં જ ગોળી મારી દેહ છૂટા કરી દીધા. બાકીના તમામને વડોદરા સેન્ટ્રલ જેલ ખોસી દેવામાં આવ્યા. 

*


મનુએ કેદી તરીકેનુ જીવન સ્વીકારી લીધુ હતું. સમગ્ર જેલમાં ફક્ત તે એક જ સ્ત્રી કેદી હતી. જેથી, રસોઈ, સિલાઈ કામ, વાસણ-કચરા-પોતુ જેવા કાર્યોમાં તે આગેવાની ધરાવતી થઈ હતી. મહિને બે-મહિને હવાલદાર ઉપાધ્યાય પાસેથી તેના ભાઈની માહિતી મેળવતી. ઉપાધ્યાય જણાવતો કે “તારા ભાઈને ડી.કે ઊંચડીવાળા નિશાળમાં ભણવા મૂક્યો છે, તે છાત્રાલયમાં રહે છે. તારા ઘરને તાળું મારી દેવામાં આવ્યુ છે. ‘ને તારી લોનના હપ્તા પણ ઇબ્રાહિમ સાહેબ ભરી રહ્યા છે.” આ સાંભળી મનુને બે ઘડી નિરાંત થતી. ઉપાધ્યાય જે કઈ મનુને જણાવતો એ શબ્દો વકીલના ગોખવેલા હતા. તે ક્યારેક ઇબ્રાહિમ વકીલને મળવાની માંગ કરતી ત્યારે એ સવાલનો જવાબ ઉપાધ્યાય પાસે હોતો નહીં. વકીલ પોતે પણ સલિમને છોડાવ્યા બાદ ૭ માસથી સેન્ટ્રલ જેલ આવ્યા ન હતા.


જ્યારે કારાવાસમાં જેલર વીંકલર ન હોય એ દિવસે ક્રાંતિકારીઓ કુસ્તી અને હથિયારોનો મહાવરો કરતા. હથિયારમાં રાઇફલ, ગ્લોક-૨૭, પંજા-ગુપ્તી-લાઠીનો અભ્યાસ કરતા અને નવીન યુક્તિઓની તાલીમ એકબીજા પાસેથી મેળવતા. સાથે-સાથે છૂટા હાથે સ્વ-બચાવ અને આક્રમણની તાલીમ મેળવતા. શસ્ત્રોની અને મહાવરા માટેની વ્યવસ્થા ઉપાધ્યાય અને અન્ય બે-ત્રણ હવાલદારો કરી આપતા.

આ બધુ મનુ એક અઠવાડિયાથી જોતી હતી. એક દિવસ કંટાળાથી કંટાળી તેણે સ્વ-બચાવ શીખવાનો નિર્ણય કર્યો. સેનામાં સહદેવ નામનો એક પ્રતિનિધિ હતો. મનુએ એને સ્વ-બચાવ શીખવવા વિનંતી કરી. તેણે મનુને તાલીમ આપવાની હા પાડી. જે સમયે વીંકલર હાજર હોય ત્યારે ક્રાંતિકારીઓ વ્યાયામ-પ્રાણાયામની કસરત કરતા, મનુ પણ તેમાં જોડાતી. આવી રીતે બીજા બે મહિના વીતી ગયા. તાલીમની પ્રવૃતિઓ અને જેલમાં સોંપેલા તેના કાર્યોના લીધે તેનો દિવસ નીકળી જતો પણ રાત્રે તો અંધાર...

એ અંધાર તેના મસ્તીષ્ક્માં તેના ભાઈની યાદોને ઉજાગર કરતુ, જો તે દિવસે ઇબ્રાહિમ વકીલની વાત અવગણી પાછી ચાલી ગઈ હોત તો કદાચ આજે તેનો ભાઈ તેની સાથે હોત. આટલા સમય પછી પણ વકીલ તેને મળવા ન આવ્યા. કેમ ન આવ્યા? ઉપાધ્યાયની વાતો પર પૂરતો વિશ્વાસ બેસતો ન હતો. જ્યારે વકીલ તેને ખોટુ વચન આપી ચાલ્યા ગયા એ પછી વધારે ગુસ્સો તેને પોતાના પર આવ્યો. કેમ તે આવા અજાણ્યા માણસની વાતમાં આવી ગઈ? વકીલનો વિશ્વાસ કરવા જેવો જ ન હતો. બધો મારો જ વાંક છે. મારૂ ઘર, મારો ભાઈ આમ રઝળતા મૂકી દઈ હું આ માણસની વાતમાં ભોળવાઈ ગઈ. શું કરતો હશે દેવો? એવા વિચારો મનમાં કરતી. વકીલ એને એક દિવસ જરૂર છોડાવા આવશે એમ વિચારી મન મનાવી લેતી.

આવી ઘણી અસંખ્ય ચર્ચા સ્વ સાથે કરી, પોતે લીધેલા નિર્ણયને સંતાપતી અને વ્યગ્રમય બની રાત પસાર કરતી. દરરોજની આવી સ્વ સાથેની ચર્ચાથી તેના માનસ પર નકારાત્મકતા વર્તાવવા લાગી. તેની વાણી કઠોર અને ઉગ્ર બનવા લાગી. આવેશ તો જાણે એના વ્યક્તિત્વનુ પાસુ બની ગયુ. આ આવેશ સતત તેની તાલીમમાં વધતો જતો હતો. તાલીમ દરમિયાન પોતે ક્યારેક ઇજા પામતી તો ક્યારેક તાલીમ આપનાર ને ઇજા પહોંચાડતી. સામાન્યપણે ઇજા તાલીમ આપનારને પહોંચતી. તેનો આ આવેશ જોઈ સહદેવ એને ટોકતો. ક્યારેક તે હાથ ઝાલી મનુને તાલીમ બ્હાર પણ કાઢી મૂકતો. મનુ ક્યારેક સહદેવને તેની સામે લડવા પડકાર આપતી પણ સહદેવ એના પર ધ્યાન ન આપતો. સેનામાં ઘણા તગડા પઠ્ઠાઓ હતા. જેમની સામે સહદેવ છોકરું લાગતો પણ તેનામાં હિમ્મત અને યુક્તિ ભરપૂર હતી, જેનાથી તે ગમે તેવા મોટા આદમીને માત આપી શકતો. તેણે સ્વ-બચાવની સાથે સાથે શૂટિંગની તાલીમ શરૂ કરી. ધીમે-ધીમે મનુ રાઇફલ અને આત્મ-રક્ષણની યુક્તિમાં પારંગત થતી ગઈ.

સહદેવ આ બધુ જોતો. સહદેવનુ સેનામાં મુખ્ય કામ યુવાનોને આઝાદીની લડત માટે એકઠા કરવાનુ અને આવશ્યક પળે પ્રોત્સાહન પૂરું પાડી સેનાને પ્રવૃત્તિમય રાખવાનુ હતું. મનુને આવેશમાં જોઈ ઘણીવાર તેને એનામાં એક આક્રમક નાયિકા દેખાતી. જાણે અંગ્રેજોનો સંહાર કરતી રાણી લક્ષ્મીબાઈ જોઈ લો. તે મનુને ધૂની ક્રાંતિકારી તરીકે જોવા લાગ્યો. જો મનુ તેમની સેનામાં જોડાય તો ઘણી સ્ત્રીઓ તેનામાંથી પ્રેરણા લઈ દેશની લડત માટે જોડાઈ શકે છે. આ બાબત અંગે વિચારી તેણે મનુ સાથે વાત કરવાનું નક્કી કર્યું.

એક સાંજે પોત-પોતાની ઓરડીમાં જતા પહેલા: “મનુ...” કોઇકે પાછળથી અવાજ લગાવ્યો. પરસાળમાં બધા કેદીઓ સીધી હરોળમાં જઈ રહ્યા હતા. એમની વચ્ચેથી સહદેવ તેની પાસે આવ્યો.
“બોલો.” બોદા થઈ ગયેલા સ્વરમાં તે બોલી.
“તુ ઝડપથી શીખી રહી છુ. તારી શસ્ત્રો પર નિપુણતા આવી રહી છે...” શબ્દોની ગોઠવણી કરતા તે બોલ્યો.
“આભાર.” મનુ બોલી.
તેના વિંગ તરફનો વળાંક આવ્યો, તે એ તરફ વળી. સહદેવ તેની પાછળ બે ડગલાં ગયો: “મનુ...”

તે અટકી, પોતાની કોટડી તરફ જતા અટકાવતા તેને થોડી અકળામણ થઈ. અદબ વાળી તે ઊભી રહી સહદેવ સામે જોઈ રહી. સહદેવે વાત શરૂ કરી: “તારો ઝાઝો સમય નહીં લઉં, મારે બસ એટલુ કહેવુ છે કે આપણા લોકોને, આપણી સ્ત્રીઓને તારા જેવી વ્યક્તિની જરૂર છે. તારુ વ્યક્તિત્વ સ્ત્રીઓને પ્રોત્સાહન પૂરુ પાડી શકે છે.”
“શું બોલે છે?” વાતમાં ગતાગમ ન પડતા તે બોલી.
“અત્યારે દરેક ભારતીયની પરિસ્થિતી આર્થિક રીતે ભાંગી પડી છે. આપણા મોટા ભાગના નાણાં બ્રિટિશ ફોજદારો અને એમની બેન્કોમાં જપ્ત થયેલ છે, બાકીના નાણાં મહેસૂલ અને કર આપવામાં વેડફાઇ જાય છે. અત્યારે એવી પરિસ્થિતી ઊભી થઈ છે કે આપણા જ નાણાં આપણે બ્રિટિશરો પાસેથી લૂંટવા પડે છે, ચોરી કરવી પડે છે. ‘ને બાપુ આ હરકતોની અવગણના કરી રહ્યા છે, તે ખરેખર અસહ્ય છે. છતાં, આ લૂંટવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.”

હવે મનુને તેની વાતમાં થોડો રસ પડ્યો. સહદેવે બોલવાનુ ચાલુ રાખ્યુ: “અમે રાષ્ટ્રવાદી છીએ. ‘ને મારૂ કામ છે સ્વતંત્રતાની લડત માટે યુવાનોને એકઠા કરવાનુ અને એમને માર્ગદર્શન આપવાનુ. અત્યાર સુધી એવુ ચાલી રહ્યુ હતું કે પુરુષો જ લૂટફાટમાં ભાગ ભજવતા આવ્યા છે. જો સ્ત્રીઓ પણ અમારી સાથે જોડાય તો એક મજબૂત સંગઠન ઊભુ થઈ શકે છે. આપણે આ અંગ્રેજોની આર્થિક વ્યવસ્થા પાડી દઇશુ. જો એમ થશે તો આઝાદી ઝાઝી દૂર નથી...” તે બે ઘડી થંભયો.

મનુ તેની વાતમાં ઉતરી ચૂકી હતી. તે એની આંખોમાં જોઈ રહી. સહદેવ તેની નજીક આવ્યો, તેની આંખોમાં જોઈ રહ્યો. અન્ય કેદીઓ પોત-પોતાની કોટડીમાં ચાલ્યા ગયા હતા. એણે મનુનો હાથ પકડયો. બરડ થઈ ગયેલા તેના આંગળા પર સહદેવના નાજુક હાથના સ્પર્શથી તેના હ્રદયમાં થીજી ગયેલા સંવેદનો ઓગળ્યા હોય એમ ધમનીમાંનુ રુધિર તપી ઉઠ્યુ. એ બોલ્યો: “આ દેશને, આપણા લોકોને, આપણી સ્ત્રીઓને તારી જરૂર છે મનુ... હું તને મારી સાથે લઈ જવા માંગુ છુ...”

હવાલદારો તપાસ માટે આવી રહ્યા હતા. તેમના પગલાનો અવાજ સંભળાતા, પોતાની વાત પતાવતા તે બોલ્યો: “મેં જે કહ્યુ એના વિષે ધ્યાનથી વિચારજે.” હળવેથી મનુનો હાથ દબાવી એણે છોડ્યો અને ઝડપથી પોતાની કોટડી તરફ ફર્યો. મનુ અવાક બની ઊભી રહી. પાછળ હવાલદાર આવ્યા. મનુને બ્હાર ઊભેલી જોતાં અંદર જવા બૂમ મારી. મનુ વિચારોમાં વ્યસ્ત તેની કોટડી તરફ ભણી.

આ બધી મોટી વાતોમાં તેને રસ ન હતો, તેના માટે તેનો ભાઈ અને તેનુ ઘર તેની પ્રાથમિક અને અંતિમ જરૂરિયાત હતી. ઇબ્રાહિમ વકીલથી તેણે આશા છોડી દીધી હતી. અહીથી નીકળવાની તક હવે તેને દેખાઈ રહી. અહીથી નીકળવા સુધી તો તેણે સહદેવની વાત માનવી જ રહી. બીજા દિવસે ઉપાહારગૃહમાં તેણે સહદદેવને અન્યથી દૂર લઈ જઈ જણાવ્યુ પોતે તેની સાથે આવવા તૈયાર છે. સહદેવને તેનાથી વિશેષ આનંદ થયો.

“અહીથી નીકળીશુ કેવી રીતે?” મનુએ પૂછ્યુ.
“નીકળવામાં વાર નહીં લાગે. જેલના અધિકારીઓમાંથી ઘણા આપણા માણસો છે, એક વાર ખાલી ઝારખંડથી સામાન આવી જાય પછી નીકળી જઈશુ.”
“સામાન આવતા કેટલો સમય થશે?”
“૩ મહિના કદાચ.”
શુ છે એ સામાનમાં?
સહદેવ બે ક્ષણ એની સામે જોઈ રહ્યો, બાદ હળવુ હસ્યો અને બોલ્યો:“એ સામાનમાં એવુ કઈક છે જેનાથી આપણે બધા આઝાદ થઈ જઈશુ. એ સામાન અંગ્રેજોને નહીં ગમે, કદાચ એનાથી એ લોકો ડરી જશે.”
“અગાઉ નીકળી જઈએ તો ન ચાલે? નીકળ્યા પછી સામાનનો બંદોબસ્ત કરીએ તો?” મનુએ પૂછ્યુ.
“સામાન આવે એના પહેલા અહીથી નીકળવુ શક્ય નથી. ‘ને કદાચ જો નીકળી પણ જઈએ તો આટલા બધા માણસોને રાખવા ક્યાં? અહી જે શસ્ત્રોનો અભ્યાસ કરીએ છીએ એ કઈ જગ્યાએ કરીશુ? અહીથી ભાગ્યા બાદ જ્યાં સુધી બ્રિટિશ સરકાર આપણને ઝડપી નહીં પાડે ત્યા સુધી આરામની ઊંઘ નહીં લે. માટે... સામાન આવે પછી નિકળીશું, સમજી?”

સહદેવને તેના સહકેદીઓ બોલાવી રહ્યા હતા. “હું પછી વાત કરુ તારી સાથે.” કહી તે જતો રહ્યો. મનુનો પિત્તો ગયો. અહીથી નીકળવાનો એકમાત્ર માર્ગ મળ્યો હતો, એ પણ બંધ થઈ ગયો. તેણે નક્કી કરી લીધુ હતું ગમે તે કરી આ એક માસની અંદર તે જેલની બ્હાર નીકળી જશે.

*


એ દિવસે તેની સામેની કોટડીમાં બનાસકાંઠાના ૪ બહારવટિયા આવ્યા હતા. આખો દિવસ એમની ટોળકીનો બબડાટ ચાલતો રહેતો. એક-બીજાને એમની ભાષામાં ચિડાવતા, ગાળો બોલતા અને ક્યારેક ટોળુ વળી કઈક સંદિગ્ધ ચર્ચા કરતા. પોતાની ભાષામાં વાતચીત કરવાનો લાભ એમને એ જણાયો કે તેઓ જે વાત કરતા હોય છે એ કોઈને ખબર પડશે નહીં. એકવાર તે લોકો જુગુપ્સાપ્રેરક વાત કરી રહ્યા હતા, જે મનુના કાને પડી, તેના કાન સરવા થયા. મનુ બનાસકાંઠાના બિરસાંગત આદિવાસીઓની ભાષા સમજી શકતી હતી. તેની સામેની કોટડીના એક બહારવટિયાને બોલાવતા તેણે કહ્યુ: “કેમ સો મોટા?”
“એકદમ સરસ.” પોતાની ભાષા બોલતી સ્ત્રી સાથે વાત કરતા તે હરખમાં આવી ગયો.
“બિરસાંગત લાગો સો તમે.” મનુ એમની ભાષામાં બોલી.
આ સાંભળી તે વ્યવસ્થિત ઊભો રહ્યો અને બોલ્યો: “હઁ, તમન કુણે કીધુ?”
“લાયગુ મન.”
“એમ, તમેય બિરસાંગત સો કે હું?”
“નહીં તો, મારી ફઈ બિરસાંગતને પૈણેલી.”
“બરાબર.”

આ બંને વાતચીત કરી રહ્યા હતા. એ જોઈ બીજા બહારવટિયા ચૂપચાપ જોઈ રહ્યા. કિશન નામના બહારવટિયાએ વાત ચાલુ રાખી: “તમે આયાં હું કરતા આયવા?”

“માર ધણીનુ કાસર કાયઢી નાયખુ, ફાટી મૂઓ રોજ પીય’ન ફજેતી કરતો’તો.” મનુ જુઠ્ઠુ બોલી.
“ઓહ...” લાંબા ઉદગાર સાથે તે કઈક વિચારમાં ખોવાઈ ગયો.
“તમે આયાં કેમના?”
“ઇણે ઈના બનેવીનુ માથુ ફાયડી નાયખુ!” એની બાજુમાં ઉભેલો બોલ્યો’ને જોરથી હસવા લાગ્યો. બીજા બેય પણ હસવા લાગ્યા.
“રે...રે, એવુ તે કરાતુ હશે ભઈ.” મનુ બોલી.
“બોણ્ઠોક હતો મૂઓ, દર વખતે ઓસો ભાયગ આલ્તો’તો. તે આ વખતે પીવરાઈ દીધું સેલ્લી વારનુ પોણી.” સ્વચ્છતા આપતા કિશન બોલ્યો.
“રે...રે, શિવ, શિવ, શિવ.” નિ:શ્વાસ નાખી મનુ બોલી. તેને આગળ વાત કરવી હતી પણ બીજા ત્રણેય કિશનને મસ્તી કરતાં બાજુમાં ખેંચી લાવ્યા. ચારેય બબડાટ કરતા પોતાની મસ્તીમાં વ્યસ્ત થયા.

જ્યારે કિશનના બનેવીએ માલનો વધુ ભાગ ન આપતા કિશને એને મારી નાખ્યો; ત્યારબાદ તેના સાથીદારો સાથે મળી તેણે સૌપ્રથમ માલને યોગ્ય જગ્યાએ છુપાવી દીધો. તેના બનેવીની લાશનો નિકાલ કરતા ચારેય પોલીસના હાથે પકડાઈ ગયા હતા. આ વાત જાણી મનુએ વિચાર કર્યો, આ લોકોની મદદથી તે અહીથી બ્હાર નીકળી શકે છે. એમ વિચારી તેમની સાથે મૈત્રી કેળવવાનો નિર્ણય કર્યો. પોતાના પર તેને વિશ્વાસ ન હતો આવતો કે આવા હલકટ માણસોને તે સાથીદાર બનાવા જઈ રહી હતી. થોડા દિવસો તેણે ચારેય સાથે મૈત્રી કેળવવામાં પસાર કર્યા. ચરણ, નરેશ, પરસોત્તમ અને કિશન. ચારેય પાક્કા ધાડપાડુ હતા. છતાં, એમની એકબીજા માટેની વફાદારી દેખીતી રીતે શુદ્ધ સોના જેવી પ્રસ્તુત હતી. 

તે ચારેય પણ જેલમાંથી ભાગવાની ફિરાકમાં હતા. મનુની ગણતરી બરાબર હતી. તે આ ચારેયની મદદથી બ્હાર નીકળી શકે એમ હતી. ચારેય જણ ભયાનક અને શઠ હતા માટે જ તે એકેય પર વિશ્વાસ કરી રહી ન હતી. ચારમાંથી બે ની નજર મનુ પર બગડી હતી. એ ઓળખતા તેને વાર ન લાગી. કેટલીક સ્ત્રીઓમાં અજબની આત્મશક્તિ હોય છે. કયો પુરુષ કઈ નજરથી તેને જોઈ રહ્યો છે, તે કુશળતાથી પારખી શકતી. મનુમાં પણ એ આત્મશક્તિ હતી. તેથી તે ચેતીને ચાલી રહી હતી અને આ વાતનો ફાયદો પણ ઉઠાવી રહી હતી.

કિશન તેની ટોળકીનો સરદાર હતો. તે જાણતો હતો મનુને પણ જેલની બ્હાર નીકળવુ છે માટે તે એમનામાં રસ લઈ રહી હતી. પરસોત્તમ પણ કેટલાક અંશે આ વાત સમજી ચૂક્યો હતો. માટે તે બંને થઈ શકે એટલો મનુનો જેલમાં ઉપયોગ કરી નાખવા માંગતા હતા. ચરણ-નરેશ અહીથી ભાગવાની વાતમાં ઝાઝો રસ લેતા ન હતા. બંને ગુપ્ત રીતે મનુને પસંદ કરતાં હતા. તેને ખુશ કરવા અવનવી હરકતો કરતાં હતા. મનુ તેમનામાં રસ ધરાવે છે એવું લગાડવા સ્મિત આપતી. બંને જણ ગાંજાના ભયંકર વ્યસની હતા. ગાંજો મળી રહે એટલે બસ. ગાંજા માટે બંને કઇપણ કરવા તૈયાર હતા માટે જ એમની જેવા જેલમાં બીજા સાથીઓ મળી ગયા હતા. એમની સાથે ગાંજો ફૂંકી બંને મનુ સાથે પોત-પોતાની અલગ જ દુનિયામાં રાચ્યા રહેતા.

જ્યારે ચારેયે જેલમાંથી ભાગવાની યોજના ઘડવાની શરૂ કરી(જેનો ખ્યાલ મનુને મોડા આવ્યો) ત્યારે પ્રથમ નિવેદન તેણે ચરણને કર્યુ. ચરણે તેના સાથીદારોને મનુને તેમની યોજનામાં સાથીદાર બનાવા પ્રસ્તાવ મૂક્યો. કિશન-પરસોત્તમ જાણતા હતા મનુને ક્રાંતિકારીઓ સાથે સારા સબંધ છે, માટે તેમણે મનુને યોજનામાં સામેલ કરી લીધી પણ એક શરત મૂકી. ક્રાંતિકારીઓ પાસેથી થઈ શકે એટલી જેલની માહિતી મેળવવી, તેમની પાસેથી થોડા શસ્ત્રો લઈ આવવા અને કેવી રીતે એ ૪૦ જણ જેલમાંથી ભાગવાના છે. તે જાણી લાવવુ. આ કામ માટે મનુને ત્રણ દિવસનો સમય આપ્યો. આટલી બાબત જાણ્યા બાદ જ એ લોકો તેને પોતાની ટોળકીમાં સામેલ કરશે એમ પ્રસ્તાવ મૂક્યો.

મનુને ત્યાંથી નીકળવા માટે સાથીદારોની જરૂર હતી. જે તેને મળી ગયા હતા. હવે, તેને થોડા હથિયારો અને સહદેવ પાસેથી માહિતી જાણી લાવવાની હતી. જેથી તે કિશન અને ટોળકીને જણાવી જેલની બ્હાર નીકળી શકે. સહદેવ પણ મનુમાં વિશેષ રસ લઈ રહ્યો હતો. મનુ તે જાણતી હતી માટે માહિતી મેળવવાનુ કામ તેના માટે એટલુ અઘરુ ન હતું. તેણે સહદેવનો સંપર્ક કરવાનો પ્રયન્ત કર્યો પણ સેનાના માણસો સતત તેની આસપાસ હોવાથી વાત કરવાની તક ન મળી.

પહેલા બે દિવસ વ્યર્થ ગયા. સહદેવ સાથે તે અંગત રીતે વાત કરી શકી નહીં. અન્ય ક્રાંતિકારીઓ સાથે જાત-જાતની ચર્ચાઓમાં તે વ્યસ્ત રહેતો. અંતે ત્રીજા દિવસે તે દબાણ કરી સહદેવને અનાજના કોઠારમાં ખેંચી લાવી. બપોરનો સમય હતો. જમવાનુ ચાલી રહ્યુ હતું. કેમ તે એને એકાંતમાં ખેંચી લાવી તે સહદેવ સમજી ન શક્યો. મનુએ તેને જેલ અંગે પૂછ્યુ, જેનો જવાબ આપતા સહદેવે કહ્યુ: “તને ખબર છે આ જેલ કેટલી મોટી છે?”
“ના.”
“ઓકે, તો સાંભળ આ જેલમાં કુલ ત્રણ બ્લોક્સ છે, ત્રણ ઇમારત છે. આપણે કયા બ્લોકમાં છીએ તને ખબર છે?” મોઢું નકારી તેણે ના પાડી. સહદેવે આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ.

‘આપણે બ્લોક ત્રણમાં છીએ, અંતિમ ઇમારતમાં. અત્યારે આપણે ઉપાહારગૃહમાં છીએ અને બાજુમાં ખુલ્લુ મેદાન છે, જ્યાં આપણે આત્મરક્ષણની તાલીમ લઈએ છીએ. મેદાનનો એટલે કે ઉપાહારગૃહ અને આપણો બ્લોક, બ્લોક ૩નો રસ્તો એક જ છે. બ્લોક ૩માં જતો માર્ગ બ્લોક ૧માંથી નીકળે છે અને બ્લોક ૧નો બીજો માર્ગ બ્લોક ૨માં જાય છે. આખી સેન્ટ્રલ જેલમાં ફક્ત બ્લોક ૧ જ એક માળનો છે. બાકીના બંને બ્લોક બે માળના છે. જેમાં સૌથી વધારે ચોકિયાત એટલે કે વિંગ ઈન્સ્પેકટર બ્લોક ૨માં અને ૩માં વધુ છે. દરેક બ્લોકની કુલ મળાવીને ૨૦ હાર(ROW) થાય છે.

બ્લોક ૧માં ઓછા અપરાધવાળા અને ઓછી સજા વાળા કેદીઓને રાખવામા આવે છે. બ્લોક ૨ અને ૩માં જન્મટીપ અને લાંબી સજા વાળા કેદીઓને રાખવામા આવે છે. ઉપાહારગૃહથી આગળ મેદાનના છેડે સ્નાઇપર ટાવર છે, તેની દક્ષિણ અને ઉત્તર છેડે પણ એક-એક સ્નાઇપર ટાવર ગોઠવેલા છે. ચોથો સ્નાઇપર ટાવર જેલના આગવા દરવાજે છે. જેના પર સાઇરેન લાઇટ્સ મૂકવામાં આવી છે. આગવા દરવાજાથી ૧૫ કદમ આગળ રેલિંગ વાળી મોટી જાળી આવે છે. ત્યાંથી ૭૦મીટરના અંતરે આગળ આર્મ્ડ ક્વાટર્સ આવેલા છે, ત્યાં લશ્કરના અમલદારો રહે છે. તેની બાજુની ઇમારતમાં લશ્કરના દારૂગોળા અને બીજા હથિયારો રાખેલા છે.

આપણા બ્લોક-ઉપાહારગૃહની પાછળ કોટ જેવી દીવાલ છે જેના પર વીજળીના તારની વાડ છે. એની પાછળ મેદાન છે. જે દક્ષિણ તરફ જાય છે, જ્યાં બ્રિટિશ સર્વંટ્સ અને ફોજદારોની ડોરમિટોરી છે. (બે ક્ષણ શ્વાસ લઈ) માટે જો તુ અહીંથી ભાગવાનુ વિચારતી હોય તો ભૂલી જા.” કહી તે હસવા લાગ્યો.

સહદેવની વાતોમાં મગ્ન મનુએ તેનુ છેલ્લુ વાક્ય સાંભળી જાણે અચાનક સ્વપ્નમાંથી જાગી ઉઠી હોય એમ સ્તબ્ધ થઈ બોલી: “ના...ના, હું કેવી રીતે ભાગુ?” અને તેણે પણ કૃત્રિમ હાસ્ય વેર્યું.
સહદેવ બોલ્યો: “મને ખબર છે, તારી સાથે મજાક કરુ છુ. બસ, ખુશ? આ જ જાણવુ હતું ને તારે છેલ્લા બે દિવસથી?” માથુ હંકારી મનુએ હા પાડી. 
“આમ, તો આ માહિતી કોઈને અપાય એમ છે નહીં પણ આ તો તુ છુ એટલે... અને તને પણ આ જેલ વિષે ખબર હોવી જોઈએ માટે મેં તને કહ્યુ.”

“અહીથી બ્હાર કેવી રીતે નીકળીશુ?” મનુએ પૂછ્યુ. સહદેવે હજુ સુધી કોઈને બ્હાર નીકળવાની યોજના જણાવી ન હતી. કારણ વાત બ્હાર ફેલાઈ જવાની શક્યતા હતી પણ મનુ પર તેને વિશ્વાસ હતો તે કોઈને નહીં જણાવે માટે મનુ સાથે યોજના ચર્ચવામાં તેને જોખમ લાગ્યું નહીં.

“તે અમલદાર ગાયકવાડને જોયા હશે, જ્યારે ઝારખંડથી સામાન આવશે ત્યારે એમણે આપણા સુધી સામાન પહોંચતો કરશે.”
“કયો સામાન આવવાનો છે ઝારખંડથી?” વ્યગ્રમય બની મનુએ પૂછ્યુ. 
“હથિયારો... દેશી તમંચા, રાઇફલ અને ગ્રીનેડ્સ.” સહદેવ ધીમા સ્વરે બોલી તેની મૂછો મરકાવા લાગ્યો.
“સૌપ્રથમ વીંકલરને રસ્તામાંથી હટાવવો પડશે. એ કામ હથિયાર આવવાના બે દિવસ પહેલા કરવુ પડશે. જેથી તાબડતોબ બ્રિટિશરોએ જેલની સુરક્ષા મજબૂત કરવી પડશે...”
“એવુ કરવાથી તો નીકળવુ વધારે મુશ્કેલ બની જશે.” મનુ મુંજવાઈ.

સહદેવ હસ્યો: “એ જ તો યોજના છે... તને શુ લાગે આખા દેશમાં અમે આટલા ૪૦ જ ક્રાંતિકારીઓ છીએ? ઝારખંડથી જે સામાન આવવાનો છે, એમાં ફક્ત હથિયારો જ નહીં ૬૦ થી ૭૦ જેટલા ક્રાંતિકારીઓની ફૌજ આવવાની છે. વીંકલરને અગાઉથી હટાવી દેવાનો ફાયદો એ રહેશે કે યેરવડા અને કરાચી જેલમાંથી બ્રિટિશ અમલદારોને અહી ફરજ પર મૂકવામાં આવશે. હુમલાના દિવસે ગાયકવાડ અમારા સુધી રાઈફ્લ્સ, ગ્રીનેડ્સ અને એમોઝ પહોચતા કરશે. મારી ઈચ્છા આ કામ દિવસના અજવાળામાં કરવાની હતી પરંતુ દિવસે અમારા સુધી હથિયાર પહોંચાડવામાં જોખમ રહે અને બીજા કેદીઓ પણ બ્હાર ફરતા હોય તો એમની જાનનુ પણ જોખમ રહે. દિવસના અજવાળામાં હાજર અમલદારો ચેતી જાય, એમના માટે પણ ગોળીબારી કરવી અને બચાવ કરવો સરળ થઈ જાય‘ને અમારી એક-એક ગોળી અંગ્રેજોના લોહી માટે બની છે. એક પણ ગોળી વ્યર્થ જાય એ મને પોસાય એમ નથી. માટે રાત્રે જ અટેક કરવો યોગ્ય રહેશે.

રાતનો પહેલો ફાયદો આપણાં સ્નાઈપર્સને થશે. સ્નાઈપર્સ બહારી પહેરેદારો, ટાવરના સ્નાઈપર્સ અને સાઇરેન લાઇટ્સ નોક ડાઉન કરી દેશે. ત્યાં સુધીમાં આપણા ક્રાંતિકારીઓ પોત-પોતાની જગ્યાએ આવી જશે. જેલના દરવાજાએ, આર્મ્ડ અને સરવન્ટ ક્વાટર્ઝ બાજુ ગોઠવાઈ જશે. એ પછી કોઈ એક હવાલદાર અલાર્મ વગાડશે. અલાર્મ સાંભળી ક્વાટર્સ અને ડોરમિટોરીમાંથી ફોજદારો અને લશ્કરના અમલદારો બ્હાર આવશે. જેવા એ બ્હાર આવશે એવા આપણા ક્રાંતિકારીઓ મુખ્ય માર્ગના દરવાજાથી, ડોરમિટોરીના આગળના મેદાનમાંથી ફાયરિંગ શરૂ કરશે. ક્વાટર્સ ક્લિયર કરી ક્રાંતિકારીઓ મુખ્ય દરવાજાએ આવશે.

જ્યારે જેલના તમામ અધિકારીઓ અને ફોજદારો સતેજ થઈ જશે, એ પછી આગળ વધવુ કપરુ થઈ જશે. કેટલાક સિપાહીઓ બંકરમાં છુપાયા હશે, એમનુ સ્પોટ અમને નથી ખબર, મને આશંકા છે આ સાલા અંગ્રેજોએ અંદર ક્યાંક માઇનસ લગાવી રાખી છે અને એમની પાસે એક મશીન ગન પણ છે. એવી બાતમી મળી છે. જો એમની પાસે મશીન ગન હશે તો મુશ્કેલી ઊભી થશે જ. જ્યારે ત્રણેય બ્લોકના જેલરો અને ચોકિયાતો બ્હાર જતા રહેશે એ પછી આપણે બ્હાર નીકળીશુ...

મારી સાથે અત્યારે આ જેલમાં જે યુવાનો છે, એ કોઈ લશ્કરી તૈનાત સૈનિક નથી. સામાન્ય યુવાનો છે. જેમને આ દેશ માટે કઈક કરવુ છે. આઝાદી માટે, વતન માટે જાન આપવા તત્પર થયા છે. તેમના આ જુનુનમાં હથિયારોની કુશળતા જરૂરી છે. માટે એમને પૂરતી તાલીમ મળે એ પણ જરૂરી છે. જેથી આગળ જતા અંગ્રેજોની બેન્ડ વગાડી શકે.” તે બે ક્ષણ થંભયો. મનુ ગળાડૂબ વિચારોમાં ખોવાઈ ગઈ. તેની ગરદન પર હાથ મૂકી તે બોલ્યો: “ફક્ત ત્રણ મહિના રાહ જોઈ લે મનુ, લઈ જઈશ હું, તને મારી સાથે.” સહદેવે આજીજી કરી, ચાલ્યો ગયો.

મનુની આંખોમાં ઝળઝળિયા આવી ગયા. તેના માનસપટ પર તેનો ભાઈ, તેનુ ઘર, શમાજી, તેનો બળદ, તેનું ગામ, ઇબ્રાહિમ વકીલ, હવાલદાર ઉપાધ્યાય, સહદેવ, કિશન-ટોળકી ચલચિત્રની જેમ તરી આવ્યા. તે સહદેવને પસંદ કરવા લાગી હતી. તે સહદેવને છોડવા તૈયાર ન હતી પણ તેના માટે તેના ભાઈને મળવુ એથી પણ વિશેષ હતું. સહદેવને કહ્યા વગર કિશન-ટોળકી સાથે ભાગી ગઈ તો સહદેવને દુખ થશે. અત્યારે આ બધા ભાવુક વિચારોમાં વધારે મગ્ન થાય એ પહેલા જ તેના મગજે પરિસ્થિતીયોગ્ય પ્રશ્ન લાવી મૂક્યો. કિશન-ટોળકીને શુ જવાબ આપવો? તેને આપવામાં આવેલા સમયનો આજે છેલ્લો દિવસ હતો. સહદેવે જણાવેલી તમામ વાત કિશન-ટોળકી માટે અસંગત અને બિનઉપયોગી હતી, જેથી યોજના જણાવાનો કોઈ તૂક બેસતો ન હતો. માટે ઉત્તર તરીકે મૌન લઈ તે એમની સમક્ષ ઊભી રહી ગઈ. 

“ક્રાંતિકારીઓએ યોજના જણાવાની ના પાડી મને.” મનુએ કહ્યુ.
“તને અમારી હારે લઈ જાવી કે નય એ તને હું ચમનો જણાવુ?” કિશન બોલ્યો.
“પણ હું તમારા કામમાં આવી શકુ સુ. મારી પાહે જેલની માહિતી સે, મને હથિયાર ચલાવતાય આવડે સે, એકાદ-બે હથિયાર હું લાવી આ...”
“મારી પાંહે બધ્ધી માહિતી સે ‘ને હથિયાર બી સે અમારી પાંહે.” મનુની વાત કાપતા કિશન બોલ્યો.
હવે તે નિરુત્તર બની ઊભી રહી ગઈ. થોડી ક્ષણો બાદ ચરણ બોલ્યો: “પણ ઇને હારે લઈ જાવામાં વાંધો હું સે?”
“હો, એમ પણ આપણે ચાર સીએ, એક જણ વધસે તો હું ખાટુ મોરું થઈ જાવાનુ?” નરેશે ઉમેર્યુ.
“તમારા બેયના આંટા ઢીલા થઈ ગ્યા સે કે હું? એકપણ...” કિશન બોલી રહ્યો હતો, અધવચ્ચે પરસોત્તમ અટકાવી તેને બાજુમાં લઈ ગયો.

“કિશના, પે’લી વાતતો એ કે આપણે આપણા પરગણાની હમજીને એન બા’ર હુધી લઈ જવા હા પાડી. અમ, જો એન ના પાડીશુન તો એ કોઈક્ન કહીયાવ તો આપણા માથે ઉપાધિ વધશે. ઈના કરતા ભલેન આવતી.” પરસોત્તમે સમજાવ્યુ. દરમિયાન ચરણ બંનેની ચર્ચા સાંભળવા આવી ચઢ્યો. “અન આ બંને પણ ઇન લીધા વગર મોનવાના નહીં, પેલીએ કીધુ તો સ કે’ ઇ હથિયાર લાવી આલવાની સ તો ભલેન લાવી આલતી.” બીજી થોડી ચર્ચા કરી ત્રણેય પાછા ફર્યા.
“રોણી જેવી લાગુ સુ તુ મને મનુ...” નરેશ મનુને જોઈ બોલ્યો અને તેના દેહને આવરણ વિના કલ્પવા લાગ્યો. એટલામાં ત્રણેય આવ્યા અને મનુને અંતિમ જવાબ આપી પોતાની કોટડી તરફ ભણ્યા. મનુ પણ તેની કોટડી તરફ ગઈ.

*


રાત્રે સૂતા પહેલા નીકળવાની આખરી યોજના જણાવતા પરસોત્તમે ત્રણેયને કહ્યુ: “આવતી કાલે જેલર વીંકલર અન બીજા અધિકારીઓ જુનાગઢ જવાના સ. એથી આપણને ભાગવામાં ઝાઝી તકલીફ નૈ પડે. રાતે જ્યારે બધા હુઈ જહે ત્યાર હૌથી પે’લા આપણી વિંગના ચોકિયાત પાંહેથી આપણે કોટડીની ચાવી કાઢવી પડશે. એ માટે કિશના તારે કાઇપણ કરી ચોકિયાત પાંહે તારી કોટડી ખોલાવી એન બેભોન કરવો પડશે. ઇ પસી તાર અમારી બધાની કોટડીઓ ખોલવાની, તારી કોટડીની જારી ખુલ્લી રાખી તારે ચોકિયાત જ્યાં બેહ સ. તઈ ઈની ખુરસીમાં બેહાડી સેલ્લી હરોળ બાજુ જાવાનુ, તઈ જે બીજો ચોકિયાત બેહ સ, ઈનુ ધ્યાન ખેંચી પાસુ તાર તારી કોટડીમાં આઈ જવાનુ સ. હું ત્યાં હુધીમાં મનુની કોટડીમાં જતો રઈશ. તુ તારી કોટડીમાં દીવાલ બાજુ ફરી જમીન પર હુઈ જજે. બીજો ચોકિયાત પે’લા ચોકીયાતન ખુરસી પર હુતેલો હમજશે. તારી કોટડીની જારી ખુલ્લી જોઈ ઇ આ બાજુ આવશે. તારી જારી આગર જેવો ઇ આવશે એવો તરત હું એના પર હમલો કરી દઇશ. ઇ પસી કિસનો અન નરીયો બંને ચોકિયાતની વરધી ઉતારી પે’રી લે’શે. પસી આપણે પોંચેય પગથિયાં આગર જઈશુ. કિસનો અન નરીયો નીચેના મજલે જે ચોકિયાત ઊભા હશે ઈમન પાડી દે’શે. ત્યાંથી આપડે બા’ર નેકરીશુ.

ઓપણા વિભાગથી હૌથી નજીક ચોગાન સ, ઈની બાજુમાં જમણવારનુ સ, તઈ ઉપર એક જણો બુરજ પર ચોકી કરતો ઊભો હશે. ઈની પાંહે મોટી બંધુક સ. દૂર હુંધી નેહાનો જાય એવી. બંતા સુધી એ હુતો જ હશે. નરીયો ઉપર સીડી ચઢી એન માર નાખશે. ઇ ઉપર ચઢ તઈ હુધી કિસનો નીચે હંતાઈન એના પર નેહાન તાકી રાખસે. ત્યાર પહી નરીયો ઉપરથી બધા ચોકિયાતો અન બુરજ પર ઉભેલા બધા ઠોલાઓન ગોળીએ દેશે. ઇ પહી વચમાં કોઈ આયુન હમ સ મા બહુચરાવાળીની હેકે હેકને ભડાકે દઇશ. તાંહી આપણે બધા હારે પે’લા દરવાજે જઇશુ, ન્યાં બોમ્બ ફોડી જારી તોડીશુ. તાંહી આગર વાંધો નય આવ.” પરસોત્તમે જણાવ્યુ. અંતમાં કર્તવ્યો અને પોતપોતાની ભૂમિકા નક્કી કરી ચારેય સુવા પામ્યા.

મનુ રસોઈનુ કામ સંભાળતી માટે તે છૂટથી હરીફરી શક્તી. આ છૂટનો તેણે ફાયદો ઉઠાવ્યો. ક્રાંતિકારીઓ તાલીમ માટેના હથિયાર અનાજ કોઠારના અંતિમ વિભાગમાં મુક્તા. બપોરના ભોજન સમયે ચુપકીથી મનુ ત્યાંથી બે રાઇફલ અને એક રિવોલ્વર ઉઠાવી કિશનની કોટડીમાં મૂકી આવી. એ પછી તેણે વિચારમંથન ચાલુ કર્યુ. તેને હવે ચિંતા બ્હાર નીકળવા કરતા નીકળ્યા પછીની હતી. ચાર નક્ટા ધાડપાડુઓ જોડે તે બ્હાર નીકળવા જઈ રહી હતી. આ મવાલીઓ તેની સાથે કઈક અયોગ્ય કરી બેસશે તો? ચરણ-નરેશની મંચ્છાથી તે વાકેફ હતી. એ વાતની ચિંતા એને હેરાન કરી રહી હતી. છતાં પોતાના ભાઈ માટે તે આ જોખમ વહોરવા તૈયાર થઈ હતી.

ભોજન બાદ સહદેવ તેને આમંત્રણ આપવા આવ્યો: “આજે વીંકલર અને બીજા અધિકારીઓ જુનાગઢ ગયા છે, ઝારખંડથી અમલદાર ગાયકવાડ આવવાના છે. સાંજે બધા સાથે બેઠક છે. તુ હાજર રહેજે. તારા વિષે ઉદઘોષણા કરવાનો છુ હું. સેનાના બધા લોકોને હું તારી સાથે મળાવીશ. તને સેનાની પ્રથમ મહિલા આગેવાન તરીકે નિયુક્ત કરવાની છે.”

આ સાંભળી મનુને જોરદાર આઘાત લાગ્યો. સહદેવે તેના માટે આટલું બધુ વિચાર્યું હશે એની તેણે કલ્પના કરી ન હતી. તે સહદેવ સાથે ખોટું કરવા જઈ રહી હતી. સહદેવ સાથે પણ અને અન્ય ક્રાંતિકારીઓ સાથે પણ. સેનાને દગો દેવાનું તેનું મન ન હતું થતું, ક્રાંતિકારીઓએ તેને માન આપ્યું, તાલીમ આપી અને સહદેવે નવું સંવેદન આપ્યું હતું. આ લોકોએ ખૂબ જ લાગણીથી તેને રાખી હતી. તેઓ મનુ સાથે ઐતિહાસિક ભવિષ્ય જોઈ રહ્યા હતા પણ તે અસમર્થ હતી. તેના ભાઈને મળવું એક અત્યંત જરૂરિયાત તેના માટે બની ગઈ હતી. વકીલે તેને દગો આપ્યો હતો, આ જાળમાંથી બ્હાર નીકળવા બહારવટિયાઓનો સાથે લેવો પડે તો પણ ભલે. કારણ સહદેવ સાથેનું ભવિષ્ય તેને તેનું ગામ અને તેનો ભાઈ બંનેને દૂર કરશે. આ વાત તે જાણતી હતી. અંગ્રેજો સામે લડતની પળોજણમાં પડવામાં તેને રસ ન હતો. અહીથી તે ભાગી શકે એટલે ફરી એ જ દાસી જીવન જીવવાની તે ઝંખના કરી રહી હતી. 

સાંજે પરસાળમાં સૌ ક્રાંતિકારીઓ ભેગા થયા. અમલદાર ગાયકવાડ પણ આવી ગયા હતા. સહદેવ તેમની પાસે ઊભો હતો, ગાયકવાડ ૬૫ વર્ષની ઉંમરના નિવૃત્ત અમલદાર હતા. રિટાયર્ડ થયા હોવા છતાં તેમનું શરીર મજબૂત અને પડછંદ લાગતું. તેમણે સફેદ ફ્રેંચકટ દાઢી અને સોલ્જરકટ વાળ રાખતા, ધોળા માથાના વાળને મળતા આવતા સફેદ રંગના ગોગલ્સ તેઓ પહેરતા. ટાઈટ ટીશર્ટ અને સોલ્જર ટાઈપ કાર્ગો પેન્ટ અને અંગ્રેજ અમલદાર જેવા મોટા બુટ પહેરતા. નિવૃત્તિ બાદ તેમને ખ્યાલ આવી ગયો કે હવે હિંદુસ્તાન માટે લડવું પડશે. એવા છુપા મનસૂબા સાથે ઈસ્ટ ઈન્ડિયા કંપનીમાં મહત્વની નિમણૂકના કામની માંગણી કરી હતી. ગાયકવાડે પૂર્ણ નિષ્ઠાથી સેવા પૂરી પાડી હતી માટે બ્રિટિશ સરકાર તેમનાથી ઘણી પ્રભાવિત હતી. ઈસ્ટ ઈન્ડિયા કંપનીનું કામ મળતા તેઓ બધી આંતરિક બાબતો અને હિલચાલથી વાકેફ થયા.

તેઓ ક્રાંતિકારીઓને યોગ્ય માહિતી આપી માર્ગદર્શન પૂરું પાડતા હતા. આજે ક્રાંતિકારીઓ સમક્ષ મહત્વના વિષય અંગે વાત કરવા તેમણે સેંટરલ જેલ આવ્યા હતા. મનુ પણ હાજર થઈ હતી. પ્રથમ અમલદાર ગાયકવાડે પ્રબોધન આપ્યુ: “હે ભારતપુત્રો... તમને તમારી મા માટે આવી લગનથી મહેનત કરતા જાઉં છુ તો મનેય વધારે કામ કરવાનુ પ્રોત્સાહન મળે છે. (સહદેવના ચહેરા પર હળવુ સ્મિત આવ્યુ) આજે મને સહદેવે જણાવ્યુ કે કેવી ધગસથી તમે સૌ તાલીમ લઈ રહ્યા છો અને એમાં નિપુણ પણ થઈ રહ્યા છો. આજે આ જોઈ મને ખૂબ જ આનંદ થાય છે. માટે હું આપ સૌ નૌજુવાનો માટે બે ખુશ ખબર લાવ્યો છુ. કોઈ અનુમાન લગાવશે કે શુ હશે ખુશ ખબર?”
“મિશાઈલ લોન્ચર હાથમાં આવી ગયુ કે શું” ટોળામાંથી કોઈક બોલ્યુ.
“બહિષ્કાર માટે વધારે ભંડોળ ભેગુ થયુ?” બીજુ કોઈક બોલ્યુ. સહદેવના હોઠ પર હાસ્ય રમી રહ્યુ હતું.
“બાપુએ બંદૂક ઉઠાવી લીધી કે શું?” ત્રીજુ કોઈક બોલ્યુ અને બધા હસવા લાગ્યા. સહદેવ ગંભીર થઈ આગળ આવી બોલ્યો:“લિમિટ!”

ગાયકવાડે હાથ આડો કરી તેને રોક્યો અને સંબોધવાનુ ચાલુ રાખ્યુ: “આવતા મહિને ઝારખંડથી એસ.મેમણ અને આપણી સેના ગુજરાત આવી રહી છે.” બધા આનંદથી શોરબકોર કરવા લાગ્યા. દરમિયાન સહદેવ બ્હાર કોઈકને મળવા ગયો. થોડીવાર રહી પાછો આવ્યો. અમલદાર ગાયકવાડે પોતાનુ ભાષણ પતાવ્યુ. એ પછી સહદેવે ઉદઘોષણા કરી કે મનુ તેમની સાથે જોડાવાની છે. સૌ ક્રાંતિકારીઓએ તાળી પાડી તેનુ અભિવાદન કર્યુ. સહદેવે મનુને પાસે બોલાવી અમલદાર સાથે મળાવી. દરમિયાન અંદર આવવાના માર્ગથી હવાલદાર તેજસ ઉપાધ્યાય અને ઇબ્રાહિમ વકીલ આવ્યા. સહદેવે વકીલને આવતા જોયા અને દોડતો જઈ પગે લાગી, એમને ગળે લાગ્યો.

મનુ આઘાતથી તેને જોઈ રહી, તેનો ચહેરો ઉતરી ગયો. થોડી ક્ષણો પહેલા જે જરાક સ્મિત હતું એ મટી ગયુ. આટલા સમયનો તમામ ગુસ્સો, ચિંતા, નિરર્થકતા, આક્રમકતા અને કરુણતા તેના ચહેરા પર સર્જાઈ. આંખોમાં એટલો ક્રોધ ભરાઈ ઊઠયો હતો કે તેની સામે ગુસ્સો પ્રસ્તુત કરે એટલી લાયકાતમાંથી પણ વકીલ ઉતરી ચૂક્યો હતો. આ ક્ષણે એ કેવી બની ગઈ છે અને એ પળે તે કેવી હતી. જે પોતાના બળદના મરવાના દુખમાં ગાંડિતુર બની રોડના છેડે રડી રહી હતી. એ વિચારવા લાગી. તેનુ વ્યક્તિત્વ જાણે પલટાઈ ગયુ હતું આ દસ મહિનામાં. કેટલી બધી લાગણીઓ જોડાઈ હતી બળદથી, કેટકેટલુ બદલાઈ ગયુ એના જીવનમાં એ બળદથી. ‘ને એના મૃત્યુથી સંડોવાઇ વકીલના પ્રપંચમાં.

તેની આંખો ઉભરાઇ ગઈ. વકીલે જે કર્યુ હતું એટલે નહીં પણ પોતે જે બની ચૂકી હતી એટલે. સહદેવ તેને મળાવા વકીલને પાસે લઈ આવ્યો. આંખ ફરક્યાં વગર તે વકીલને જોઈ રહી હતી અને જેવો તે નજીક આવ્યો મનુની આંખમાં ઝળઝળિયા આવ્યા, તેણે વકીલની ફેંટ પકડી એને ધક્કો માર્યો. સૌ કોઈ વિસ્મયકારકભાવે જોઈ રહ્યા. મનુનું આ વર્તન બધા માટે કલ્પના બ્હારનું હતું.

અચાનક ધક્કો વાગવાની વકીલને કલ્પના નહીં હોય માટે તે ત્રણ કદમ પાછળ ધકેલાયા ત્યારે ઊભા રહેવાનો નિરર્થક પ્રયાસ કરતા ગોથુ ખાઈ હેઠા પડી ગયા. “મનુ!” ગુસ્સાથી સહદેવે રાડ નાખી, વકીલની મદદે ગયો. મનુ એક ક્ષણ પણ ઊભી ન રહી અને ચાલવા લાગી. જાણે નાટકનુ દ્રશ્ય જોતા હોય એમ બધા જોઈ રહ્યા. કોઈના સમજમાં કઈ ન આવ્યુ કે શુ ચાલી રહ્યુ હતું. સહદેવ પણ અજાણ હતો મનુના આ કૃત્ય પાછળના તાત્પર્યથી. તેણે વકીલને ઉઠાવ્યા: “આપ ઠીક હૈ?”
“હાં, મેં ઠીક હૂઁ.” વકીલ ઊભા થતાં બોલ્યા અને પોતાના કપડા સાફ કરવા લાગ્યા.
સહદેવના ગુસ્સાનો પાર ના રહ્યો, મનુને જતા જોઈ એની પાછળ ગયો: “મનુ...!”
તે ઊભી ન રહી. સહદેવ એની પાસે જઈ કડકાઇથી એનો હાથ પકડી પોતાના તરફ ફેરવી. એની ગોળ મોટી આંખો પ્રચંડ બની ગઈ હતી.

“જતો રે’ તુ અહીંથી!” ચપટી વગાડી તેણે સહદેવને કહ્યુ.
“ભાન બાન છે તને? તે અત્યારે શુ કર્યુ? કોણ છે એ માણસ? ખબર છે તને કઈ?” સહદેવ તાડૂકયો.
“બધી ખબર છે મને, મને એ ન’તી ખબર કે તુ પણ એના જેવો હલકો હઈશ.” મનુ બોલી અને પોતાનો હાથ છોડાવ્યો.
“કોણ... શુ થયુ છે તને? કેમ આવુ બોલે છે?” વાતથી અજાણ સહદેવ પૂછ્યુ.
“તુ જાને, પડિયો રે’ એના ટાંટિયા હેઠે.” મનુ બોલી અને પોતાની કોટડી તરફ ચાલવા લાગી.

સહદેવ ઊભો રહી વિચારવા લાગ્યો શુ ચાલી રહ્યુ હતું. ઇબ્રાહિમ વકીલ પાછળથી આવ્યા. “સહદેવ ઉસ લડકી કો કોન્સી વીંગ મેં રખા હૈ?” સહદેવે રસ્તો બતાવ્યો અને બંને ચાલતા ચર્ચા કરવા લાગ્યા. મનુ તેની કોટડીમાં બેઠી બેઠી ગુસ્સાથી તપી રહી હતી. ઉપાધ્યાય આવ્યો અને મનુને બોલવા લાગ્યો: “બે તને ખબર પડે છે તે શુ કર્યુ? જો તો ખરી કોણ ઊભુ છે સામે, કોની સાથે તુ વાત કરી રહી છુ. સીધો એમ તુ ધક્કો મારે છે. સમજે છે તુ શુ પોતાને?”

“જો તારે જેટલા ચાટવા હોય ને એટલા એની સામે તળિયા ચાટજે. અહીંયા ભાષણ ઠોકવાની જરૂર નથી. જતો રે’ અહીંથી” તેની જીભમાંથી જાણે લાવા ઝરતો હોય.

ઇબ્રાહિમ વકીલ તેની કોટડી આગળ આવી ઊભા. મનુનો ગુસ્સો શાંત ન હતો થયો. તે ઊભી થઈ અને વકીલનુ ગળુ પકડી લીધુ. ઉપાધ્યાય અને સહદેવ છોડાવા આવ્યા વકીલે બંનેને પાછા જવા ઈશારો કર્યો. વકીલ તેની સામે જોઈ રહ્યા. બે ક્ષણ એમ જ કશુ પણ બોલ્યા વગર એની સામે જોઈ રહ્યા. તે પણ મૌન રહી વકીલનુ ગળુ દાબી જોઈ રહી. 

વકીલના ચહેરા પર જરાક પણ તણાવ ન હતો. ઊલટાનું તેઓ નિર્દોષભાવે મનુને જોઈ રહ્યા:“બડી તાકતવાર બન ગઈ હૈ લડકી તુ તો...” દસ મહિને તે આ પ્રલોભનકારી અવાજ સાંભળી રહી હતી. એનો અવાજ સાંભળી તેને વધુ ગુસ્સો આવી રહ્યો હતો પરંતુ વકીલના ચહેરા પર જે નિખાલસતા હતી. એ જોઈ તેનો આવેશ ઓગળી રહ્યો હતો. વકીલે બોલવાનુ ચાલુ રાખ્યુ:“કિસ બાતસે તુ નારાઝ હૈ? ક્યા હુઆ ઐસા?”
“તુ નથી જાણતો શુ થયુ છે?” વકીલને ઢંઢોળી, મનુએ પકડ હળવી કરી.
“નહીં જાનતા મેં, આજ હી તો ઝારખંડ સે મેં ઇધર આયા હૂ.”
“જુઠ્ઠું બોલીને ફસાવી મને, અહીંયા.” તેનો અવાજ ગળગળો થઈ ગયો.
“માફ કરના લડકી, મુજે નહીં પતા થા કી ઇતના વક્ત લગ જાયેગા. મુજે ઓર ભી કામ સંભાલને થે. ઇસ લિયે મેં આ નહીં પાયા.”
“જૂઠો છે તુ એક નંબરનો.” મનુ બોલી, એનુ ગળુ છોડી દીધુ. ઊંધી ફરી પોતાની આંખો લૂછવા લાગી. તે તેની કોટડીમાં ચાલી ગઈ. વકીલ અને સહદેવ પાછા ફર્યા. થોડીવાર બાદ ઉપાધ્યાય તેની કોટડીમાં આવ્યો:“તને સાહેબે બોલાવી છે, ચલ.”
“ક્યાં.”
“જેલરની ઓફિસમાં.”
“શુ કામ છે?”
“તુ જાતે પૂછી લે. મને નથી ખબર.”

જેલરની કેબિન બ્હાર સહદેવ અને વકીલ ઊભા હતા. વકીલે મનુને કહ્યુ: “ચલ, લડકી તુજે તેરે ઘર છોડ દેતા હું.” મનુ ચૂપચાપ એને જોઈ રહી. ”યે રહે તેરે કપડે. જલ્દી સે બદલ લે.” વકીલે કહ્યુ અને હવલદારે તેને કપડાનુ પોટલુ આપ્યુ. મનુ પોટલુ લઈ કપડા બદલવા જતી રહી. તે પાછી આવી ત્યારે સૌ ક્રાંતિકારીઓ તેને વિદાય આપવા ઊભા હતા. સહદેવ તેને જોઈ રહ્યો હતો. તે એની પાસે આવી.
“બસ, આટલે સુધી જ સાથ આપવો છે?” સહદેવે બોલ્યો.
“આપણે બેઉ અલગ છીએ સહદેવ.” 
“કીધુ કેમ નહીં એકવાર પણ તે મને?”
“શું થાત કહેવાથી? તુ મને તાલીમ આપત આવું બધુ જાણ્યા પછી?”
“યાર, હું બધી માહિતી લઈ આપત તારા ઘર વિષે, તારા ભાઈ વિષે અને જો યોગ્ય બેશત તો તને તારા ભાઈ સાથે મળાવી પણ દેત. (મનુ તેને જોઈ રહી) પણ તે ઇબ્રાહિમ સાહેબ સાથે જે કર્યુ એ બહુ જ ખરાબ કર્યુ છે. એ કેટલા અહંશૂન્ય છે તુ જોઈ રહી છું? હજુ પણ તને ઘરે મૂકવા પોતે આવી રહ્યા છે.”
“મને સરખી રીતે વિદાય નહીં આપે તુ?” મનુ ગળગળી થઈ આજીજી કરી.
“કેટલી હદે તુ જુઠ્ઠુ બોલી મનુ યાર... બ્હાર નીકળવા માટે મારી સાથે જોડાવાનુ નાટક કર્યુ તે.” સહદેવનો અવાજ તૂટું-તૂટું થઈ રહ્યો હતો.
“મને માફ કરજે, પણ હું આવીશ તારી પાસે હંમેશ...” મનુ બોલી રહી હતી, અધવચ્ચે સહદેવ ત્યાંથી જતો રહ્યો.

મનુ ચૂપચાપ જેલરની કેબિન તરફ ફરી. અન્ય ક્રાંતીકારીઓને મળી આગળ વધી. નરેશ-ટોળકી દૂર પરસાળની પાળીએથી તેને જોઈ રહ્યા હતા. પરસોત્તમે સ્મિત આપી, હાથ હલાવી જવાનો ઇશોરો કર્યો. મનુએ પણ આવજો કહેવાની ચેષ્ટા કરી. દસ મહિને તે જેલની બ્હાર નીકળી રહી હતી. તેને માનવામાં ન હતું આવતું આટલી સરળતાથી તે જેલની બ્હાર નીકળી શકશે. બ્હાર નીકળવા માટે કેટકેટલા ઉધામાં કરવા તે તૈયાર થઈ હતી. સહદેવ સાથે જોડાઈ, બહારવટીયાઓની ટોળકીમાં સામેલ થઈ, છેલ્લે તો નીકળવા માટે કોઈ અફસરને ઠાર કરવો પડે તો એ પણ કરવા તે તૈયાર થઈ હતી અને જ્યારે નીકળવાનો અવસર આવવાનો હતો એ પહેલા કહેલાં વાયદા પ્રમાણે વકીલ તેને છોડાવા આવી ગયા. ભલે, થોડા મોડા પણ આવ્યા ખરા. બ્હાર નીકળતી વેળાએ તેનું હ્રદય જોરથી ધબકી રહ્યું હતું, મનમાં ઘરે જવાનો હરખ અને આટલા સારા લોકોને ગુમાવવાનું દુખ થઈ રહ્યું હતું. વિદાય હંમેશા એવી જ હોય છે અપૂર્ણ. એક સ્થાનેથી બીજા સ્થાનની વિદાયનો પ્રસંગ એક એવો છે જેમાં કશુક મેળવાવનું સુખ અને કશુક ગુમાવાનું દુખ થતું હોય છે. વિદાય તેની અપૂર્ણતામાં જ સંપૂર્ણ હોય છે.

વકીલનો ટાઈપિસ્ટ ગાડી જોડે ઊભો હતો. એ જ જગ્યાએ ગાડી ઊભી હતી, જ્યાં પહેલા મનુ વકીલને મળી હતી. એ જ બધા સ્મરણો જીવંત થઈ ગયા. વકીલનું આવવું, તેનું જેલમાં જવું. પહેલી રાત્રે તો તે ડરી ગઈ હતી, આખી રાત જાગી હતી, મૌન અને ઉદાસ બની ફરતી, ધીમે ધીમે પરિચય કેળવતી થઈ, સહદેવને મળી, સેનાના ક્રાંતિકારીઓને મળી. એ લોકો પાસેથી આત્મરક્ષણ અને હથિયાર ચલાવતા શીખી, એ લોકો સાથે સ્નેહ કેળવ્યો અને ઘણી બધી યાદો સાથે તે ઘરે પાછી ફરી રહી હતી. વકીલે મનુ માટે ગાડીનો દરવાજો ખોલ્યો, મનુ બેસી અને વકીલ પણ તેની બાજુમાં પર બિરાજમાન થયા. ડ્રાઇવરે ગાડી ઉપાડી.

મનુ ખુશ હતી અને વકીલ સાથે જે કર્યુ એનો રંજ પણ થયો. તે ગાડીની બારીમાંથી બ્હારની દુનિયા જોઈ રહી. વર્ષો પછી જાણે પવનની લહેર એના ગાલે અડી રહી હોય એમ એણે અનુભવ્યુ. વકીલ તેની બાજુમાં બેઠા હતા. પોતાની બ્રીફકેસમાંથી એક થેલી આપતા કહ્યુ: “લડકી યે તેરી લોન કે કાગજ હૈ ઔર કુછ પૈસે હૈ.” મનુએ કાગળ સામે જોયુ.
“તુ બતા રહીથી કી તેરી લોન કે પૈસે બાકી હૈ, મેંને જબ તેરી લોન કે કાગજ દેખે તો ઉસમે સારે હફ્તે હો ચૂકે થે. તેરી ૨૫૦૦ રૂપે કી લોનથી. ઉસકા આખરી હફ્તા જીસ મહિને તુ યહાં આઈથી ઉસી મહિને ખતમ હો ચુકા થા.”
“પણ મને તો શમા બાપુએ કીધુ’તુ અરધી લોનના પૈસા બાકી છે. લોન તો ૫૫૦૦ની હતી ને?”
“તુ જબ યહાં આઈ ઉસકે અગલે દીન મેં તેરે ગાંવ ગયા થા, ઓર જીસસે તુને લોન કરાઇ થી, ક્યાં નામ... શમા બાપુ. મેં ઉસસે મિલા થા. ઉસસે મૈને લોન કી બાત કી ઓર કાગજ માંગે. ઉસમે સાફ સાફ લીખા થા કી ૨૫૦૦રૂ. તેરી લોન કે હૈ ઓર ૫૦૦રૂ. ડિપોઝિટ ભરી હૈ. બાદ મેં મૈને લોન કે કાગજ લીએ ઓર તેરે ભાઈ કો ડી.કે ઊંચડીવાલા હોસ્ટેલમેં દાખિલ કરવા દીયા. ઇસ થેલીમેં તેરે ઘર કી ચાબી, થોડે પૈસે ઓર લોન કે કાગજ હૈ.” વકીલે કહ્યુ.
આ સાંભળી મનુ આશ્ચર્ય પામી. તેણે થેલીમાં પૈસાની એક ગડી વાળેલી જોઈ. તેણે પૂછ્યુ: “આ શેના પૈસા છે?”
“તુ રખ વો પૈસે. તેરી કમાઈ કે હે વો. તુ જીતને દીન ઝ્યાદા જેલમેં રહી ઓર તુને હમારી મદદ કી વો સબ મિલા કે તુજે દીએ હૈ, ઔર ફિરભી કમ લગે તો બેજીજક માંગ લેના.”

મનુ મનમાં બબડી: મતલબ આ ૧૦મહિના ખાલી ખોટી જેલમાં ફસાઈ રહી? ત્યાંથી નીકળવા કેટલા ધમપછાડા કર્યા હતા. કેટકેટલું સહન કરવું પડ્યું બધુ એળે ગયું. એક રીતે તો સાવ એમ પણ ન કહેવાય. મારો ભાઈ સારી જગ્યા એ ભણવા લાગ્યો છે. અહીથી પૈસા પણ મળ્યા અને તાલીમ પણ મેળવી. છતાં તેનું માનસ બદલાયું હતું. જેલમાંથી કઠોરતા, રૂક્ષતા અને તામસીપણું એણે મેળવ્યું હતું. સતત પુરુષોની આસપાસ રહેવાના કારણે અને એમાં પણ જેલમાં સજા કાપતા ગુનેગારોની પાસે રહેવાથી તેનામાં થોડી અસભ્યતા અને સ્વભાવમાં બરછટતા આવી ગઈ હતી. બે ઘડી શાંતિ જળવાઈ રહી. ત્યારબાદ મનુ બોલી: “મારે મારા ભાઈને મળવુ છે.”
“વો બરોડામેં હૈ, રવિવાર કો તુ મિલને જાના ઉસે. ઉસ દીન ઉસકી છુટ્ટી હોગી.”
“સારું.” મનુ બોલી.

અરધો કલાક બાદ તેઓ ગામ પહોંચી ગયા. ગામમાં દાખલ થવાનો એક જ માર્ગ હતો. માટે રસ્તામાં ગાડી આવતી જોઈ બધા મેળો જોવા આવ્યા હોય એમ રસ્તા પર, પોતાના ઘરથી, ધાબા પરથી જોવા લાગ્યા. દરેક ગલીઓ અને ડેલીઓમાં વાયરાની માફક વાત પહોંચી ગઈ. ગામમાં ચાર પૈડાવાળી ગાડી આવી છે. એની અંદર કોણ બેઠુ છે. તે ઓળખવામાં ઘણા સફળ થયા પણ નિજની નજરો પર વિશ્વાસ ન હતો બેસતો કે મનુ પોતે તે ગાડીમાં બેઠી હતી. એ મનુ જે રજપૂતોના ઘરનુ વાસણ-પોતુ કરતી, એ મનુડી જે ગુજરાન ચલાવવા છાણાં વેચતી. હા, એ જ મનુડી ગાડીમાં બેઠી હતી અને વાયુવેગે તેના આગમનના સમાચાર ગામમાં પ્રસરી ગયા. ચાર-પાંચ નાના છોકરા-છોકરીઓઓ ગાડીની પાછળ દોડી રહ્યા હતા. નાના છોકરાઓ તો ઠીક મોટી ઉંમરના લોકો પણ ગાડી ક્યાં જઈ રહી છે એ જોવા પાછળ પડયા. અચાનક મનુ ધનાઢ્ય માણસોમાંની એક બની ગઈ, કીર્તિમાન વ્યક્તિમાંની એક બની ગઈ. મનુને તેનું ઘર જોવા અધિરી બની રહી હતી. તેના ઘર આંગળે ગાડી ઊભી રહી.

આખુ ગામ તેના આંગણે ભેગુ થઇ ગયુ. મનુ ગાડીમાંથી બ્હાર આવી. ઉતરતા સાથે ઊંડો શ્વાસ લીધો. એના આંગણાની સુગંધિત માટી નાકમાં પ્રસરતા એનાથી રહેવાયુ નહીં, તે નીચે બેશી ગઈ અને થોડી માટી હાથમાં લઈ સૂંઘવા લાગી. માટીની ફોરમે જાણે આટલા સમયથી સૂઈ ગયેલી એની આત્માને ઢંઢોળી નાખી હોય એમ તે પ્રફુલ્લિત થઈ ગઈ.

તેની પાછળ ગામ આખુ ટોળુ વળી ઊભુ હતું. આજુ-બાજુના મકાનોના ધાબા પરથી, આંગણાએ, બારીમાંથી અને રસ્તા પર લોકો ભેગા થઈ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. મનુ ઊભી થઈ તેના ઘર તરફ જોયુ. તેની છાતીમાં હરખ માંતો ન હતો. એની નજરોએ તો ઝાકળ છલકાવી. ઘરના પ્રાંગણમાં ઊભી રહી અને સાષ્ટાંગ ઘરના દરવાજાને પગે લાગી. થેલીમાંથી ચાવી કાઢી, તેણે ઘર ઉઘાડયુ. વકીલને અંદર બોલાવ્યા.

“ઊભા રહો, હુ ખુરશી લઈ આવુ.” કહી તે બ્હાર નીકળી. હજુ લોકો બ્હાર જ ઊભા હતા. પાડોશમાં રહેતી જાનકીના ઘરે તે ગઈ. બ્હાર ઓંસરીમાં બેઠેલા લવજીકાકાને દૂરથી પગે લાગી તે અંદર ગઈ. “એલિ જોનકી...” તેણે બૂમ પાડી. રસોડામાંથી જાનકી આવી. તેને જોઈ જાનકી પણ ખુશ થઈ ગઈ. બંને બેનપણિયોએ એકબીજાને બથ ભરી.
“અલી મનુડી... ચમની શુ તુ? ચમ, આમ અચાનક જતી રઈતી હેં? અન હુ કર્યુ આટલા દા’ડા?” જાનકીએ વ્હાલથી તેના ગાલે હાથ ફેરવતા એક જ શ્વાસે બધુ પૂછ્યુ.
“કહું, કહું મારી મા બધુ જ કવસુ, પે’લા મને આ ખુરશી લઈ જવા દે, ઘેર પેલા વકીલ આયા’સ.” કહી તે પાછળના ઓરડામાંથી ખુરસી કાઢી લઈ ગઈ.

મનુએ વકીલને ખુરશી આપી, પોતે નીચે બેશી. તેણે ચાનુ પૂછ્યુ. વકીલે ના પાડી કહ્યુ: “મુજે જાના પડેગા જલ્દી સે, મેં તુજે ઈતના બોલને રુકા હું કી જો કુછ હુઆ ઉસમે મેરી સારી ગલતી નહીં હે. હાલત કુછ ઐસે હો ગએ થે કી મે કુછ કર નહીં પાયા. ફીર ભી મે તુજસે માફી માંગતા હુ.”
“અરે નહીં. માફી મારે માંગવી જોઈએ તમારે નહીં.” માનપૂર્વક તેણે વકીલને કહ્યુ. 
“અબ મૈને તુજે જેલસે છૂડવા લિયા હે, લેકિન તુજે હર મહિને એક બાર અંગૂઠા લગાને જેલ આના પડેગા. જીસસે ઓર કોઈ મુસીબત ખડી ના હો.. તુ આએગી તો અચ્છા રહેગા હમારે લીએ.” વકીલે વિનંતી કરી.
“હું આવીશ.” મનુએ વકીલની વાત માની.
“તુજે હર મહિને અંગૂઠા લગાને કે ૫૦૦રૂ. મિલેંગે.”
“સારુ.” તેણે કહ્યુ અને વકીલને વિદાય આપી.

*


મનુ ગામમાં બધાને મળી, ખબર-અંતર પૂછી આવી. ગામ લોકો અત્યારે જે મનુને જોઈ રહ્યા હતા, એ મનુ પહેલા જેવી મનુ ન હતી. અત્યારે તેનામાં ચપળતા અને થોડો અહંભાવ લાગી રહ્યો હતો. કેવી રીતે તે આવી થઈ ચૂકી હતી, એ સમજાવવું કે પોતે સમજવુ અઘરૂ હતું. બીજા દિવસે ગામનો આંટો મારી આવી. તેને તેની જિંદગી પાછી મળી ગઈ હતી. ત્રણ દિવસ એમ જ પસાર કર્યા બાદ રવિવારે તે એના ભાઈને મળવા બરોડા ડી.કે.ઊંચડીવાળા છાત્રાલય ગઈ.

છાત્રાલય પહોંચતા પહેલા તે એના ભાઈ માટે તાજા ફળ અને નાસ્તો સાથે લેતી ગઈ. છાત્રાલયના સ્વાગત મેજ પર જઇ તેણે તેના ભાઇનુ નામ જણાવ્યુ. અધિકારીએ તેને ૫ મિનિટ રાહ જોવા કહ્યુ, તે પ્રતીક્ષાલયમાં બેસી. વિચારી રહી હતી કેવો લાગતો હશે દેવો? જેને મળવા માટે છેલ્લા દસ મહિનાથી તે તરસી રહી હતી, આજે એને મળવાની ઘડી આવી ગઈ. દેવાને મળવા તે અધિરી બની ગઈ.

૫ મિનિટ બાદ તેનો ભાઈ આવ્યો. તેણે શર્ટની નીચે અંગ્રેજો જેવુ પેન્ટ પહેર્યુ હતું અને માથુ શીસ્તબદ્ધ ઓળયુ હતું. મનુ તેને જોઈ બે ક્ષણ અવાક બની ગઈ. આ એ દેવો ન હતો જે મેલુ ખમીસ અને ઢીંચણ સુધીનો ચડો પહેરી ખેતરોમાં દાડિએ જતો હતો. આ દેવેન્દ્ર હતો. ધોરણ ૭માં ભણતો છાત્ર. શિસ્તબદ્ધ રહેતા અને એક નિયમિત રહેણીકરણીની ઢબ તેનામાં દેખાઈ રહી હતી. તેનો ચહેરો નિસ્તેજ હતો. તે ચુસ્તબદ્ધ ચાલતો આવી મનુ સામે ઊભો રહ્યો. મનુ ભીની આંખે હરખથી તેને જોઈ રહી.

મનુ તેની નજીક આવી અને તેને વળગી પડી. વ્હાલથી તેના માથે, ગાલે હાથ ફેરવ્યો. તેણે પહેરેલા ઇસ્ત્રી કરેલા શર્ટની બાંય પર હાથ ફેરવી કઈ ભાતનુ કાપડ છે તે તપાસ્યુ, કાપડ પર સહેજ કરચલી પડી એટલે તેણે હાથ વતી સીધી કરવા લાગી. મનુમાં હરખ સમાતો ન હતો. તેનો ભાઈ સરકારી અફસર જેવો લાગતો હતો. ફરી તેણે દેવાને બાથ ભરી અને તેના ગાલ પર ચુંબન કરવા લાગી. હરખના આંસુ સાથે તેના ભાઈને તે વળગી રહી. દેવેન્દ્રનો સુદ્રઢ વર્તાવ જોઈ લોકો સમક્ષ આત્મશ્લાઘા કરવાનું મન થઈ આવ્યું કે દેવો મારો ભાઈ છે. જે અત્યારે સરકારી ઓફિસરની જેમ તૈયાર થઈ મારી સામે ઊભો છે.

તે દેવાને પૂછવા લાગી. શું કર્યુ આટલો સમય, અહી રહેવાનુ કેવુ છે? મારી યાદ આવતી હતી? એવુ બધુ. દેવો તેને અંદર ઘાંસવળી જમીન પર જ્યાં બાકડા મૂક્યા હતા, ત્યાં લઈ ગયો અને ત્યાં બેસી અલક-મલકની વાતો કરવા લાગ્યા. વાતોનો તો જાણે અંત જ આવવાનો ન હતો એ દિવસે. બેય ભાઈ-બહેને બહુ બધી વાતો કરી. એકબીજાના ખબર અંતર પૂછ્યા. દેવાએ પછી તેને આખી નિશાળ બતાવી. નિશાળમાં બે મોટા મેદાન હતા. ક્રિકેટ અને ફૂટબોલના, ત્યાર પછી પુસ્તકાલય અને પ્રયોગશાળાની મુલાકાત અપાવી. શાળાનું કેફેટેરિયા બતાવ્યુ અને જણાવ્યુ ગામ કરતાં કેવી અલગ જીવનશૈલી તે જીવી રહ્યો છે.

મનુ આ બધુ જોઈ ખૂબ જ ખુશ થઈ. તે પોતાના ભાઈને ભાગ્યશાળી માનતી હતી કે ગામડાની એ ધૂળમાંથી નીકળી તે અહી એક નવી પ્રકારની જીવનશૈલી જીવી રહ્યો હતો. તે ખુશ હતી એના માટે. મુલાકાત બાદ મનુ દેવા માટે જે ભેટ લાવી હતી એ આપી અને વિદાય લીધી. જતાં જતાં પોતાનુ ધ્યાન રાખવા કહ્યુ અને આવતા મહિને મળવા આવવાનો વાયદો આપ્યો.

*


પાછા આવી તેણે પોતાની સેવા કરવા સીવાય બીજુ કઈ કામ બચ્યુ ન હતું. બે મહિના સુધી ઘર ચલાવી શકાય એટલા પૈસા હતા. આવતા મહિને જેલમાં અંગુઠો લગાવી આવી ૫૦૦રૂ. વગર મહેનતે કમાવના હતા. એટલા પૈસાથી મહિનો આરામથી નીકળી જવાનો. છતાં, એક ઇતિહાસ હતો તેનો આ જગ્યાએ, એક કામવાળી તરીકેનો. જે લોકોના ઘરે વાસણ-પોતું કરતી. દરબારોના ઘરેથી અનાજ માંગી લાવતી. આ વિચાર તેને તેના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો કરતો હતો. તે કોણ છે હવે? તેના જીવનના હવે ચાલકબળ કયા? જે બધી ઘટના તેના જીવનમાં બની હતી, એનાથી તે પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવી રહી હતી.

તેને કઈ સૂઝતુ ન હતું કે શુ કરવુ? સવાર-સાંજ ઘર બ્હાર ઓંસરીમાં બેશી આવતા-જતા ગ્રામજનોને જોઈ રહેતી. હા, તે સુવાનુ કામ દિવસમાં ૨ વાર કરી રહી હતી. જમવાનુ કરી, ઘરના નાના-મોટા કામ પતાવી, તેની પડોશણ જાનકીના ઘરે બેસવા જતી રહેતી. એ રીતે બીજા થોડા દિવસ પસાર થયા. 

એક બપોરે તે જાનકીના ઘર આંગણે બેઠી હતી. ત્રણ છોકરીઓ ફળિયામાં રમી રહી હતી. મનુએ તેમને રમતા જોઈ. તેણે સતીશની છોકરીને પાસે બોલાવી.
“અંજુ, તમે બધીય ચમ આયાં સો? નેહાર નૈ જઈ?” મનુ બોલી.
“માર તો પતી જઈ નેહાર... ચ્યારની.”
“ચૈ રીતે? બીજા સોકરાઓન મું જોવસુન હવાર નેહાર જતાં, પેલો જીત્યો તારી ભેગો જ ભણતો’તોન?”
“હા.”
“એનય મેં હવાર દફ્તર લઈન જતાં જોયો’તો.”
“પન એ તો બાજુના ગોમ જાય સ ભનવા. આપના ગોમમાં ચ્યાં ચોથા ધોરનથી આગર ભનાવ સ?”
“તો તન ના મોકલી તાર બાપાએ?”
“ના. બાજુન ગોમ આવવાના-જવાના પૈસા ના થાય?”

આ સાંભળી મનુ અચંબો પામી. જાનકી હાથમાં તુવાર ફોલવા તાંસળી લઈને આવી. અંજુ પાછી રમવા ચાલી ગઈ. જાનકી મનુ સાથે વાત કરી રહી હતી પણ તેનુ મન વાતમાં ન પરોવાયુ. મનુ અંજુને જોઈ રહી હતી. અરધી મિનિટ પછી જાનકીને ખ્યાલ આવ્યો, મનુ બેધ્યાન છે. તેણે એને બોલાવી:
“ચ્યાં ગુમ થૈ જય મનુડી?”
“વિચારુસુ આ સોડીનુ ભવેષ્ય હું થહે.”
“હું થવાનુ એટલે? આ હમડા ૫ વરહ પસી ૧૩,૧૪ વરહની થઈ જશે એટલે એન બાપો પૈણાઈ દેશે ઇન. ઘર માંડશે એ કો’કનુ. મું વિચારું મારય એક સોડી હોત તો હારુ હતું, ઘરમાં હાથ તો મંડાવત...” કહેતા તે ક્યાંય આગળ વાત લઈ ગઈ.

મનુ ચૂપચાપ બેધ્યાન બની અંજુને જોઈ રહી હતી. વિચારવા લાગી કે પોતે ભણી ન શકી. તેના બાપાને દારૂની લત હતી અને મા બિચારી કામવાળી. દારૂડિયા પતિના કારણે તેની મા ભેદી રીતે એકવાર ઘરમાં મૃત પામી. મનુ અને તેનો ભાઈ મા પછી અનાથ જેવા જ થઈ ગયા. દારૂડિયો બાપ આખો દિવસ દારૂ પી ઘરમાં બેભાન પડ્યો રહેતો. છેવટે બાળપણથી જ નાની મનુ લોકોના ઘરે વાસણ-પોતું કરી બે ટંકનું જમવાનું કમાવા લાગી હતી. ત્યારે દેવો માંડ ચાર વર્ષનો થયો હશે અને એમના બાપાએ પણ દારૂમાં જીવ ગુમાવ્યો. ત્યારે મનુ ૧૨ વર્ષની હતી અને ઘરના બધા કામ કરી જાણતી અને પૈસા કમાઈ ઘર પણ ચલાવતી. મમ્મીની બહેને પોતાના ત્યાં રહેવા આવી જવા કહ્યું પણ મનુ તેનું અને તેના ભાઇનું ધ્યાન રાખી શક્તી હતી, એમાં પણ બે ઓરડા આગળ આંગણું અને પાછળ વરંડા જેવી જગ્યા શુની ન મુકાય માટે બેય ભાઈ-બહેન પોતાના ઘરે જ રહ્યા.

પાડોશીઓનો બંનેને ઘણો સહકાર મળ્યો. તેમના આડોશ-પાડોશમાંથી કો’કનુ કોક મનુના ઘરે રાતે સુવા આવતું. જેથી બેય ભાઈ-બહેનને એકલું ન લાગે અને ક્યારેક વાસના લોકો અનાજ અથવા શાકભાજી પણ આપતા. ઘર ચલાવામાં અને તેના ભાઈને ઉછેરવામાં મનુએ પોતાનું ભણતર છોડવું પડ્યું. આ બાબતનો તેને રંજ રહી ગયો. જો તે ભણી ગણી હોત તો શમાજી ક્યારેય તેને મૂર્ખ બનાવી ૨૫૦૦રૂ.ની લોનના ૫૫૦૦રૂ. કહી લૂટવાનો પ્રયત્ન ન કરી શક્ય હોત. અત્યારે આ છોકરીઓ પણ બાજુના ગામ ભણવા નહીં જઈ શકવાના કારણે કેટલું બધુ ગુમાવી રહી છે. જાનકી એક મિનિટમાં ઘણુ બોલી ગઈ. મનુ ક્યારની આ બધા વિચારમાં ખોવાયેલી હતી. મનુને બેધ્યાન બનેલી જોઈ તે બોલી: “અલી ચમ ચૂપ સુ? કશુક બોલ ક.”
“હા...” મનુએ લાંબો ઉદગાર છોડ્યો અને જાનકીને જોઈ રહી. પાછી જાનકી બીજી વાતે ચઢી ગઈ. થોડીવાર બાદ મનુએ પૂછ્યુ: “તે લી આ જીત્યાન બાજુન ગોમ ભણવા મેલ્યો, તે ચેટલા રૂપિયા થ્યા તા?”
“અલી હા... એ વાત તો તન કે’વાની રય જ જય. હાંભર આ વૈશાખ બેઠોન તાર આપણાં વાહના બધા ભાયડા ભેગા થ્યા અન આપણી નાતના જેટલા સોકરા ચોથામાં આયાં ભણતા’તાન એમના નોમ બાજુન ગોમની નેહારમાં આગર ભણવા હાટુ લખાઈ દીધા. પેલા મૂળજીભઈ નૈ? ચારા વારા?” કહી તે બે ક્ષણ થોભી. મનુએ માથું હંકારી હા પાડી. પછી તેણે આગળ બોલવાનુ શરૂ કર્યુ.

તો એ મૂળજી રોજ હવાર ચારો વેચવા બાજુન ગોમ નેહારના ટાણે જાય સ. તે આપણા ગોમના સોકરાઓન હારે લેતો જાય પણ એ ખાલી સવર્ણના સોકરાઓન જ હારે લઈ જતો’તો. આપણા સોકરાઓન ના પાડી. કે’તો તો કે આ ભાંગીયાવના સોકરાઓ અમન અભડાઈ મૂક. તો આપણા વાહના બધા આદમી ભેગા થૈ રાઘજી બાપુન કીધું, તો રાઘજી બાપુએ એમની મેડી આગર બધાન બોલાયા અન મૂળજીન કીધુ કે ગોમના બધા સોકરાઓન તાર નેહાર લય જવાના. તે બીજા દરબારુંઓ એ વાંધો ઊઠાયો કે આ નીકુ હાફ કરવા વારા, ઉકરડામાંહી ઉઠીન આઈ અમારા સોકરા હારે બેહ...! જરાય નય.

મૂળિયાએ પણ વાતમાં હા પુરાઈ. રાઘજી બાપુ બે ઘડી વેચારમાં પડ્યાં અન પહી જબાબ આલ્યો. મૂળજી આ સોકરાઓના નોમ નેહારમાં લખાઈ જ્યાસ, તઈ એમના નોમ બોલ સ. હવ સોકરાઓન લઈ જાવા પડ... તે પેલો મૂળિયો બોલ્યો કે પણ બાપુ... તે રાઘજી બાપુ હમજી જ્યાં ઈની વાત. તે બોલ્યા કે હારુ. આ બધા એમના સોકરામ્ન નેહાર મોકલવાના તન રોજ ૨-૨ આના આલશે બસ? આ સાંભળી બીજા દરબારું ભડકી ઉઠ્યા કે આવું તે ચમનુ થાય.

એનોય ઉકેલ બાપુએ આલ્યો અન બધા દરબારુંન કીધું કે આ એક વરહ સોકરાઓન ભણાઈ લેવાદ્યો. પસી આપડા વાસના આદમીઓન કીધું આવતા વરહથી તમાર સોકરોન નામ ઉતારાવડાઈ લેજો ળ્યા.” હરખાતા જાનકીએ આખી વાત કહી. મનુ સાંભળીને વિચારમગ્ન થઈ ગઈ. એ પછી ઉમેરતા જાનકી બોલી: “ચેવુ સરસ થૈ જ્યુ નૈ, ઓપણા અન દરબારૂના સોકરા હારે ભણવા જાય સ.” રાજી થતા જાનકી બોલી.
“એમાં હું હરખાસ તે? સેલ્લુ વરહ સ સોકરાઓનુ, પહી ચ્યાં ભણવા મોકલસો?” મનુ થોડી અકળાઈને બોલી.
“તે નૈ ભણાઈએ આગર, એમ્ન ચ્યાં આપડે કલેકટર હોફિસર બનાવા સ. એ પસી એના બાપા ભેગુ દાડીએ લાગી જાહે.” તુવેર ફોલતા જાનકી બોલી.
“હું બોલ સ, ગોંડા જેવી હાવ.” કહેતા મનુ ઊભી થઈ અને ત્રણેય છોકરીઓ પાસે ગઈ. એમની સાથે વાત કરી. જાનકી બેઠા બેઠા જોઈ રહી.
“અંજુ... બેટા તાર અન સોડિયું તમાર આગર ભણવું સ?”
“હોવ.
“હા”
“પન અમે તો ભની લીધું.” બીજી એક છોકરીએ કહ્યું.
“હા, મન ખ્યાલ સ. મુ આગર ભણવાની વાત કરું સુ.”
“આગર?”
“આગર? ચૈ રીતે?” અંજુ બોલી.
કોઈ ગુપ્ત વાત કહી રહી હોય એમ મનુએ ત્રણેયને કહ્યું:”ગાડામા.”
“હે?”
“ખરેખર?”
“પાકું?” ત્રણેય છોકરીઓ ખુશ થઈ ખાતરી કરવા પૂછ્યું.
“હા... પાકું. જો તમાર ભણવું જ હોય તો હું તમારી વ્યવસ્થા કરી શકું.”
“હા, મારે ભણવું છે.”
“મારેય ભણવું છે.”
“મારે પન.”
“સારું.” મનુ બોલી.

થોડીવાર બાદ ત્રણેય છોકરીઓ ખુશ થઈ નાચવા લાગી અને અંજુએ મનુના ગાલે બચી કરી. મનુએ પણ તેને બચી કરી એના માથે હાથ ફેરવ્યો અને પાછી આવી. તે ત્રણયે પાછી રમવા લાગી. જાનકી દૂરથી આ બધુ જોઈ રહી હતી. મનુ આવી એટલે પૂછ્યું:“હું કરવા જય’તી?”
“સોડીયુની મરજી જાણવા.”
“શેની મરજી?”
“આગર ભણવું સ કે નય એની.”
“હા...હા!! પસી?” વાત હળવામાં લેતા જાનકી બોલી.
“એમના બાપાઓન વાત કરવી પડશે.”

*


સાંજે વાસના બધા આદમી અને બૈરાંઓને મનુએ પોતાના ત્યાં બોલાવ્યા. જમવાનુ પરવારી સૌ તેના ત્યાં એકઠા થયા. જાનકી સિવાય અન્યને ચર્ચાના વિષય અંગે ખબર ન હતી. તે આવી ત્યાં સુધીમાં ફળિયાના ૩,૪ આદમી અને બૈરા આવી ગયા હતા. સૌ કોઈ અંદરો-અંદર ચર્ચા કરી રહ્યા હતા કે બધાને અહી બોલવાનો હેતુ શુ? જાનકીએ એની આદત મુજબ બધાને વાત જણાવી દીધી કે શેના માટે ભેગા થયા છીએ. તે બોલી રહી હતી એટલામાં મનુ અંદર પોતાની પથારી બિછાવી બ્હાર આંગણે આવી. ત્યાં સુધીમાં બીજા ચાર આદમી અને સ્ત્રીઓ આવી ગયા. બધા આવી ગયા એ પછી મનુએ વાત ચાલુ કરી.
“તમારી સોડીયુન આગર ભણવુ સ તો તમે ચમ એમ્ન ભણવા નય મોકલતા?” જે તરફ આદમીઓ ઊભા હતા, એમને ઉદ્દેશી તે બોલી.
“હવ સોડીયુન હું આગર ભણાવાની? ચાર ચોપડી ભણી એટલે બોવ.” સતીશ બોલ્યો.
“આગર ભણાવા ગોમમાં નેહાર પણ હોવી જોય ક.” એક આદમી બોલ્યો.
“બાજુના ગોમ જાય સ તો ખરી બીજાના સોકરા...” મનુ બોલી.
“સોડીયુન એમ એકલા બાજુન ગોમ મોક્લાતી હશે!” બીજો એક આદમી તાડૂકયો.
“તો, દરબારુંના સોકરાઓ જોયા સ તે? એકાદ સોડીન કઈક કર નાખ તો કુન કે’વા જવાના આપડે?”
“તમારી સોડીયુ એકલી થોડી સ, દરબારુંની સોડીયુ ય જાય જ સ ન, એમની બેનપણીઓ હારે જ સ ન અન બધા હારે જ સૂટ સ, આપડા ફળિયાના સોકરાઓ હારે જ આવશેન.” મનુએ કહ્યુ.
“પન, આગર ભણાવાના પૈસા નો થાય?” બૈરાઓમાંથી કોઈક બોલ્યુ.
“હા... રોજ-રોજ ચ્યાંહી લાવવા ચાર આના?” એક આદમી તમાકુ મસળતો બોલ્યો.
“આખા મહિનાનો સવા એક રૂપિયો થાય મૂળજીન આલવાનો. તારી તમાકુના ૫ રૂપિયા થાતાં હશે અઠવાડીયાના. સોડી હાટું એક રૂપિયો ના નેકરે તારાહી?” મનુએ એને પૂછ્યુ. થોડીવાર બાદ બધાને પૂછ્યુ: “તમે બધા એટલા નમાલા થઈ જ્યાસો, તમારી સોડીયુ માટે મહિનાનો ૧રૂપિયો ના નેકારી હકો?

બે ઘડી શાંતિ ઝળવાઈ રહી. એ પછી એક આદમી બોલ્યો: “સવાલ ૧ રૂપિયાનો નહીં, પણ આયાં ઘેર રે’તો ઘરના કોમ શીખ. જો ઘરના કોમ આવડશે તો કો’ક ઇનો બાપ ઇન માંગુ આલશેન.”
“પણ એ તો નેહારેથી આયીન પણ શીખી હક સ ન...આમય ઈની નેહાર બપોરની સ. બપોર ઘોરયા હીવાય હું તે હું શીખવાડી દીધુ તાર સોડીન?” મનુ બોલી. બે ઘડી શાંતિ જળવાઈ રહી.
એ પછી એક બાઈ બોલી: “ઇ બધુ તો બરાબર પણ ઘેર રે’ તો શુ કો’કના ખેતરે દાડીયાની જરૂર પડે તો ત્યાં જય હક ન. ત્યાંહી કમાઈન બે-પાંચ પૈસા ઘેર આલ.”
“હોવ, અન ચ્યારેક તો કો’ક દરબારના ખેતરે જય હોય તો તાંહી શાક બી લઈ આવ.” કહી એક બૈરી સાડીથી ઢાંકેલા મોઢે હસવા લાગી.
“સરસ... એમ જ હોય તો તારા સોકરાનય ઉતારી લેન નેહારમાંહી, હું કામ ઇનય ભણાવુસુ? બેયન લગાડી દે, દાડિએ...” મનુ રોષે ભરાઈ. થોડીવાર બાદ તે બોલી:

“અન આ હાંભળી લેજો, જે દા’ડે તમારી સોડી દાડિએથી વધારે શાકભાજી કે વધારે દાડી લાવન, તો ખુશ થતાં પે’લા જોજો સોડી રાતે ખાવાનુ માંગ સ કે નહીં જો ના માંગ અથવા ખાવા ના બેહ તો પેલા પૂરતી તપાસ કરજો કે એની હારે કઈ અજુગતુ તો નહીં થયું ને.” બધા ક્ષોભમાં મુકાઇ ગયા અને બે-ત્રણ જણા ભૂતકાળમાં પણ ખોવાઈ ગયા કે આવુ એમની છોકરીઓએ કેટલી વાર કર્યુ હતું.

સાડીના પાલવ નીચે ચૂપ થઈ ગયેલા બૈરાંના ડાચા અને આદમીઓના વિલા મોઢા જોઈ તે બોલી: “તમે... હાળાં ખાલી નામના મરદ સો, બસ રાતે બંધ કમાડ કરી જે કરો સો, ઇન મરદાનગી નો કે’વાય... કુણ હમડા બોલ્યુ’તુ કે ‘દરબારુંના સોકરા કઈ કરી બેહ તો કુન કેવા જાવાના? આ તમારી ૧૨,૧૨ ‘ને ૧૪,૧૪ વરહની દીકરીયુ ઇ વાત જાણ સ કે આ મારો બાપ મૂંગા મોઢે બધુ જોઈ લે’શે કઈ કરી નહીં હકે, એટલે તમન કહી નય હકતી કે હું વેઠયું સ ઇમના પંડે.” તેની આંખો આક્રોશથી પ્રચંડ થઈ ગઈ.

આ સોડીયુન જો તમે ભણવા મેલી હોત તો, કાલ ચ્યાંક સરકારી હોફિસમાં મોટી મેમસાબ બની હક સ. હાળાં તમારા સોકરાઓન ભણાવાનો કોઈ ફાયદો સ નય. ઇમ્ન તમે ગારો દઈ દઈન નેહાર મોકલોસો, એન રસ સે જ નય ભણવામાં. પણ એમ નય કે’તી કે એમ્ન ના ભણાવો. એનય ભણાવાનો અન આ સોડીયુન પણ ભણાવાની. આ સોડીયુન રસ સ ભણવામાં તો એ જરૂર આગર હારુ ભણશે‘ને તમારું નામ ઉજાળશે.” મનુએ સમજાવ્યુ.

થોડીવાર શાંતિ જળવાઈ રહી પછી સતીશ બોલ્યો: “માર તો મારી અંજુન ભણાવી’તી આગર પણ આ વરહ આપણા જ સોકરાઓનુ સેલ્લુ સ, ચમની સોડીયુન ભણાવવી?”

“અલ્યા પણ, આ વરહે તો ભણવા મેલ! આગરનુ પહી જોયસુ હું થાય સ.” મનુએ કહ્યુ.
“હવ, તો નેહારો ચાલુ થઈ જઈ. પતી જ્યુ હવ.” નિસાસો નાખતા એક આદમી બોલ્યો.
“તું... તારી સોડીન મોકલવાનુ કર્ન, બીજુ હું હંભાળી લઉ સુ.” મનુ આ બધાની પાંગળી દલીલો સાંભળી છેડાઈ ગઈ. સૌ કોઈ ચૂપ થઈ ગયા.
“આવતી કાલ તમારી સોકરીયુંન તૈયાર કરી, એમના ગુણપત્રક હારે મારા ઘેર મોકલજો, હું કાલ નેહાર જઈન વાત કરીશ માસ્તરન.” મનુએ સૌને જણાવ્યુ.
“મુ આવુ?” સતીશ બોલ્યો.
“હા.” મનુએ સંમતિ આપી.
“મારે પણ આવવુ સ, મુય આવુ?” બીજો એક આદમી બોલ્યો. પછી બીજી બે સ્ત્રીઓએ સાથે આવવા માંગ કરી. મનુએ બધાને હા પાડી. એ પછી સતીશે ઉમેર્યુ: “તમે બધા નાગજી, લાલા, શંભુ અન અર્જુન ઘેર હું કરવાના સો? હાલો તમે બધાય.”

મનુ એ સૌની સામે જોઈ રહી પણ કોઈ આદમી હરફ બોલ્યો નહીં. થોડીવાર બાદ એમના બૈરાં બોલ્યા: “ઇ અમે એમને મોકલી દઇશુ સતીશભાઈ, તમે એમની ચિંતા ના કરો.” બધા રાત્રે છૂટા પડી ઘરે ગયા અને ફળિયા આખામાં વાત પ્રસરી ગઈ. અરધી રાત સુધી ચોકમાં આદમીઓએ બેશી વાત કરી અને બૈરાંઓએ મંડળી યોજી.

બીજા દિવસે ફળીયાના લગભગ બધા આદમી અને સ્ત્રીઓ તેમની દીકરીઓ સાથે શાળાએ આવવા મનુના આંગણે આવી ગઈ. બીજી ૫,૬ દીકરીઓ જેમણે ચોથા ધોરણ પછી ભણવાનુ છોડી દીધુ હતું, એ બધી પણ પોતાના મા અથવા બાપ સાથે નિશાળ જવા આવી હતી. તે લોકો બાજુના ગામ જવા નીકળ્યા ત્યાં સુધીમાં ગામમાં સૌ કોઈને ખબર પડી ગઈ કે વાલ્મીકિ વાસના સ્ત્રી-પુરુષો સંદિગ્ધ વિષયની ચર્ચા કરવા બાજુના ગામ ગયા છે.

નિશાળે પહોંચી મનુએ આચાર્ય સાહેબને વાત કરી અને આબેહૂબ પરિસ્થિતિનો ખ્યાલ આપ્યો. આચાર્ય સાહેબે છોકરીઓની ચોથા ધોરણનુ પ્રગતિ-પત્રક જોયુ, ત્યારબાદ દરેક છોકરી સાથે વાતચીત કરી. પછી તેમણે અન્ય વિભાગના માસ્તર અને ધોરણ પાંચના શિક્ષકો સાથે ચર્ચા કરી. મનુને જણાવ્યુ કે તેમણે કન્યાઓને પ્રવેશ આપવા તૈયાર છે. બધા રાજી થઈ ગયા. દીકરીઓ પણ ખુશ થઈ ગઈ જાણીને કે હવે તેમના હાથમાં ખેતરના ઓજારના બદલે પેન-પેન્સિલ આવશે. આનંદ-કિલ્લોલથી સૌ પાછા આવ્યા. પાછા આવ્યા બાદ બીજી એક મુસીબત ઊભી થઈ ગઈ.

તે બધા પાછા આવ્યા ત્યારે વડ પાસે ગામમાં સવર્ણ કહેવાતા લોકોએ એમને ઊભા રાખ્યા: “તમારી સોડીયુને પાસી નેહાર મૂકી હું સાબિત કરવા માંગો સો તમે?” એક દરબાર બોલ્યો. ડરથી બધા સ્ત્રી-પુરુષો ચૂપ થઈ ગયા.
“કાંઈ નય બાપુ...આ તો સોડીયુએ જીદ કરી એટલે...” એક આદમી બોલ્યો.

આ આદમીઓને હંમેશા બીચારા બનીને રહેવાની અને કરગરવાની આદત પડી ગઈ હતી, મનુ તે સમજી ગઈ હતી, માટે તે બોલી: “અમારી સોડીયુ સ, અમે જે કરીએ એ તમારે ચેટલા?”
ડરથી અને આઘાતથી વાસના તમામ પુરુષો મનુ સામે જોઈ રહ્યા. સામો જવાબ સાંભળવાની આદત ન હોવાથી સવર્ણોને વિશ્વાસ ન આવ્યો. તેમાંથી એક દરબાર આગળ આવી બોલ્યો: “જે કઈ હોય એ બંધ કરી દ્યો... બાકી હારાવટ નય રે.”
“તમે બાપુને વાત કરી લ્યો. એમની હામુ તમારામાંહી કોય થાય એ મને નય લાગતુ.” મનુએ ગપ્પું ઠોક્યુ.
“એટલે તમન આવુ કરવાનુ રાઘજી બાપુએ કહ્યુ સ?” દરબારે પૂછ્યુ.
“તમન અમન રોકવાનુ રાઘજી બાપુએ નથી કહ્યુ?” એમ કહી મનુ એમને જોઈ રહી, ત્યાર પછી બે છોકરીઓના હાથ પકડી ત્યાંથી નીકળી ગઈ. બીજા સ્ત્રી-પુરુષો પણ મૂંગામોઢ મનુની પાછળ ચાલવા લાગ્યા.

મનુ તેના ઘરે પાછી આવી. બીજા બધા પણ તેની પાછળ પાછળ તેના ઘરે આવ્યા. વાસના બધા પુરુષોમાં ફફડાટ પેસી ગયો હતો પણ મનુએ જે રીતે એમની સાથે વર્તયુ તે ઘટના એમના માટે અકલ્પનીય હતી. એ પછી એક સ્ત્રીએ મનુને પૂછ્યું: “આપણને તો રાઘજી બાપુએ નથી કહ્યુ, તો તે ચમ રાઘજી બાપુનુ નોમ આલયુ?”
“એ ના આલયુ હોત તો તારો ધણી અત્તાર આપડી હારે ના હોત.” મનુએ સફાઈ આપી. તે સ્ત્રી ચૂપ થઈ ગઈ. સૌ કોઈ મનુના ઘરે આવ્યા અને એક પ્રશ્ન સમૂહમાં પૂછ્યો:
“હવ, આ સોકરીયુંન નેહાર ચમની મોકલસું?”
“મન નૈ લાગતુ મૂળજી આપડી સોડીયુન લઈ જાવા રાજી થશે.” એક આદમીએ ઉમેર્યુ.

મનુ તેના આંગણામાં ખાટ પાંથરી બેશી. એક સરપંચના ઘરે મેળાવડો થયો હોય એમ ભાયડા-બાયુ તેની સમક્ષ સમૂહમાં ઊભા હતા. કેટલાક તેની કરતાં વધારે ઉમર વાળા હતા. બે ક્ષણ મનુ એમને બધાને જોઈ રહી, બાદ બોલી: “તમાર રાઘજીન વાત કરવી પડશે. સીધા મૂળિયા પાંહે જશો તો મેળ નય આવ.”

સૌ કોઈ સહાયની નજરે મૌન બની તેની સામે જોઈ રહ્યા. મનુએ ચાર ક્ષણ બાદ અનુભવ્યુ કે બધા ચૂપચાપ એને જોઈ રહ્યા છે માટે તેણે પૂછ્યુ: “હું...?”
“તુ હાલને વાત કરવા.” એક આદમીએ આજીજી કરી.
“હોવ, તુ હારે આયીસ તો હારુ રે’શે.” બીજા એક આદમીએ ઉમેર્યુ. સૌની ઈચ્છા મનુને સાથે લઈ જવાની લાગી રહી હતી.

એક અઠવાડીયા પહેલા અચાનક પાછી પોતાના ઘરે આવી ચઢેલી મનુડી. એક સામાન્ય કન્યા આજે જાણે આ અબુધ લોકોની આગેવાન બની ગઈ હતી. તેના ચહેરા પર હળવુ સ્મિત આવ્યુ. સૌ કોઈ આશાભરી નજરે તેને જોઈ રહ્યા હતા, બે ઘડી વિચાર્યા બાદ તેણે સાથે આવવાનો નિર્ણય કર્યો. મનુએ કહ્યુ કલાક બાદ સાથે રાઘજી બાપુના ત્યાં જઈશુ. બધાએ તેની વાત માન્ય રાખી પોત-પોતાના ઘરે ગયા.

*


કલાક બાદ બધા મનુના આંગણે ઊભા થઈ ગયા. મનુ બ્હાર આવી અને રાઘજી સરપંચના ઘર તરફ સૌએ પ્રયાણ કર્યુ. સરપંચના ત્યાં પહેલાથી સવર્ણોની ભીડ હતી. વાલ્મીકિ વાસના સ્ત્રી/પુરુષોને આવતા જોઈ વાટાઘાટો થોડી ઉગ્ર બની. રાઘજીના ખ્યાલમાં આ વાત ન હતી કે આ બધા દાવપેંચ મનુ લડાવી રહી છે, બાકી તો તે અત્યારથી જ ચેતી જાત. લોકોએ રાઘજીના ઘરની કેડી આગળ કોલાહલ મચાવી દીધો. બધાને શાંત પાડતા રાઘજીએ કહ્યુ: “બધા એક-એક કરી બોલો.”
“આ ભાંગીયાવો એમની સોડીયુન ભણવા મેલી આપડાહી ઊંચા દેખાવા માંગ સ.” એક દરબાર બોલ્યો. બધા સવર્ણો રાઘજીને જોઈ રહ્યા અને વાલ્મીકિ વાસના લોકો મનુને.

“બરાબર...બરાબર...” કહેતા રાઘજી વાલ્મીકિ વાસના આદમીઓ સામે જોઈ રહ્યો. આદમીઓ બધા અનુત્તર બની મનુને જોઈ રહ્યા હતા. મનુએ જવાબ આપ્યો:
“એમાં હું ઊંચા દેખાવાનુ, બધાયના સોકરાઓ ભણ જ સ ન.”
“અમારી સોડીયુ નહીં ભણતી.” બીજો દરબાર બોલ્યો. મનુ જવાબ વાળે એ પહેલા ત્રીજો એક દરબાર રાઘજીને બોલ્યો: “અન બાપુ તમે આ લોકોન પરવાનગી પણ આપી દીધી આવું કરવાની?”

મનુને લાગ્યું તેની પોલ ખૂલી જશે. રાઘજી કઈક સમજવા કે પૂછવા જાય એ પહેલા તે રાઘજીને ઉદ્દેશી બોલી: “હવ, અમે અમારા સોકરાઓન ભણાઈ પણ ના હકીએ બાપુ?” મનુ પહેલા રાઘજીના ઘરે વાસણ અને કપડાં-પોતું કરવા જતી હતી. માટે રાઘજી સાથે તેને સારો સંબંધ હતો.
“સવાલ એનો નહીં મનુ, બેટા પણ તુ જો તો ખરી આયા અમારી સોડીયુન ઘેર બેહાડી રાખીએ સીએ... અન તમારી સોડીયુ ભણ એ તો ચમનુ ચલાવી લેવાય?”
“આ શમાજીની સોડી, દામા બાપુની બેય સોડીયુ અન નવઘણભા’ની સોડી પણ જાય જ સ ન નેહાર... અન અમે એમ નય કે’તા કે તમારી સોડીયુ જાય સ એટલે અમારી સોડીયુ પણ જવી જ જોઈએ, પણ બાપુ જોવો તો ખરી આ સોડીયુ ઘેર બેહી રહી કંટારી જાય સ, અન અમારા તો સોકરાઓ કરતા સોડીયુન વધારે રસ સ ભણવામાં, તો જો થોડુ ભણસે તો કો’ક હારા ઘરનો મુરતિયો મળ બાપડીઓન.”

મનુને સાંભળી કોઇની પાસે સામી દલીલ કરવા બચી નહીં. બે ક્ષણ માહોલ શાંત રહ્યો. ત્યારબાદ મનુએ ઉમેર્યુ: “અત્યાર બાપુ, એટલે જ તમારા તઈ માર આવવુ પડ્યુ. તમે સ્તો પાલનહાર સો અમારા. દરબારોના ગોમમાં દરબારું હામા થઈ મરવું સ અમાર? આ તો તમે કીધેલુ માટે અમે જ્યાં’તા નેહાર.” મીઠા શિરાની અંદર કડવુ કારેલુ મૂકી ખવડાયુ હોય એમ મનુએ વાત મૂકી અને તરત બીજુ ઉમેર્યુ: “માટે આ આખા ડેલાના આદમી અને બૈરાંઓન મું લઈ આયી તમન વિનંતી કરવા કે તમે મૂળજી’ભાન વાત કરો કે અમારી સોડીયુન પણ નેહાર લઈ જાય.”

બધા લોકો સમક્ષ મનુના શબ્દોથી રાઘજી સર્વોચ્ચ સાબિત થયો અને બીજા દરબારોએ પણ ઠીક ઠીક માન અનુભવ્યુ, બીજી તરફ વાસના આદમીઓ ગભરાઈ ગયા હતા કે ક્યાંક કોઈ દરબાર તેમને મારવા ન લાગે. મનુની વાતથી દરબારોની અંદર ઉકળી રહેલો ગુસ્સો ઠંડો પડવા લાગ્યો, પણ મૂળજીને આ નવી મુસીબત વહોરવી ન હતી. તે બોલ્યો: “બાપુ હવ આ વધરાવોની સોડીયુન પણ લઈ જાવાની મારે?”
“મફત નહીં કોઈ લઈ જવાનુ કે’તુ તન.” તિરસ્કારથી મનુ બોલી. મૂળજીને પણ થોડી અપમાનની ભાવના જણાઈ. મનુએ પછી ઉમેર્યુ: “અમારી સોડીયુના પૈસા અમે અગાઉથી આપી દઇશુ.”
“મનુ, બેટા આ બધુ કરવાની કોઈ જરૂર સે નહીં, હું કામ આ બધુ કરું સુ તુ? આ આમ પણ તમારા સોકરાઓ આવતા વરહથી ભણવા નય આવવાના.” રાઘજીએ કહ્યુ.
“હા બાપુ, ત્યારનુ ત્યારે જોઈશુ. પણ આ વરહ તો ભણવા દ્યો, આ સોડીયુન ઈસ્સા સ ભણવાની તો...ગામની દીકરિયું હમજી આટલું કરશો તો ઉપકાર રે’સે તમારો બધાનો.. ” કહી તેણે રાઘજીબાપુ અને બીજા દરબારો આગળ હાથ જોડ્યા.
“વારુ. મૂળજી લઈ જજે આમની સોડીયુન પણ.” રાઘજીએ જણાવ્યુ.

ગામની દીકરીઓ સમજી રાઘજીએ નિર્ણય ઠરાવ્યો. દીકરીઓની ખુશી છે, ઈચ્છા છે ભણવાની તો ભણવા દઈએ એક વર્ષ. આમ પણ એક વર્ષની જ તો વાત હતી. મનુએ બધા દરબારોને માન આપી વાત મૂકી હતી અને એમના વાસના છોકરા ભણે એમાં દરબારોને કોઈ નુકશાન થવાનું ન હતું એટલે એમણે પણ ચૂપ રહ્યા. દરબારોએ આ વાતનો કોઈ વિરોધ ન ઉઠાવ્યો એથી મૂળજી ચોંકી ઉઠ્યો, તેની જરાય ઈચ્છા ન હતી. વાલ્મીકિ વાસના છોકરા કે છોકરીઓને પોતાના ટ્રેકટરમાં બેસાડવાની. રાઘજીનુ માન રાખવા તે એમના છોકરાઓને બેસાડવા રાજી થયો હતો પણ હવે આ છોકરીઓને લાવવાની અને લઈ જવાની નવી ઉપાધિમાં તે પડવા ન હતો માંગતો: “બાપુ ટ્રેક્ટરમાં જગા પણ હોવી જોઈએ ને? પાસર સોકરાઓ બેઠા જ હોય સ અને બાકીની બચેલી જગ્યામાં ચારો આવ સ.”
“ ’ને ચારો ચ્યાં મોટા સોનાની ખાણનો બનેલો સ, થોડુ આઘું પાસું કરી સોકરાઓ હમાઈ જશે એમાં. થોડા સોકરાઓન ટ્રેક્ટરમાં તમારી સીટ આગર બેહાડજો. સોડીયુન પાસર બેસાડજો.” મનુએ કહ્યુ.

બે ઘડી શાંતિ જળવાઈ રહી. કોઈ કઈ બોલ્યુ નહીં એટલે મનુએ ઉમેર્યુ: “એ હારુ, જો તમાર સોકરાઓન આગર બેહવાની બીક લાગતી હોય તો અમાર સોકરાઓન આગર બેહાડજો, ના હોય તો એકાદી સોડીન આગર બેહાડી દેજો બસ?” મનુ બોલી.

“ના...ના. અમારા સોકરા ના બીવ એમ આગર બેહતા. અમારા સોકરા આગર બેહસે, અન સોડીયુન પાસર બેહાડી દઈસુ.” પોતાના આત્મસન્માન પર વાત આવી પડી હોય એમ જાણી એક દરબાર બોલ્યો.

એવી રીતે આખી વાતનો ઉકેલ આવી ગયો. લગભગ બધાના મનમાં રાજીપો હતો. ખોટનો ધંધો કોઈને ન હતો થયો. મનુએ જે રીતે સવર્ણોને પોતાની વાતમાં મનાવી લીધા એથી ડેલાના આદમી-બૈરાઓને વિશ્વાસ ન હતો બેસતો. છતાં બધી છોકરીઓ અને એમના માતા-પિતા રાજી હતા. રાઘજીએ મનુનાં કહેવા પર વાલ્મીકિ વાસની છોકરીઓને નિશાળ મોકલવાની સહમતી આપી દીધી. તે અજાણ હતો કે આ જ મનુ તેના માટે આગળ જતાં આફત ઊભી કરવાની હતી. જો અહીથી જ એને રોકી લીધી હોત તો ઇતિહાસ કઈક જુદો જ લખાત.

ત્રીજા દિવસથી વાલ્મીકિ વાસની છોકરીઓ નિશાળ જતી થઈ ગઈ. ફક્ત બે જ દિવસમાં મનુએ વાતનો છેડો લાવી દીધો હતો. રોજ નિશાળે જતા અને આવતા બધી છોકરીઓ મનુને બોલાવતી, તેની તબિયત પૂછતી. મનુને પણ છોકરીઓને બોલાવવુ ગમતુ, શાળાએથી આવ્યા બાદ છોકરીઓ તેના ઘરે આવતી અને આખા દિવસની વાતો કરતી.

*


એક મહિનો આ રીતે વીતી ગયો. બીજી તારીખે વકીલના કહેવા પ્રમાણે તે સેન્ટ્રલ જેલ અંગુઠો લગાવી આવી. વકીલે એને ૫૦૦રૂ. આપ્યા. ત્યાં જઈ તેણે જાણ્યું કે કિશન-ટોળકી જેલમાંથી ભાગતા પકડાઈ ગઈ હતી. જે યોજના પરસોત્તમે જણાવી હતી એ મુજબ મુખ્ય દરવાજા સુધી એ લોકો આવી શક્યા, પણ ત્યાં બોમ્બ ફોડતા, આર્મ્ડ ક્વાટર્સના સૈનિકો જાગી ગયા હતા અને બ્હાર નીકળતા સાથે ઠાર મારી નાખ્યા. એ રાતથી જેલની સુરક્ષા વધુ કડક કરી દેવામાં આવી. સહદેવ અને સેનાએ પણ આ હરકતના કારણે પોતાની યોજના પાછળ ઠરાવી પડી.

તે સહદેવને મળવા માંગતી હતી. તે જાણતી હતી કે તે એનાથી નારાજ હશે માટે વાત કરવા માંગતી હતી પણ વકીલે તેને એમ કરતા રોકી અને કહ્યુ: “ઉસે અપને હિસાબ સે જો કરના હે, વો ઉસે કરને દે. બીચ મેં ટાંગ મત અડા. ખામખા, વો પ્યાર-વ્યાર કે ચક્કર મેં ગીરેગા તો આઝાદી કે પહેલે શહિદ હો જાયેગા.”

આ સાંભળી મનુ ભોંઠી પડી. તેને થયુ સહદેવને મળવાની માંગ ન હતી કરવા જેવી. તેણે વકીલ પાસે ૧૫૦૦રૂ. બીજા માંગતા કહ્યુ: “હુ તમને ધીમે ધીમે પાછા આપી દઇશ. મારે બળદ લેવો છે અને બળદગાડુ કરવુ છે.”

વકીલે તેને પૈસા આપ્યા અને કહ્યુ: “મુજે કુછ જલ્દી નહીં હે પૈસે કી, તુજે જબ ઠીક લગે તબ વાપીસ કરના પર મેરી એક બાત ધ્યાનસે સુન મુજસે પૂછે બીના તુ કભી સહદેવસે બાત નહીં કરેગી. ચાહે કુછ ભી ક્યુ ના હો જાયે, અગર વો બોલે કી તુ ઉસકે સાથ ચલ તો તુ પહેલે મેરે સે બાત કરેગી. ખુદ સે કુછ ડીસીજન નહીં લેગી, ઠીક હે?”

મનુને થયુ વકીલ જાણે એનો બાપ હોય એમ હુકમ ઠોકતો હતો. તે એની સામે જોઈ રહી. વકીલે ઉમેર્યુ: “સુન, ઇતને વક્ત કે બાદ ભી અગર તુ મુજપે યકીન કરતી હે તો એક બાત સમજલે મેં તુજે કુછ કહે રહા હુ તો ઉસકે પીછે કોઈ વજાહ રહી હોગી.”
“મારે એ વજાહ જાણવી છે.” મનુએ કહ્યુ.
બે ક્ષણ વકીલ એને જોઈ રહ્યા અને પછી બોલ્યા: “તુજે વક્ત આને પર પતા ચલેગા.”

ત્યાંથી બંને છૂટા પડ્યા. મનુ પાછી ઘરે આવી અને મહિનાના પહેલા રવિવારે પોતાના ભાઈને મળી આવી. ત્યારબાદ તેણે ફરી બળદગાડુ કર્યુ અને ફેરા ચાલુ કરી અન્ય આવક ઊભી કરી. એવી રીતે બીજો માસ પસાર થયો.

*


ત્રીજા માસે તે જેલ અંગુઠો લગાવા ગઈ ત્યારે જોયુ કે આગલી રાતે ક્રાંતિકારીઓની સેનાએ જેલમાં હુમલો કર્યો હતો. સહદેવે જે યોજના જણાવી હતી, આબેહૂબ એ જ રીતે ઘટના ઘટી હતી. એ પછી પણ બ્રિટિશરોને ખ્યાલ આવી શકે એમ ન હતો કે ઇબ્રાહિમ વકીલની આમાં શુ ભૂમિકા રહી હતી અને જેલની અંદરના બીજા કયા-કયા અધિકારીઓ તેમની સાથે સંડોવાયેલા હતા. જે જાણતા હતા કયા-કયા અંદરના માણસો ફૂટી ગયા છે એ જણાવા માટે કોઈ બ્રિટિશ જેલર, અફસર કે સૈન્યના વડા જીવતા રહ્યા ન હતા. માટે અંગ્રેજોએ ઇબ્રાહિમ વકીલની બાતમી માનવી જ રહી.

એ દિવસે બ્રિટિશરોનો મોટો કાફલો અને ફોજદારો સેન્ટ્રલ જેલ આવી ગયા હતા. મનુ જ્યારે અંગુઠો લગાવા આવતી ત્યારે મનુને બ્હાર જ ઇબ્રાહિમ વકીલ મળતા અને બ્હાર જ અંગુઠો લેવડાવી લેતા પણ આજે તે બ્હાર દેખાયા નહીં. તેમની ગાડી દેખાઈ પડતી હતી પણ અંદર કોઈ હતું નહીં માટે તે જેલની રેલિંગ વાળી મોટી જાળી આગળ જઈ ચોકિયાતને પૂછ્યુ: “મારે ઇબ્રાહિમ સાહેબને મળવુ છે?”
“કોઈ ઇબ્રાહિમ સાહેબ નથી અહિયાં, જતી રે’…” કશાક અણબનાવનો રોષ તે ચોકિયાતમાં દેખાઈ રહ્યો હતો.

મનુ ત્યાંથી ચાલી ગઈ અને વકીલની ગાડી પાસે ઊભી રહી. કલાક-સવા કલાક બાદ ઇબ્રાહિમ વકીલ બ્હાર આવ્યા. તેમણે મનુને ઊભેલી જોઈ. તે પાસે આવ્યા એનો હાથ પકડી ગાડીમાં બેસાડી અને પછી પોતે બેસ્યા, બાદ તેઓ બોલ્યા: “મનુ તુ ક્યાં કર રહી હે યહાં?”
“અંગુઠો લગાવા આવી હુ.” તેણે જવાબ આપ્યો.
“હા,પર તુજે પતા નહીં હે કલ રાત કો ક્યાં હુઆ ઇધર?”
“હા. આ બધા ખટારા અને અંગ્રેજોની જીપુ જોઈને લાગ્યું કે સહદેવે કઈક કર્યુ હશે.”
“હા, કલ રાત વો સબ ભાગ નીકલે જેલ સે. યે સબ અંગ્રેઝ મેરે પીછે પડે હે કી મેને પહેલે ઇસકે બારે મે આગાહ ક્યૂ નહીં કીયા ઓર ફીર સબ પૂછતાંછ કર રહે થે હમ.”

મનુ સાંભળી રહી. વકીલે તેની બ્રીફકેસમાંથી ફાઇલ કાઢી અને એમાં મનુનો અંગુઠો લેવડાવ્યો. વકીલે તેને ૫૦૦રૂ. આપ્યા જેમાંથી મનુએ ૩૦૦ પાછા આપી કહ્યુ, “આ મારા હપ્તાના.” પછી વકીલે કહ્યુ, “મેરી ઓફિસ ચલ, તેરે સે કુછ બાત કરની હે.” કહેતા વકીલે પોતાની ઓફિસ તરફ ગાડી લેવડાવી.
“તો એ લોકો ઝારખંડ જવા નીકળી ગયા?” મનુએ પૂછ્યુ. તેને સેના વિષે જાણવામાં ઝાઝો રસ ન હતો પણ સહદેવના સમાચાર મેળવવા પૂછ્યુ. 
બે ક્ષણ બાદ વકીલે જણાવ્યુ: “અભી વો નીકલ નહીં પાયેંગે, ઉનકે નામ કા સર્ચ વોરંટ પૂરે દેશ મેં ફેલ ગયા હે. સારે ટોલબૂથ ઓર મહારાષ્ટ્ર, મધ્ય-પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ ઓર બિહારકે સારે નેશનલ હાઇ-વે પે નાકાબંદી કર દી ગઈ હે. ઇસ લિયે વો સબ ૧ મહિને તક યહાં સે હીલ નહીં શકેંગે.”
મનુ સાંભળી રહી. ચાર ક્ષણ બાદ તેણે પૂછ્યુ: “અત્યારે ક્યાં છે?”
“વો મેં નહીં બતા શકતા.” વકીલે કહ્યુ.

મનુ ચૂપ થઈ ગઈ. થોડીવાર બાદ તેઓ ઓફિસે પહોંચી ગયા. ઓફિસ આવ્યા બાદ વકીલે મનુને જણાવ્યુ: “મુજે ઓર આદમીઓ કી જરૂરત હે. યે લોગ જીતને જેલ સે ફરાર હુએ હે, વો અભી બિહાર વાપીસ નહીં જા પાયેંગે પર મુજે કુછ સામાન હે જો વાપીસ પહુંચાના હે. ઉસકે લીએ નયે લોગ ચાહીએ, ઐસે લોગ જીન પર અંગ્રેઝોકો શક ના હો.”
“સામાન એટલે હથિયારોને?” મનુએ પૂછ્યુ.
બે ક્ષણ વકીલ તેને જોઈ રહ્યા બાદ હળવુ સ્મિત આપ્યુ અને બોલ્યા: “દેખ, તેરે ગાંવકે આદમી અગર ઇસ કામમેં મદદ કરે તો મેં ઉનકો ઇતને પૈસે દૂંગા જીતના કમાતે ઉનહે દો સાલ લગ જાયેંગે. તુજે આદમીઓ કો ઇધર લાના પડેગા. ફીર તેરે લીએભી મૈને કુછ સોચા હે...” વકીલે સિગરેટ સળગાવી.
“મારા ગામની જો વાત કહું તો આ ગયા મહિને જ ભેદભાવ અને આભડછેટના લીધે અમારા વાસની છોકરીઓને ભણવા દેવામાં આવતી ન હતી...” એમ મનુએ આખી વાત જણાવી.

વાત જાણ્યા બાદ વકીલને પણ ખ્યાલ આવી ગયો કે મનુ જે ગામમાં રહે છે, ત્યાંના લોકો કેવી માનસિકતા ધરાવે છે પણ આવા લોકો જ તેમના કામમાં આવી શકશે. બે ક્ષણ વિચાર્યા બાદ વકીલ બોલ્યા: “એક કામ કર તુ તેરે મોહલ્લે કે ૧૦,૧૨ આદમીઓ કો તૈયાર કર આને કે લીયે, વો વાપીસ આ જાયે ઉસકે બાદ મેં બતાતા હુ ક્યાં કરના હે.”
“ઠીક.” મનુએ કહ્યુ અને ત્યાંથી નીકળી ગઈ.

*


ઘરે આવ્યા બાદ સાંજે મનુએ ફળિયાના સૌ પુરૂષોને ઘર આંગણે ભેગા કર્યા અને કામ અંગે જણાવ્યુ.

“એક મોટા શે’રના વકિલનુ કોમ સ. એમન થોડો સામાન પરદેશ મોકલવાનો સ. તે પંદર-હત્તર માણસો જોઈએ સ. તો એમણે મન કીધુ કે બ્હારના લોકો કમાય એના કરતાં આપડા ગોમના આદમી કમાય એમાં હુ ખોટું સ? તો તમાર કોઈન કામ કરવા જવુ હોય તો મન કે’જો.” પોતે જરાક ઓછો રસ હોય વાત જણાવામાં એમ મનુ બોલી.

મનુ જે રીતે ઉપર આવી હતી અને વગર મહેનતે કમાઈ રહી હતી. એ વાત પર ફળીયાના આદમીઓને થોડી શંકા ચોક્કસ હતી પણ ખ્યાલ ન હતો આવતો કે કેવી રીતે તે કમાઈ રહી હતી અને હવે આ જે તક આવી હતી પૈસા કમાવાની એનાથી એમને લાગ્યું એ લોકો પણ મનુની જેમ ફટાફટ પૈસા કમાઈ શકશે માટે કામ માટે સૌ તરત રાજી થઈ ગયા, મનુ જાણતી હતી આ લોકો એની દેખાદેખી કરીને જ વાત માનશે એટલે પોતે એમને કામ અપાવમાં વધારે ઉત્સાહી ન હોય એ રીતે વાત જણાવી અને તેની આ યુક્તિ બરાબર ફળી. જિજ્ઞાસા હેતુ તેઓએ થોડા સવાલ પૂછ્યા.
“કેટલા પૈસા આલશે?” એક આદમીએ પૂછ્યુ.
“૫૦૦રૂ.” મનુ બોલી.
“કેટલા દા’ડાનું કોમ સ?”
“કદાચ ૧૫,૧૭ દિવસનુ. બોવ બોવ તો વીસ દા’ડા એનાહી વધારે નય.” મનુએ જણાવ્યુ.

આટલા ઓછા સમયમાં ૫૦૦રૂ. કમાવાની તક જાણતા સૌએ જવા માટે હા પાડી. મનુને ખબર હતી કે આ લોકોને ૫૦૦રૂ. કમાતા ૩ મહિના ઓછામાં ઓછા લાગવાના હતા માટે તે એનાથી વધારે રકમ આપવા માંગતી ન હતી. અંતે જણાવ્યુ: “જો હજી બીજા કોઈન આવવુ હોય તો મારી પાંહે મોકલજો.”
“વારુ.” કહી સૌ છૂટા પડ્યા.

આગલી સવારે બીજા ૭ જણા કામ માટે તૈયાર થયા. એમ કુલ ૨૨ જણાની સંખ્યા તેની પાસે થઈ ગઈ. સતિશની છોકરી અંજુને પોતાના ઘરે બોલાવી તેણે બધાના નામ લખી એક યાદી બનાવડાવી. નવા આવેલા લોકોને પણ જણાવ્યુ કે હજુ પણ જો કોઈને આવવુ હોય તો સાંજ સુધીમાં નામ લખાવી જવા. સાંજ સુધી તેણે રાહ જોઈ. અંતે સાંજના બીજા બે માણસ નામ લખાવી ગયા.

ત્રીજા દિવસે તે વકીલને યાદી આપવા નીકળી. નીકળતા પહેલા સવારમાં બીજા બે માણસો નામ લખાવી ગયા. એમ કુલ ૨૬ માણસોના નામની યાદી લઈ તે વકીલ પાસે પહોંચી. વકીલ યાદી જોઈ ખુશ થઈ ગયા. તેમને લાગતુ ન હતું કે મનુ આટલા બધા લોકોને તૈયાર કરી શકે પણ તેણે કર્યા. વકીલે સલિમ સાથે વાત કરી, નીકળવાની તૈયારી શરૂ કરાવી. વકીલે મનુનો આભાર માન્યો અને તેને ઘરે જવા માટે પોતાની ગાડી મોકલાવી. નીકળતા પહેલા મનુએ વકીલને પૂછ્યુ: “ક્યારે આ લોકોને લઈ જવાના છે?”
“ચાર દિવસ બાદ.”
“વારુ ‘ને એક આદમી દીઠ કેટલા પૈસા મળશે?
“૫૦૦૦.” વકીલે જણાવ્યુ.
“વારુ.” મનુએ કહ્યુ અને ગાડીમાં બેશી.

મનુ આશ્ચર્યચકિત થઈ ગઈ. પોતે અભણ હતી માટે જાણતી ન હતી કે તેને ૨૬ જણાના પાંચ હજાર કેટલા થાય અને પોતાને કેટલા મળવાના હતા. ગાડીમાં વકીલનો ટાયપિસ્ટ સાથે આવ્યો હતો મનુએ તેને પૂછ્યુ.
“હેં ભાઈ, એક જણાને ૫૦૦૦રૂ. મળે તો ૨૬ જણાને કેટલા મળે?
બે ક્ષણ ટાયપિસ્ટે વિચાર્યુ અને જણાવ્યુ: “એક લાખ ત્રીસ હજાર.”
આ સાંભળી મનુની આંખો પહોળી થઈ ગઈ. તે બોલી: “અન આમાંથી ૨૬ વાર ૫૦૦રૂ. ઓછા કરીએ તો કેટલા થાય?”
બે ક્ષણ ટાયપિસ્ટે વિચાર્યુ અને જણાવ્યુ: “એક લાખ સત્તર હજાર.”

મનુના મનમાં હરખ સમાયે સમાતો ન હતો. તે વિચારવા લાગી આટલા પૈસાનુ શું કરવુ. પોણા કલાકમાં તેનુ ઘર આવી ગયુ. તે લહેરાતા ઘરમાં આવી અને પોતાના માટે જમવાનુ બનાવા લાગી. જમવાનુ પરવારયા બાદ ફળિયાના આદમીઓ આવ્યા અને ક્યારે જવાનુ છે, શુ લઈ જવાનુ છે તે અંગે સવાલ પૂછ્યા. મનુએ જણાવ્યુ.
“ત્રણ દિ’ પહી તમાર લોકોએ નેકરવાનુ સ, ક્યાં ભેગા થવાનુ સ, ચમના જવાનુ સ. એ બધુ હું તમન પહી જણાવીશ. અત્યાર ખાલી ૧૫-૨૦ દા’ડાની ગણતરી માંડીન કપડાં લે’જો. ખાવા-પીવાનુ એ લોકો આલી દેશે તમન.”

નીકળવાના આગલા દિવસે વકીલ મનુના ઘરે આવ્યા. જે લોકોને આવવાનુ હતું એ બધાને મનુએ અગાઉ ઘરે બોલાવી લીધા હતા. વકીલે આવીને સમજાવ્યુ: “આપ સબ સફાઈવાલે ઓર કેટરર્સ હો, સરકારી ઓફિસર્સ ઓર અંગ્રેજ અફસર જો બડી પાર્ટી ઓર પ્રોગ્રામ રખતે હે ઉસકે લિયે આપ લૉગ જા રહે હે. કોઈ ભી આપકો ટ્રેનમેં પૂછે કહા જા રહે હો તો યહી બતાના હે.”
“ટ્રેનમાં જાવાનુ સ?” એક આદમીએ તેના બાજુવાળાને પૂછ્યુ.
“મું તો ચ્યારેય ટ્રેનમાં નહીં બેઠો.” બીજાએ જવાબ આપ્યો. અંદરો અંદર ગુસપુસ ચાલુ થઈ ગઈ.
“સ...શ...શ... પે’લા આમ્ન હાંભળી લો.” મનુએ બધાને શાંત પાડતા કહ્યુ.
“આપ લોગો કે પાસ પીછે લટકાને વાલા બેગ ઓર દો હેન્ડ બેગ હોંગે. મતલબ કી દો બેગ હાથ મેં પકડને વાલે હોંગે. આપ સબકો અપને અપને બેગ સંભાલ કે રખને હે, બેગ સંભાલ્ના આપકી જિમ્મેદારી રહેગી. આપકે સાથ હમારે ચાર આદમી રહેંગે વો જેસા આપકો બતાએ વેસા આપકો કરના હે. કોઈ સવાલ?”
“ના... ના.”
“ના.” એક બે આદમીઓએ જવાબ આપ્યો.
“કલ આપ સબકો મેરી ઓફિસ આના હે.” વકીલે જણાવ્યુ.
“હું તમને બધાને સાહેબની ઓફિસ લઈ જઈશ.” મનુએ જણાવ્યુ અને બધાને છૂટા કર્યા.

ત્યારબાદ બીજી થોડી ચર્ચા કરતા બંને તેમની ગાડી પાસે આવ્યા અને વકીલે મનુને એક વાત જણાવી. વકીલે જે વાત કહી તે સાંભળી તેના હોશ ઊડી ગયા. તેને એ વાત અશક્ય લાગી રહી હતી, એમાં ઘણું જોખમ દેખાઈ પડતુ હતું અને હવે, તે પાછી ખસી શકે એમ ન હતી. તેને થોડી ગભરાટ થઈ રહી હતી. “યે કામ ખતમ હોને તક કા વક્ત દે રહા હું તુજે, ઉસકે બાદ મુજે ફાઇનલ જવાબ ચાહીએ.” કહી વકીલે ત્યાંથી વિદાય લીધી. મનુ તેમને જતાં જોઈ રહી. આખી રાત તે વકીલે કહી એ વાત વિષે વિચારતી રહી.

આગલા દિવસે સવારે બધા મનુના ત્યાં હાજર થઈ ગયા. ફળિયાના બૈરાં તેમના આદમીઓને પાદર સુધી વળાવા આવ્યા. મનુ બધા આદમીઓને વકીલની ઓફિસ લઈ ગઈ. અહી મનુનુ કામ અહી પૂરું થતું હતું. સેનાના ક્રાંતિકારીઓએ થેલા તૈયાર રાખ્યા હતા. ત્યાંથી થેલાઓ લઈ આદમીઓ સાથે સલિમ મેમણ અને ઇબ્રાહિમ વકીલ સેનાના ચાર ક્રાંતિકારીઓને લઈ રેલ્વે સ્ટેશન ગયા.

આજે ત્રણ મહિના બાદ તેણે સહદેવને જોયો. તે વકીલની ઓફિસમાં બેઠો હતો. તેની સાથે સેનાના બે-ત્રણ માણસો પણ બેઠા હતા. મનુ તેને જોઈ રહી. સહદેવ પણ તેની સામે જોઈ રહ્યો. પાછા બંને એ દિવસોમાં જતાં રહ્યા જ્યાં તેઓ સાથે હતા. સહદેવને જોતાં મનુ અસ્વસ્થ થઈ ગઈ. તે નીચે જોઈ રહી. જ્યારે સહદેવ તેની આંખોમાં જોઈ રહ્યો હતો. તે વિચારતો હતો કેટલી સરળતાથી મનુ જુઠ્ઠું બોલી. તે મારો ઉપયોગ કરી લેવા માંગતી હતી. જોકે એણે બ્હાર નીકળવા માટે કહ્યું હોત મને, એના ભાઈ વિષે જણાવ્યુ હોત તો ચોક્કસ એની મદદ કરત પણ તેણે છુપાવ્યું. ઇબ્રાહિમ અંકલ સાથે મિસબિહેવ કર્યું. છતાં, અત્યારે મનુને જોતાં એ બધા દોષ દૂર થઈ ગયા. મનુને જોઈ એને સારું લાગી રહ્યું હતું. સારું થયું સહદેવને કિશન-ટોળકી અંગે ખબર ન પડી. બાકી, જે લોકો મનુનો ઉપયોગ કરવા માંગતા હતા એની જાણ સહદેવને થઈ હોત તો તેણે ચારેયને જેલમાં પૂરા કરી નાખ્યા હોત અને મનુ વિષે પણ ચોક્કસ ધારણા બાંધી હોત.

આ તરફ મનુ જેલનો છેલ્લો દિવસ યાદ કરવા લાગી. કેટલા પ્રેમથી સહદેવ તેની સાથે વર્તતો હતો અને છેલ્લા દિવસે જ્યારે વકીલને મે ધક્કો માર્યો ત્યારે ગુસ્સાથી તેણે મારો હાથ પકડ્યો અને મને બોલવા લાગ્યો હતો. એ પછી વિદાય વખતે પણ તે મોઢું ફેરવી જતો રહ્યો. વકીલે જેટલો ગુસ્સો ન કર્યો. એનાથી વધારે ગુસ્સો તેણે મારા પર કર્યો. ૧૦ મહિનાથી જેણે પોતાના સગા ભાઈને જોયો ન હોય તે સુરક્ષિત છે કે નહીં એની પણ પુષ્ટિ ન હોય તો શું વ્યક્તિને જેલથી નીકળવાની ઈચ્છા ન થાય? અને મે તો કોઈ ગુનો પણ ન’તો કર્યો, વકીલે મને ફોસલાવી હતી. ૨૦૦૦ કેદીઓની જેલમાં હું એક જ સ્ત્રી કેદી હતી. શું મને ડર ન લાગે? વગર ગુનાએ હું ૧૦ મહિના રહી તો મને ઘરે જવાની ઈચ્છા ન થાય? શું ખોટું કર્યું મે એમાં? સહદેવે એ દિવસે એટલો બધો ગુસ્સો કરવાની કોઈ જરૂર ન હતી. તેણે મારા દ્રષ્ટિકોણથી વિચરવું જોઈએ ને? જવા દે જૂની વાતો. અત્યારે આટલા સમય પછી મળ્યો છે તો સરખી રીતે મારે એને બોલાવવો જોઈએ. ફક્ત દસેક ક્ષણમાં તેણે આ બધા વિચારો કરી લીધા.
“કેમ છે તું?” મનુએ પૂછ્યુ.
“એકદમ સરસ. તુ કેમ છે?” સ્મિત સાથે સહદેવે કહ્યુ.
“ઠીક.” મનુએ કહ્યુ અને મેજ બાજુ છેટેની સોફા જેવી પાટલી પર બેશી.

થોડીવાર ઓરડામાં મૌન જળવાઈ રહ્યુ. સહદેવ પાસે બેસેલા ક્રાંતિકારીને લાગ્યું તે બંનેને એકલા વાત કરવા દેવી જોઈએ એટલે એકે બીજા બંનેને કહ્યુ: “હાલો બ્હાર બીડી પીઇએ.” કહી ત્રણેય બ્હાર ચાલ્યા ગયા. 

સહદેવ વકીલની ખુરશીમાં બેઠો હતો. એણે મનુને પૂછ્યુ: “તો, કેવુ ચાલે છે ઘરે? આટલા દિવસ...” તેને સૂઝ ન પડી આગળ વાક્ય ગોઠવવાની, તેથી વાક્ય અધૂરું છોડ્યુ.
“સારું, ચાલે છે. બધા મજામાં.” હરખ સાથે મનુ બોલી.
“ઓકે.” એકદમ હળવેથી તે બોલ્યો.
ચાર ક્ષણ શાંતિ જળવાઈ રહી, એ પછી તે બોલી: “તું ક્યારે પાછો જવાનો છે?”
“આવતા મહિને (બે ક્ષણ બાદ) કેમ?” સહદેવે પૂછ્યુ.
“એમ જ... તું એ દિવસે જેલમાં મને સરખી રીતે મળ્યા વગર જતો રહ્યો, એ પછી મને બહુ દુખ થયુ, મને લાગ્યું હવે કદાચ તું મને ક્યારેય નહીં મળે.” થોડા ઉદાસ સ્વરે તે બોલી.
“અરે... એ તો ઇબ્રાહિમ અંકલ સાથે તે જે બિહેવ કર્યુ એટલે મને થોડો ગુસ્સો આવ્યો હતો, અને પાછુ તે મારાથી તારા ઘરની વાત છુપાવી...”
“એ વાતથી તું હજુ નારાજ છે મારાથી?”
“ના હવે. પછી મને લાગ્યું તે જે કર્યુ એ બરાબર કર્યુ.” સહદેવ બોલ્યો.

સહદેવે જે કહ્યું એનાથી તેને સારું લાગ્યું જાણીને કે તેણે જે કર્યું એ બરાબર કર્યું. થોડીવાર મનુ ચૂપ બેશી રહી. સહદેવ પણ ચૂપચાપ એને જોઈ રહ્યો. થોડીવાર બાદ સહદેવે પૂછ્યુ: “તો તારે ગામ જ રહેવુ છે?”
“હા. ત્યાં મારૂ ઘર છે.” મનુ બોલી. તેને લાગ્યું સહદેવ પાછી જૂની વાતો ઉખેળશે અને પાછું બોલવાનું થશે. માટે તે ઊભી થઈ અને કહ્યુ: “મારે હવે જાઉ જોઈએ…” કહી તે સહદેવને જોઈ રહી. સહદેવે ફક્ત મોઢું હંકાર્યુ.
“તું આવ ને મારા ગામ. જતા પહેલા એક વાર મને મળવા આવીશ?”
“જોઈશ...” ફક્ત તે એટલુ જ બોલ્યો.
તેને લાગ્યું સહદેવ હજુ પણ તેનાથી નારાજ છે, હજુ પણ એ જ વાત તેણે પકડી રાખી છે માટે આમ કરી રહ્યો છે:“સારું. સમય હોય જો તારી પાસે મારા માટે, તો આવજે.” તે બોલી અને નીકળી ગઈ. સહદેવ ક્ષુબ્ધ બની તેને જતાં જોઈ રહ્યો.

બ્હાર નીકળી ત્યાં સુધીમાં તેની આંખો ભરાઈ આવી. એકવાર પણ તે મને મળવા આવશે એવી ખાતરી પણ સહદેવે ન આપી. મેં એને આમંત્રણ આપ્યું તો પણ તેણે પાકો જવાબ ન આપ્યો. એ બાબત તેને ખૂંચી રહી હતી. આટલા સમયને ધ્યાનમાં રાખીને એકવાર મળવા આવવાની તો હા પાડવી જોઈતી હતી પણ તે મને નથી મળવા માંગતો તો હું પણ શું કરી શકું? તે પોતાનું મન મનાવી પાછી ફરી. તે સહદેવને જણાવી ન શકી કે તે એની સાથે રહેવા માંગે છે. આ તરફ સહદેવને પણ થઈ રહ્યુ હતું કે મનુને પૂછી લે કે તે એની સાથે આવવા તૈયાર છે કે નહીં પણ મનુએ જે રીતે હાલ વર્ત્યુ એ પરથી એને લાગ્યું મનુની ઈચ્છા કઈક બીજી હશે.

મનુ તેના ઘરે જતી રહી. વકીલ અને સલિમ મેમણ ઓફિસ પાછા આવ્યા. સલીમ મેમણ, ઇબ્રાહિમ વકીલ અને સહદેવે બેશી આગળની યોજના બનાવી. સહદેવના વિચારોમાંથી મનુ ખસતી ન હતી. જેલમાં મનુ ડ્રેસ પહેરતી. આજે તે સાડીમાં ખૂબ જ આકર્ષક લાગી રહી હતી. આકર્ષક અને થોડી ઉદાસ. એ કદાચ મારા કારણે ઉદાસ થઈ હશે. મારે એને હું આવીશ એવું કહેવું જોઈતું હતું. તેણે છેલ્લે કહ્યું કે ‘તને મારા માટે ટાઈમ હોય તો આવજે.’ સાફ રીતે આમાં તેની નારાજગી દેખાઈ આવે છે. મારે એને ઊભી રાખવા જેવી હતી અને કહેવું જોઈતું હતું કે હું આવીશ પણ તે તો ઊભી જ ન રહી. મને કઈક કહેવાનો, વિચારવાનો સમય જ ન આપ્યો. કોઈ વાંધો નહીં ઝારખંડ પાછા હતા પહેલા એક વાર હું એને મળી આવીશ. સહદેવે મનોમંથન કર્યું. એને મળ્યા બાદ તે થોડો મુગ્ધ થઈ ગયો હતો અને સૂનમૂન લાગી રહ્યો હતો. રાત્રે તે તેના ક્રાંતિકારી મિત્રો સાથે બેઠો હતો ત્યારે મિત્રોએ એને પૂછ્યુ.
“બપોરનો આ કેમ શાંત થઈ ગયો છે?”
“હા, પેલી છોકરીને મળ્યા પછી એકદમ ચૂપ થઈ ગયો છે એ.” સવારે મનુ આવી ત્યારે ઓફિસમાં જે હાજર હતા એમાંનો એક મિત્ર બોલ્યો.
“એમ છે વાત?” બીજા એકે પૂછ્યુ.
“દોસ્તો, (આકાશમાં તારો ચીંધતા) એ પેલા ધ્રુવના તારા જેવી છે. જોઈ શકુ છું હુ એને... પણ મેળવી નથી શકતો.” કહેતા બીડીનો એક કશ લગાવ્યો.

*


પાછા આવી મનુએ ગાડુ કરી બે-ત્રણ ફેરા કર્યા અને આથમતા સૂર્યએ ઘર તરફ ભણી. તેને વકીલે જે વાત કહી હતી એના પર તે ગંભીર રીતે વિચારી રહી હતી. વકીલે કહ્યું એવું જો મારા ગામમાં થાય તો તો હુલ્લડ ફાટી નીકળે. મારે એવું ન જ થવા દેવું જોઈએ. વકીલને હું ના જ પાડી દઉં કે હું એવું નહીં કરું પણ જો વકીલની વાત માની એવું કરું તો તો આ ગામમાં ઇતિહાસ બની જશે. પણ હું તો એક સીધી સાદી છોકરી છું મારે શું? સહદેવ અંગે પણ વિચાર આવી રહ્યા હતા કે આ બધુ છોડી એની પાસે જતી રહુ? તેનુ મન અંદરથી એને એમ કરતા રોકી રહ્યુ હતું. એક અજાણ્યો ડર તેને સહદેવ પાસે જતા રોકી રહ્યો હતો. તેને એની પાસે જઉ હતું પણ તેનુ ચંચળ મન સંઘર્ષમાં હતું. મનુને તેણે બાંધેલી માન્યતા રોકી રહી હતી. તેને આ ઘર, આ ગામ અને અહીની જીવનશૈલીની માયા લાગી હતી. એની સામે સહદેવ હતો, તેનો સહવાસ હતો, એની લાગણીઓની હુંફ હતી. બસ, આ મનોસંઘર્ષમાંથી કોઈ રીતે તે બ્હાર આવી શક્તી ન હતી અને આમ ને આમ બીજા પંદર દિવસ નીકળી ગયા.

*


એ દિવસે વકીલે મનુને લેવા ગાડી મોકલી. આજે બિહારથી ફળિયાના આદમીઓ પાછા આવવાના હતા. વગર કોઈ અવરોધે સામાન સલામત રીતે પહોંચાડી દેવામાં આવ્યો હતો. સ્ટેશને ક્રાંતિકારીઓ અને આદમીઓને લેવા માટે સેનાના માણસો, ઇબ્રાહિમ વકીલ અને મનુ આવી હતી. સૌ પહેલા ફળિયાના આદમીઓને ઘરે છૂટા કર્યા. મનુએ ઘરે આવી હિસાબ પતાવા જણાવ્યુ. તેને થોડુ કામ છે કહી તે વકીલ સાથે ઓફિસ ગઈ.

“મૈને તુજે ૧૫ દિન પહેલે જો બાત બતાઈ થી, વો સોચા તુને?” ગાડીમાં જતા જતા વકીલે મનુને પૂછ્યુ.
“હા, પણ એવું મારા ગામમાં શક્ય નથી.” મનુએ જણાવ્યુ.
“સબ કુછ શક્ય હે લડકી. તુજે બસ થોડી હિમ્મત દિખાની પડેગી. ઝરા સોચ એક બાર જબ વો હો જાયેગા તબ તુ તુમ્હારે લોગો કે લીયે કિતના કુછ કર પાયેગી. સાથ મેં હમારા કામભી ઠીક સે હોતા રહેગા. ફીરભી મે તુજે ફોર્સ નહીં કરુંગા. તું ખુદ નક્કી કર તુજે ક્યાં કરના હે.”

ઓફિસ આવી ગઈ. ગાડીમાંથી ઉતરી વકીલ અને મનુ ઓફિસ આવ્યા. તેમણે મનુને પૈસાની બ્રીફકેશ આપી અને કહ્યુ: “ઇધર સે તું ઓર ભી આગે જા શકેગી લડકી... મેને જો બોલા વો સોચના એક બાર.”
“સારું. હું વિચારીને કહીશ.” અને તે ઘરે આવી.

પૈસાની બ્રીફકેશ લઈ મનુ ઘરે આવી. બધા આદમીઓ તેમના બૈરાંઓ સાથે એના આંગણે રાહ જોઈ ઊભા હતા. પૈસા લેવા માટે આદમીઓ અને તેમની ઓરતો પણ સાથે આવી હતી. મનુએ એમને સાંજે આવવા કહ્યુ. વકીલની વાતથી તે ખૂબ જ વિચારમય બની હતી. તેને થાક લાગ્યો હતો. બપોરે તે સુવા માટે આડી પડી. તેનુ મન ચકડોળે ચડ્યુ હતું. વકીલની વાત માની તે આગળ વધી શકે છે પણ એમાં પોતાનું અને ગામના લોકોનું જાનનું જોખમ રહેશે. વધુમાં જો અંગ્રેજ સરકારની જાણમાં આ બાબત આવે તો પાછું જેલમાં જવાનું થાય. ના...ના ફરી જેલમાં નહીં. જેમ ચાલે છે એમ ચાલવા દો. વકીલને ના પાડી દઇશ.

તેને હવે કઈ જોઈતુ ન હતું. તેની પાસે જીવન-નિર્વાહ માટે પૂરતા પૈસા હતા, બળદગાડુ હતું, ઘર હતું, તેનો ભાઈ સારી જિંદગી જીવી રહ્યો હતો. તેની પાસે આખી જિંદગી આરામથી જીવી શકાય એવુ બધુ જ હતું સિવાય કે સહદેવ. તેની અને સહદેવની જીવનશૈલી અલગ-અલગ હતી માટે તેણે એને ઝંખવાની વ્યર્થ અપેક્ષા પણ છોડી દીધી. બસ, વકીલે જે કર્તવ્ય તેને સોંપ્યુ હતું એ વિચાર તેને સતાવી રહ્યો હતો. આવા જ બીજા વિચારોના વંટોળે તે ઊંઘી ગઈ. આ તરફ ગામમાં બધે વાત પ્રસરી ગઈ હતી કે મનુ લોકોને કામે રાખી ઓછા સમયમાં અધધ પૈસા કમાવી આપે છે. દરબારોની જાણ બ્હાર આ બધુ થઈ ગયું. એ વાત એમને ગમે એવી ન હતી.

૨ કલાક બાદ જાગી. વકીલ પાસેથી જે પૈસાની બ્રીફકેસ લાવી હતી એમાંથી ૨૬ પાંચસોની નોટ ગણી બ્હાર આવી. આંગણમાં ખાટ પાંથરી બેસી. સાંજના સૌ આદમી તેના આંગણે આવ્યા. મનુએ વિતરણ કરતા પહેલા કડક શબ્દોમાં સૂચના આપી: “તમે બધો જે કોમ માટે જ્યાં’તા એ કોમ વિષે તમાર કોઈન કઈ કે’વાનુ નથી અન જો કોઈ પુસ તો એટલુ જ કે’વાનુ કે અંગ્રેજોએ મોટા મોટા પ્રસંગ રાખ્યા’તા એમાં સાફ-સફાઈ અને ખાવાનુ પીરસવા જ્યાં’તા. સમજાણુ?”
“હા.” સમૂહમાં જવાબ આવ્યો. મનુએ અંજુને પેન અને કાગળ લઈ બોલાવી અને જે-જે લોકો પૈસા લઈ ગયા એમના નામ નોંધ્યા. મનુએ અંજુ પાસે નામની યાદીમાં નોંધ કરાવી અને એક-એકને પૈસા આપી છૂટા કર્યા. આ કામ ચાલી રહ્યુ દરમિયાન એક રબારીનો છોકરો મનુને બોલાવા આવ્યો:
“એ મનુડી, તન રાઘજી બાપુએ બોલાઈશ. હાલ ઊભી થા!”

મનુ બે ઘડી વિચારમાં પડી કે રાઘજીએ શુ કામ એને બોલાવી હશે? તેણે કહ્યુ: “આટલુ કોમ પતાવી આવુ સુ.” કહી તેણે યાદીમાં જોયુ કેટલા નામ બાકી છે. થોડીવાર ઊભા રહ્યા બાદ મનુને લેવા આવેલો છોકરો અકળાયો. તેની વાતની અવગણના કરતાં તે રોષે ભરાયો: “હાળી ઊભી થાન એક વાર કીધુ એમાં ખબર નય પડતી.” એમ બોલી તે એની નજીક આવ્યો. મનુ એક જાટકે ઊભી થઈ, ખાટની નીચે પડેલુ દાતરડુ ઉઠાયુ અને એના ખમીસનો કાંઠલો પકડી દાતરડુ એના ગળા આગળ મૂકી દીધુ. માથાના વાળ જેટલું સહેજ જ અંતર રહ્યુ હતું દાતરડા અને પેલાની ગરદન વચ્ચે.

આજુ-બાજુ ઉભેલા લોકોને તો લાગ્યું મનુએ પેલાના ગળા પર દાતરડુ ફેરવી દીધુ. અચાનક થયેલા આવા વારથી છોકરો ફફડી ગયો. મનુ આવુ પણ કરી શકે કોઈએ કલ્પના કરી ન હતી. મનુના આ પ્રહારથી એ છોકરો થરથર કંપી ઉઠ્યો પણ તેણે દાતરડુ એને અડાડયુ ન હતું. જાણે મા ચંડીનુ રૂપ ધારણ કર્યુ હોય એમ તે ગુસ્સાથી તપી ઉઠી હતી. તેના શ્વાસોના ધબકારા જાણે છાતી ફાટી બ્હાર આવી જવાના હોય એમ ફૂલી રહ્યા હતા. ચાર ક્ષણ તે એમ જ ઊભી રહી અને પછી બોલી: “ભેણબખત. કામ ચાલુ સ, હંભળાતુ નહીં તન?”

મનુએ ચાર ક્ષણ દાતરડુ એના ગળાએ મૂકી રાખ્યુ અને પછી નીચે ફેંકી દીધુ. છોકલનો કાંઠલો છોડ્યો. બધા આભા બની મનુને જોઈ રહ્યા. પછી તે તેની ખાટ પર બેશી ગઈ. બધા રાઘજીએ મોકલેલા રબારી છોકરા સામે જોઈ રહ્યા. તે પીટલની જેમ ચોંટી ગયો હતો. છોકરાએ આજુ બાજુ જોયુ કે લોકોએ એના તરફ મીટ માંડી હતી. તે હજી મનુએ કરેલા પ્રહારના ડરમાં સમસમી રહ્યો હતો. અપમાન અને ડરના અનુભવનુ સંવેદન તેને એકસાથે થઈ રહ્યુ હતું, તે પાછો હઠયો અને પોતાના ઘોડા પર સવાર થઈ નીકળી ગયો.

તેની બાજુમાં બેસેલી અંજુ પણ ડરથી ફફડી ઉઠી હતી. તેણે ભીંસ દઈ પેન પકડી રાખી હતી. તેના હાથ પગ કડક થઈ ગયા હતા. મનુએ એને પૂછ્યુ: “ચેટલા નોમ બાકી રયા?”
“સસ...સાત.” ડરતા ડરતા તેણે જવાબ આપ્યો. ડરથી ગંભીર થઈ ગયેલો નાની અંજુનો માસૂમ ચહેરો જોઈ તેનો ગુસ્સો ઠંડો પડ્યો. આંગણે ઉભેલા આદમીઓ તેને સલાહ આપવા માંગતા હતા કે આવુ રબારીના છોકરા સાથે ન હતું કરવા જેવુ પણ મનુના ક્રોધનો એમને પણ ડર લાગી રહ્યો હતો માટે ચૂપ રહ્યા. મનુની પાસે બેસેલી અંજુ હજુ પણ ડરમાં હતી. તે યંત્રવત બની નામ આગળ જે વ્યક્તિ પૈસા લઈ જતી હતી એની નોંધ કરી રહી હતી. હિસાબ પતાવી દીધા બાદ સૌ પોતાના ઘર તરફ ભણ્યા. અંજુ ડરથી હલી પણ રહી ન હતી. તેને એમ ગંભીર બેઠેલી જોઈ મનુને એના પર વ્હાલ આવ્યુ. તેણે એના માથે હાથ ફેરવી, ગાલે બચી કરી.
“થોડીકવાર બેહ અંજુ. મું તારા માટે કઈક લાવીસુ.” કહી તે ઘરમાં ગઈ. અંજુ ચૂપચાપ સ્તબ્ધ બની બેશી રહી.

મનુ અંદરથી પાંચની નોટ લાવી આવી અને અંજુને આપી. હળવેથી અંજુએ નોટ લીધી અને મૂઠી વાળી ધીમે ધીમે ચાલવા લાગી. મનુના આંગણેથી બ્હાર નીકળ્યા બાદ તે દોડતી તેના ઘરે જતી રહી, તેને એમ દોડતા જોઈ મનુ હસવા લાગી. પછી તે રાઘજીના ઘર તરફ ભણી. રાઘજીએ એને શુ કામ બોલાવી હશે, એ તે ઓછા વત્તે અંશે અનુમાન લગાવી ચૂકી હતી માટે એ તૈયારી સાથે રાઘજીના ઘરે પહોંચી.

રાઘજીના ઘરે શમાજી, અરજણ અને રબારી ઊભા હતા. રબારીની સાથે એનો છોકરો પણ ઊભો હતો જે થોડી વાર પહેલા મનુ પર ધાક જમાવા આવ્યો હતો. મનુએ આવીને રાઘજીને અને બધાને પ્રણામ કર્યા. રાઘજી પૂછવાનુ કે કઈ કહેવાનુ ચાલુ કરે એની પહેલા રબારી બોલ્યો:
“તે લી મારા સોકરાના ગરાએ દાતરડુ મેલ્યુ?”
ડોકુ ધૂણાવી મનુએ હા પાડી.
“ચમ લી... એટલી બધી મોટી હમ્જ જ સ તુ તારી જાતન... હાળી વાધરણ!” પોતાની લાકડી જમીન પર જોરથી પટકાવતાં રબારી બોલ્યો.
“મારા ફળિયાના આદમીઓ હામે, મારા ઘરમાં મન તોછડાઈથી બોલાવા કોઈ આવ, તો મારે હું જવાબ આપવો?” મનુએ રબારીને પ્રશ્ન કર્યો.
આ સાંભળી રબારી ચૂપ થઈ ગયો. એ પછી મનુએ ઉમેર્યુ: “ઇણે બધાની હામે... મું જે લોકોન દાડીએ રાખુ સુ એમની હામે મન ધમકાઈ અન મન મારવા આવતો’તો, હવ મારીય આબરૂ સ. મું જે આદમીઓન કોમે રાખુ એની હામે કોઈ મન દબડાઈ જાય...(તે રાઘજી તરફ ફરી) તો મું હું કરું રાઘજી બાપુ?”
“નવઘણ... તારા સોકરાન થોડો દાબમાં રાખ, ગોમમાં ગમે ઈના ઘરે જઈ દાદાગીરી કરવા જાય ઇ નો હાલે. આ સોડીની વાત હાચી સ.” રાઘજીએ કહ્યુ.

હાજર ઉભેલા સવર્ણોને વિશ્વાસ ન હતો આવતો કે ન્યાય પછાત જાતિની છોકરીના પક્ષમાં ગયો પણ તાર્કિક રીતે અને સામાજિક રીતે મનુ સાચી હતી અને એક સરપંચના હોદ્દાથી જે નિર્ણય આવ્યો એને બધાએ સરમાન્ય રાખવો પડયો. પછી રાઘજીએ મનુને પૂછ્યુ:
“હું તે નવું માંડયુ સ વળી? આ તમાર ડેલાના આદમીઓન ચ્યાં મોકલ્યા’તા તે?”
“બાપુ એ તો શે’રમાં અંગ્રેજોના કાર્યક્રમો હતા,‘ને ત્યાં સાફ-સફાઈ અને જમવાનુ પીરસવા વાળાની જરૂર હતી. તે બધા આદમીઓ જ્યાં’તા.”

બે ઘડી રાઘજી એને જોઈ રહ્યો અને કહ્યુ: “ ’ને આવી વાત મન કે’વી તન જરૂરી નો લાગી?” મનુ માથુ જુકાવી ઊભી રહી. તેની પાસે યોગ્ય જવાબ ન હતો એટલે રાઘજીએ આગળ બોલવાનુ ચાલુ રાખ્યુ: “હાળીઓ જાત ભૂલી જ્યાં સો કે હું તમે, હે? જેમ મન ફાવે એમ કરવા લાગ્યા સો. તમાર સોકરાઓન ભણવાની પરવાનગી આલી એટલે તમન મન ફાવે એમ અમન પુસયા વગર બધુ કરશો... એમ? કાલ હુંધી અમારી વાસી ચડિયું ધોતી’તી અન અત્યાર આપણી જેમ અધિકારી બનવા હાલી નીકળી સ! ઉકરડે પડ્યા રો’ ઇ જ જાત સ તમારી, ‘યાં જ જન્મો ‘યાં જ ખાવ, ‘યાં જ અઘો અને ન્યાં જ મરી જાવ! ઇ જ ઓકાત સ તમારી અન ઇ જ જગ્યા સ તમારી! આવી મોટી ભાંગીયાવન કોમે રાખવા વાળી...” રાઘજી તાડૂકયો અને તેણે મનુને ઘણુ બધુ સંભળાવી દીધુ.

મનુ સંયમ રાખીને બધુ સાંભળી રહી. તે ચાહતી હોત તો હમણા આગળ વધી રાઘજીની ગળચી મરોડી શકત પણ તેને એમ કરવુ યોગ્ય ન લાગ્યું. જેલમાં આત્મ રક્ષણ અને ખુલ્લા હાથે કરવાની આક્રમણની મરણતોલ યુક્તિઓ તેને આવડતી હતી પણ અત્યારે એનો ઉપયોગ કરવાથી બહુ બધુ મુસીબત ઊભી થઈ શકે એમ હતી અને દરબારોની શેરીમાંથી સરપંચને સુવડાવ્યા બાદ પોતે સલામત નીકળી શકે એમ ન હતી માટે મૌન રહી રાઘજીના, શમાજી અને રબારીના તીક્ષ્ણ જાતિ અંગેના અપશબ્દો સાંભળી રહી.

તે મૂંગા મોઢે ઘરે આવી. ગુસ્સાથી તેના ભવા ચઢેલા હતા. રાત્રે સૂતા પહેલા તેણે સંકલ્પ લીધો કે આ અપમાનનો પ્રતિશોધ ગમે તે કરી લેશે. જેલમાં રહી તે એટલું તો શીખી ગઈ હતી કે કોઈ માણસને સોંપવામાં આવેલા કાર્યોથી તેની જાત કે તેનું ચારિત્ર્ય નક્કી નથી થતું. વર્ણપ્રથાથી ઊભી થયેલી આભડછેટે માણસોને માણસો પ્રત્યે લાગણીશૂન્ય બનાવી દીધા છે. મારી કાયા અને જન્મથી મળેલી મારી જ્ઞાતિનો વારસો બંને જુદા છે. લોકોની અપેક્ષિત સમજમાં હું ઉતરવાની નથી. સંકુચિત માનસિકતા ધરાવતા લોકો જે એમ માને છે કે મારી જગ્યા ઉકરડે છે. ત્યાં જ જન્મો ત્યાં જ ખાવ અને ત્યાં જ અઘો... એ બધા કરતાં વધારે દુનિયા મેં જોઈ છે. એમની દુનિયા શું? આ ગામ, ગામના લોકો? એમના અને આજુબાજુના સમાજની ઓળખાણ? ખોટા મિથ્યાભિમાનમાં જીવી રહ્યા છે. ડરપોક અને કાયર લોકોએ આવાઓ ના અહંકારને પોષ્યો છે, માટે એવા ગુમાનમાં ફરે છે કે એમણે બીજા કરતાં સર્વોચ્ચ છે. બાપ-દાદાની ધનદોલત અને પોલીસ કે સરકારમાં વગ ન હોય ને તો આ લોકોમાં ઊભું સંડાસ બનાવાની ત્રેવડ પણ નથી. હું નાનપણથી મારી જાતે બધુ કરતાં શીખી છું. કોઈએ ખેરાતમાં નથી આપ્યું મને કશું. મારા ભાઈને મોટો કર્યો. ઘર સંભાળ્યું, પોતે શસ્ત્ર ચલાવતા શીખી, આત્મરક્ષણ શીખી, વાસના લોકોને કામ અપાવ્યું બધુ એકલા હાથે નાનપણથી ઝઝૂમી છું. આ લોકોથી પાણી પીય પ્યાલોય પાછો અભરાઇ પર મૂકી હકાતો નથી, મારી ઓકાતની વાત કરે સે.. એમના કોઈનામાં તાકાત છે કે મા બાપ વગર મોટા થઈ શકે? ‘ને હું તો છોકરીની જાત, દુનિયા સમજતી થઈ એના પહેલાથી દુનિયાએ થોપેલી જવાબદાઇઓ ઉઠાવતી થઈ છું. આ કોઈનામાં છે તાકાત પુરુષ થઈનેય એકલા ઘરમાં મોટા થઈ શકે? વેચાય જાય છે, મામાના કે ફુઈઓના ઘરે બે ટંકના ખોરાક હાટું. ત્યારે ક્યાં જતી રે’ છે એમની ઓકાત? ત્યાં તો ડફ દઈને ઘરના કામ કરવા લાગે છે. બસ આ જ. જ્યાં પોતાના ધનદોલતનો દંભ અને બાપનું છત્ર ગુમાવ્યું ત્યાં આ કહેવાતા સવર્ણો ગુલામ બની જાય છે એમના સગાના. ત્યાં એમનો અહંકાર ભાંગે છે પણ તો ય જાતભેદ નથી ભૂલતા. કહેવાયને કે નવાબની પ્રિય રખાત પણ સામાન્ય સ્ત્રી કરતાં પોતાને ચઢિયાતી સમજે છે. એ જ રીતે ફુઈ કે મામાના ઘરે રાખેલો ભાણો/ ભત્રીજો એટલે કે નોકર પોતાને બીજા જન કરતાં ચઢિયાતો સમજે છે. મારી તો મજબૂરી હતી અને કોઈ કૌશલ્ય ન હતું માટે લોકોના કચરા, વાસણ પોતું કરતી હતી. હવે, તો છે મારી પાસે આવડત કે હું સંચાલન કરી શકું. આત્મરક્ષણની એવી મરણતોલ યુક્તિઓ આવડે છે કે એકે એક સવર્ણને ભોયભેગો કરી શકું. ટોળું કરી, હાથમાં લાકડી અને હથિયાર લઈને તો વાંદરૂય જોખમકારક લાગે. ખુલ્લા હાથે જે પછડાટ આપે એનામાં કહેવાય તાકાત. જેલમાં રહેતા ક્રાંતિકારીઓ જે મૂઠભેડમાં જોડાતા હોય, હથિયારો ચલાવતા હોય એમને જો હું લોહીલુહાણ કરી શકું તો શું આ કૌશલ્યરહિત અભિમાનીઓ મારી સામે ટકી શકે? આવાઓની માનસિકતા એમની ધોતી, એમની તરંગી સર્વોચ્ચતા અને એમના અહંકારના મોભાની ગુલામ છે. એમના વિચારો એનાથી બ્હારના આવી શકતા નથી. આવાઓ આ ગામનું સંચાલન કરે? અમારા માટે નિર્ણયો લ્યે? આ વિચારથી જ મને તો શરમ આવે છે. જેમના પૂર્વજોએ રખાતો પાછળ બધી સંપત્તિ લુટાવી દીધી હોય, વખત આવવા પર મુઘલો સાથે હાથ મિલાવી હિન્દને લજાવ્યું હોય એવાઓના વંશજો અત્યારે સરપંચ થઈ બેઠા છે. ‘ને આ લોકો સારું કરશે આ ગામનું? અહીના લોકોનું? હલકી રાજનીતિ સિવાય તો બીજું કઈ કરતાં હોય એવું દેખાઈ નથી રહ્યું. તો મારે જ હવે કઈક કરવું રહ્યું. વકીલે જે પ્રસ્તાવ મૂક્યો હતો એ અમલમાં લાવવા જેવો જ છે. ભલે પોતાના પ્રાણ જાય કે અન્યના. આ લોકોનો સમય આવી ગયો છે કે એમનો સમય પૂરો કરવાનો. હવે બધો વહીવટ થશે. હું કરીશ વહીવટ.

આગલા દિવસે તે વકીલ પાસે ગઈ અને સાંજવાળી ઘટના તેમને જણાવી. મનુને વકીલે જે અશક્ય કામ સોપ્યુ હતું, તે કરવા રાજી થઈ. આ સાંભળી વકીલે તેને ઉપાય આપ્યો, કેવી રીતે શુ કરવુ એની સંપૂર્ણ યોજના સમજાવી. ત્યારબાદ તેઓ તાલુકા ઓફિસ ગયા અને મનુનુ સરપંચની ઉમેદવારીમાં નામ નોંધાવ્યુ.

*


        (ચૂંટણીનો માહોલ)
૧૫ દિવસ બાકી

ગામ આખામાં ચૂંટણીનો રંગ જામી ગયો હતો. રાઘજી છેલાજી દેસાઇ અને શમાજી નરોત્તમસિંહ રજપૂત ગામના બે મોટા માથા સરપંચની ચૂંટણી માટે સામ-સામે ઊભા હતા. રાઘજીએ ગયા ૫ વર્ષમાં ગણાવી શકાય એવા ઠીક ઠીક કામો કર્યા હતા, જેમાં રોજગાર આવી ગયો, બાજુના ગામમાં નિશાળે બાળકોને ભણવાની વ્યવસ્થા કરી આપી. વર્ણવ્યવસ્થાના કારણે તેણે પછાત વર્ગના બાળકોને સવર્ણો સાથે નિશાળ જવા પર રોક લગાવ્યો હતો પણ એ જાતિના લોકો માટે ટૂંકાગાળાના રોજગારની તકો પૂરી પાડી હતી. રાઘજીએ અંદરો-અંદર જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના ઝઘડાઓ અને વિખવાદોનો ઉભયસંતુષ્ટ નિવેડો લાવી આપેલો. સમગ્ર રીતે આ પાંચ વર્ષના કાર્યકાળમાં રાઘજીએ ગામમાં લગભગ યોગ્ય શાસન કર્યુ હતું.

આ તરફ શમાજી સરપંચ બનવા માટે અધીરા થઈ રહ્યા હતા. તેની પાસે માલ-મિલકત અને બાપ-દાદાની આબરૂ સિવાય કઈ ન હતું. એક સમયે એમના પરદાદાઓ રાજા અને શૂરવીર હતા. શાસન કરવુ એ શમાજીના વારસામાં હતું પણ કેવી રીતે શાસન કરવુ એ શમાજી ક્યારેય શીખ્યા નહીં. આ વાતની ઉણપ ગામ લોકો સમક્ષ છતી થઈ ચૂકી હતી માટે ગઈ વખતે રાઘજીના પક્ષમાં મતદાન લોકોએ કર્યુ હતું. એટલે જ આ વખતે ચૂંટણી જીતવા માટે શમાજીએ કોઈ કસર બાકી રાખી ન હતી. જેટલા પૈસા જાય, એટલા તે ઉડાડવા તૈયાર હતા. એ માટે તેણે ઠાકોરોને દારૂની દાણચોરી કરવામાં ટેકો કરી આપ્યો. ગામના રબારી અને ભરવાડો જે વાસનાના ભૂખ્યા હતા એમના માટે પોતાના ખેતરોની રખેપાતોમાં ગણિકાઓની વ્યવસ્થા કરી આપી.

શમાજી અને રાઘજી બંનેએ એક સરખી ભૂલ એ કરી કે તેઓએ ફક્ત સવર્ણોને જ રીઝવવા માટે હાથપગ હલાવ્યા, સવર્ણોની જ સુવિધા વિષે વિચાર્યુ જ્યારે ગામમાં દલિતોની વસ્તી એમના કરતા બે ગણી હતી. એની સામે મનુએ સ્વને ભૂલીને લોકોની મદદ કરી હતી. ઓછા સમયમાં શ્રમ વીના ફળિયાના લોકોને એટલા પૈસા કામવી આપ્યા, જે કમાવા જતા તેમને ત્રણ મહિના થઈ જાત. જેમ વકીલે તેને સૂચવ્યુ હતું એમ તેણે કોઈને જણાવ્યુ નહીં કે પોતે ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી છે.

૧૪ દિવસ બાકી

રવિવારે ફળિયાના સૌ આદમી-ઓરતો અને બાળકોને બોલાવી જાહેરાત કરી કે આવતી કાલથી બાળકોએ નિશાળ જવા માટે મૂળજીના ટ્રેકટર પર બેશી જવાનુ નથી. તે પોતાનુ બળદગાડુ બાળકોને લેવા-મૂકવા માટે રાખશે અને એક પૈસો પણ નહીં લે. સૌ કોઈ આભારદર્શક ભાવે તેને જોઈ રહ્યા અને તાળીઓથી વધાવી લીધી.

“આવતી કાલથી આપણા ફળિયાના બધા સોકરાઓ મારા બરદગાડામાં નેહાર જશે.” મનુએ જાહેરાત કરી એ સાથે આનંદથી બધી બાળકીઓ ઝૂમી ઉઠી. આદમી અને બૈરાંઓ પણ ખુશ થઈ ગયા જાણીને કે આવતા વર્ષથી તેમના બાળકોનુ શિક્ષણ નહીં અટકે. મનુની આ આપસૂઝથી લોકોમાં તેનુ માન વધી ગયુ. તેણે ફળિયાના એક માણસને બળદગાડુ લઈ જવા અને લાવવા માટે સોંપ્યુ. વળતી વખતે તે ગામ બાજુ આવતા ઉતારુંઓને બેસાડી લેતો એટલે ફેરો ખાલી જતો નહીં. સવર્ણો સુધી આ વાત પહોંચી ગઈ પણ એનાથી એમને ખાસ કોઈ ફેર પડ્યો નહીં. ફટકો પડયો હતો મૂળજીને. તેની રોજીંદી આવક આવતી બંધ થઈ ગઈ.

૭ દિવસ બાકી

આજે તાલુકાથી આયોગ અધિકારીઓ ઉમેદવારો માટેના નિવેદન પત્ર પર અંગુઠો કરાવા આવ્યા હતા. આ નિવેદન પત્ર પ્રમાણે જ્યાં સુધી ચૂંટણી પતે નહીં ત્યાં સુધી ઉમેદવાર કોઈપણ જાતના પ્રલોભનો આપીને કે મતદારને ધાક ધમકી આપી કે બળજબરી કરી મત મેળવવાનો પ્રયત્ન નહીં કરે અને જો એમ કરતાં જણાશે તો તેની ઉમેદવારી આગામી ૧૫ વર્ષ સુધી રદ કરવામાં આવશે અને દંડ ભરવો પડશે. આ નિયમોની ચકાસણી હેતુ આયોગ અધિકારીઓ તપાસ કરવા આવ્યા હતા કે ઉમેદવારો સામાન્ય નાગરિકોને કોઈ જાતની જબરદસ્તી કે પ્રલોભનો આપી લલચાવી તો નથી રહ્યા ને. એ માટે પ્રથમ તેમણે ગામમાં બધી શેરીઓમાં જઈ મૌખિક મોજણી કરી. મોજણી બાદ કોઈ ઉમેદવારે નિયમોનુ ઉલ્લઘન કર્યુ હોય એમ જણાયુ નહીં. 

એ પછી આયોગ અધિકારીઓ શમાજી પાસે જઈ નિવેદન પત્ર પર અંગુઠો લેવડાવ્યો. ત્યારબાદ તેઓ રાઘજી પાસે ગયા. રાઘજી ઘરના મુખ્ય ઓરડામાં હીંચકા પર બેઠો હતો. નવઘણ રબારીનો પુત્ર જ્યોતિર્લીંગ પાસે ઊભો હતો. રાઘજીએ જ્યોતિર્લીંગને અધિકારીઓ માટે બેસવાની વ્યવસ્થા કરવા કહ્યુ અને ચા-નાસ્તાનુ પૂછ્યુ. દરમિયાન રાઘજીના પત્ની મહેમાન માટે પાણી લઈ આવ્યા. ત્યારબાદ જ્યોતિર્લીંગ તેમને મદદ કરવા રસોડામાં ચાલ્યો ગયો. ચુનાવ આયોગ અધિકારીઓમાંથી એક જણ રાઘજીને ઓળખતો હતો. તેણે રાઘજીને કહ્યુ:“બાપુ આ વખતે તો બોવ રસાકસી છે ને કાઇ ચૂંટણીમાં...”
“હા, શમો ધમપસાડા કરી રહ્યો સ, ગામવાળાન એની તરફેણમાં કરવા હાટુ.” રાઘજીએ કહ્યુ. તે અધિકારી ખડખડાટ હસ્યો અને બોલ્યો: “ના...ના, હુ એની વાત નથી કરતો, આ નવુ ઉમેદવાર કોણ ઉભુ થયુ છે ગામમાંથી?”
આ સાંભળી રાઘજી થોડો ગંભીર થયો. તેણે પૂછ્યુ: “નવુ... કોણ?”
“મનરાગીની નાથપૂજક. એવુ નામ લખ્યુ છે.” અધિકારીએ જણાવ્યુ.
“મન...રાગિની... આ નોમ મેં ચ્યારેય નહીં હાંભળ્યુ. (વિચારોમાં ગર્ત તે નીચે જોઈ રહ્યો, થોડીવાર બાદ) સરનામુ ક્યાંનુ સ?”
“દેવી-નિવાસ, નાથપૂજક વાસની ચાલી, નાની તલાવડી પાસે.” અધિકારીએ જણાવ્યુ.

રાઘજીની આંખો અધ્ધર થઈ ગઈ. જ્યોતિર્લીંગ બધા માટે ચા લઈ આવ્યો અને મેજ પર મૂકી. બે ક્ષણ રાઘજી અધિકારી સામે જોઈ રહ્યો અને વિસ્મયકારક ભાવે બોલ્યો: “ના, ના હોય... આ ના બને...ના...ના...ના, આ હોય જ નૈ!” કહી તે ઊભો થઈ ગયો. ચુનાવ અધિકારીએ ચા લેવા હાથ લંબાવ્યો. રાઘજીને ઉભેલો જોઈ તે વિચારમાં પડ્યો કે ચાનો કપ ઉઠાવવો કે નહીં? બે ઘડી એ જ અવસ્થામાં તે બેસી રહ્યો. રાઘજી પણ કશુક વિચારતો ઊભો હતો. છેલ્લે અધિકારી ચાનો કપ ઉઠાવાનો નિર્ણય કર્યો, તે કપ લઈ ખુરશી પર સરખો બેસયો.

રાઘજી બ્હાર નીકળી ગયો. તેની પાછળ જ્યોતિર્લીંગ ગયો. ત્રણેય અધિકારીઓએ ચા પડતી મૂકી અને બ્હાર દોડ્યા. રાઘજી તબેલામાંથી ઘોડા પર સવાર થઈ બ્હાર આવ્યો. જ્યોતિર્લીંગ એની પાછળ ગયો. રાઘજીને જતા જોઈ પૂછ્યુ: “ક્યાં જાવ સો બાપુ? હું થયુ?”
“પેલી વધારણ એની જાત ભૂલી જઈ સ, એની જાત બતાવા જાઉ સુ.”
“પે’લા આ નિવેદન પત્ર પર અંગુઠો મારી દ્યો એટલે અમે છૂટા થઈએ.” આયોગ અધિકારીએ કહ્યુ અને એના કાગળના થેલામાંથી નિવેદન પત્ર કાઢ્યુ. ફટાફટ રાઘજીએ અંગુઠો લગાવ્યો અને હવા સાથે વાતો કરતો મનુના ઘર તરફ ભણ્યો.

તેના આંગણે ઊભા રહી રાઘજીએ બૂમ પાડી: “મનુડી...(બે ક્ષણ બાદ કઈ પ્રતિસાદ ન આવતા) એ મનુડી...” પોતાના નામની રાડો સંભળાતા મનુ દોડતી બ્હાર આવી. રાઘજી ઘોડાથી નીચે ઉતરી આંગણે આવ્યો:
“તે ચુંટણીમાં નોમ લખાયુ સ?”
“હોવ.” મનુએ જવાબ આપ્યો.
“હાળી, તારી ઓકાત ભૂલી જયસુ તુ? ઓલા દા’ડે એટલુ બોલ્યા, કઈ મગજમાં ના ઉતર્યુ તારા?” રાઘજી ત્રાટક્યો.

મનુએ આરામથી ઓસરીમાં ખાટ પાંથરી પગ પર પગ ચઢાવી બેશી અને બંને ઢીંચણે હાથ રાખી બોલી: “મારી ઓકાત મન ખબર પડી ગઇસ. હવ તન તારી ઓકાત બતાડવાની સ.” આ સાંભળી રાઘજી ગુસ્સાથી ઉશ્કેરાઇ ગયો અને બોલ્યો: “હરામજાદી, મુ સુ એટલે તમે બધા આ ગોમમાં જીવી હકો સો...નયતર ઉજાડી દીધી હોત આ વસ્તી ચ્યારની.”
“એમ... તાકાત હોય તો ઉજાડીન બતાડ.” કહી હળવેથી ખાટ નીચે તેણે હાથ જવા દીધો.
“મારી... હામુ... બોલ સ...નીસ ના પેટની....!” કહી રાઘજી હાથ ઉગામવા આગળ ગયો.

જેવો તેનો હાથ મનુની નજીક આવ્યો. મનુ એક ઝાટકે ઊભી થઈ. ખાટ નીચે પડેલું દાતરડું ઉઠાયુ. ખાટ થોડી પાછળ ઢસડાઈ. રાઘજીના આંગળા મનુને અડે એ પહેલા તેણે એના ગળા પર દાતરડુ ફેરવી દીધુ. ગળુ ચીરાતા રક્તના છાંટા ઊડ્યાં અને દાતરડાની અણીએથી લોહીનો એક રેલો નીતર્યો. રાઘજીના ગળાથી લોહી તેની છાતી પર ઉતરવા લાગ્યું. ગામના એકેય સવર્ણના અડવાથી હવે તે અભડાઇ જવા ન હતી માંગતી. રાઘજીને ચક્કર આવવા લાગ્યા. છતાં, તે હજુ પણ હાથ ઉગામવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મનુ એક ડગલુ પાછળ ખસી અને ઉપરા છાપરી પાંચ છ દાતરડાના ઘા એણે રાઘજીની છાતીમાં ઉતારી દીધા. પાંચ ઘા પડ્યા બાદ રાઘજી બચાવ માટે અવળો ફરવા ગયો. દરમિયાન એક ઘા વિચિત્ર રીતે તેના ખભા અને બરડા પર વાગ્યો. એની સ્વરપેટીની નળીઓ કદાચ કપાઈ ગઈ હશે માટે તેના મોઢામાંથી અવાજ નીકળી રહ્યો ન હતો પણ તેના નાકમાંથી અને મોઢામાંથી નીકળતા શ્વાસના ડચકા તેની મરણતોલ પીડા દર્શાવી રહ્યા હતા. રાઘજી અવળો ફરી ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે ભાન ગુમાવી રહ્યો હતો. લથડિયા ખાતા દિશાના ભાન વિના તે મનુના ઘર તરફ બે ડગલાં આગળ ચાલ્યો. મનુને એ દિવસના અપમાનના શબ્દો યાદ આવતા વધારે આક્રોશમાં આવી અને રાઘજીના બરડામાં દાતરડાના ઘા ઉતારવાના ચાલુ કરી દીધા. દર્દથી રાઘજી વિચિત્ર રીતે તરફડિયા મારી રહ્યો અને જમીન પર પટકાયો.

રાઘજીને મનુની સંપૂર્ણ રાજનીતિ હવે ખબર પડી. કેમ એણે એના ફળિયાના આદમીઓને રોજગાર અપાયો અને કેમ ફળિયાની છોકરીઓને નિશાળ ભણતી કરી. રાઘજી એ સમયે જ એને રોકી દીધી હોત તો અત્યારે આ સ્થિતિ ઊભી ન થાત. તે એ ક્ષણ યાદ કરી રહ્યો જ્યારે મનુ તેની ફળિયાની છોકરીઓને નિશાળ ભણવા માટેની આજીજી કરવા આવી હતી. રાઘજી એ ક્ષણે એને રોકી નહીં એ વાતનો અફસોસ કરતા એને જોઈ રહ્યો. મનુના પંડ પર રાઘજીના લોહીના ફોરા ઉડયા હતા. અસૂરોનો વિનાશ કરતી મા કાલી જમીન પર ઉતરી હોય એમ મનુ રાઘજીની છાતી પર ચઢી બેશી અને એક છેલ્લો ઘા એના ગળા પર નાખી તેનુ માથુ ધડથી અલગ કરી નાખ્યુ. રણચંડી જેવુ રૌદ્ર રૂપ તેણે ધારણ કર્યુ હોય એમ વંટોળિયા શ્વાસે શ્વાસ ભરી રહી હતી અને તેની આંખોના ડોળા પ્રચંડ બની ગયા હતા.

ખરો બપોર હતો. આજુબાજુ કોઈ માણસ દેખાતુ ન હતું. તેણે આસપાસ નજર કરી તપાસી લીધું કે રાઘજીનું કાંસળ કાઢતા તેને કોઈએ જોઈ તો નથી ને, રસ્તા પર જોયુ પણ કોઈ દેખાયુ નહીં. ફળિયા બાજુ નજર કરતાં તેણે ભાળ્યુ કે દૂર ઊભેલી અંજુ મોઢામાં આંગળા નાખી, આંખો ફાડી આ દ્રશ્ય જોઈ રહી હતી. જેવુ મનુએ એની સામે જોયુ, તે ગભરાટથી દોડતી તેના ઘરે જતી રહી. કોઈ રાઘજીને આવી હાલતમાં જોવે એ પહેલા મનુ એને ઢસડી અંદરના ઓરડામાં મૂકી આવી. રાઘજીનું શરીર જમીન પર ઢસડાતા રક્તના લીસોટા તરી આવ્યા. રાઘજીનું ડોકું અલગથી તેણે ઉપાડવું પડ્યું, જેમાંથી સતત લોહી વહી રહ્યું હતું. રાઘજીની લાશ પાસે તેણે એનું ડોકું ફેંકયું. બારણું આડુ કરી તે બ્હાર આવી. બ્હાર ઓસરીમાં જમીન પર લોહીની સપાટી તરી આવી હતી. મનુએ પાણીથી પોતાનુ પંડ સાફ કર્યુ અને બ્હાર ફટાફટ પોતુ માર્યુ. તે પોતુ કરી રહી હતી દરમિયાન જાનકી આવી.
“અલી મનુડી...” તેને પોતુ મારતા જોઈ ચમકી ઉઠી: “ચમ આમ અર્ધી બપોરે પોતુ કર સ?”
“હવાર રય જ્યુ’તુ.” તે બોલી જાનકીને ડોલમાં પાણી રાતા રંગનુ દેખાઈ પડતુ હતું. જાનકી આગળ બોલવા જાય એ પહેલા એણે કહ્યુ: “ઓટલાની હેઠે ઉતર.”
“હું ઢોળાયુ?” કહેતા તે ચાર ડગલા નીચે ઉતરી.
“મટન બનાયુ’તુ, તપેલું ગરમ હતું તે છટકી જ્યુ.” મનુએ જવાબ આપ્યો અને પૂછયુ એ શુ કામ આવી હતી.
“હાંજે લાકડા વેણવા જઇસુ આપડે. એ કે’વા આવી’તી.” જાનકી બોલી રહી અને અંદર ઓરડા તરફ જોઈ રહી.
“હારુ.” મનુએ જોયુ જાનકી એ તરફ જોઈ રહી છે. તે ફટાફટ ઊભી થઈ, ઓરડાના કમાડ પર તાળુ માર્યુ અને ડોલ વાસણ માંજવાની પડાળીમાં ઢોળી અને પોતા પર ડોલ ઊંધી મૂકી દીધી. જાનકી તેને જોઈ રહી. મનુ પાછી આવી અને રાઘજીના ઘોડા પર સવાર થઈ.
“આ કુનો ઘોડો સ?” જાનકીએ પૂછ્યુ.
“આવીને કવ.” મનુ બોલી અને પવનના સુસવાટાના સંગાથે નીકળી પડી.
“અલી ચ્યાં જવ સુ?” જાનકીએ પૂછ્યુ જે સાંભળવા મનુ રોકાઈ નહીં.

આ ગામમાં જ્યાં દલિતો અને શુદ્ર જાતિના લોકોને ઘોડા પર સવારી કરવાની પણ મનાઈ હતી. એક દિવસ શોભા માટે પણ ઘોડા પર બેશી વરઘોડો નીકાળી શકતા ન હતા, એ ગામમાં મનુ ઘોડો લઈ નીકળી પડી હતી. તેણે દાતરડું ધોઈને કમરે ભરાવ્યુ હતું. તેના ફળિયાનો માર્ગ વટી આગળ ગઈ. તે બજાર તરફ આવી. જો કોઈ સવર્ણ એને ઘોડા પર ફરવા માટે રોકે તો ગામમાં બીજો એક સવર્ણ ઓછો કરી દેવા તેણે દાતરડુ કાઢી હાથમાં પકડી લીધુ હતું. ૪ મહિનાથી ગામના લોકો મનુના અવનવા કરતબો જોઈ રહ્યા હતા, માટે આ વાત એટલી વિશેષ લાગી નહીં પણ સવર્ણોને એ વાત ખૂંચી રહી હતી. તેના હાથમાં દાતરડુ જોઈ બધા અસમંજસમાં મુકાયા કે મનુ કેમ આમ ભાગી રહી હતી. આગળ કોઈ કઈ વિચારે એ પહેલા મનુ ઝડપથી પસાર થઈ ગઈ.

મનુએ જંગ છેડી દીધી હતી અને દુશ્મન બળવાન હતા. જે મર્યો એ નહીં પણ સવર્ણોની આખી કોમ. જેવા સમાચાર સવર્ણોને મળશે કે તેણે ચૂંટણી માટે નામ નોંધાવ્યુ છે એ જાણીને અને રાઘજીના મોતના સંદેશથી એ લોકો શુ પ્રતિઉત્તર આપશે એનો ડર મનુને સતાવા લાગ્યો. તે ગામ વટી ગઈ. એ પછી તેણે ઘોડો થોડો ધીમો પાડ્યો અને આરામથી ઊંડો હાશકારો છોડ્યો. તે વકીલની ઓફિસ તરફ જઈ રહી હતી. 

ઓફિસ પહોંચી તેણે ઇમારતની ડાબી બાજુ જ્યાં છાંયો હતા ત્યાં લોખંડની જાળીએ ઘોડાની લગામ બાંધી અને અંદર આવી. અચાનક મનુને જોતા વકીલ ચમકી ઉઠ્યા. સહદેવ પણ એમની સાથે બેઠો હતો. મનુ આવી એટલે વકીલે પૂછ્યુ: “ક્યુ લડકી અચાનક કેસે આઈ?”
“ઘોડા પર.” મનુ દોડતી આવી હતી માટે હાંફી રહી હતી અને પોતે જે કારનામુ કર્યુ હતું એના કારણે હજુ તેની છાતી ફૂલી રહી હતી.
“ઘોડે પે કેસે, તેરે પાસ કેસે ઘોડા આયા?” વકીલે પૂછ્યુ. આડી અવળી વાતમાં સમય બગાડ્યા કરતા મનુએ સીધે સીધુ જણાવ્યુ:
“આજે મારા ગામનો સરપંચ મને મારવા આવ્યો’તો મેં ચુંટણીમાં નામ લખાયુ હતું ને એટલે... તો મેં એને આ દાતરડાથી મારી નાખ્યો.” કહી તેણે દાતરડું બતાવ્યુ.

વકીલ અને સહદેવ બંને ચોંકી ઉઠ્યા. વકીલ તેમની ખુરશીમાંથી ઉઠી તેની પાસે આવ્યા અને ફરીથી પૂછ્યુ: “ક્યાં કીયા તુને?” કહી દાતરડા સામે જોયું, દાતરડાના હાથા પર સહેજ લોહી ચોટેલુ લાગી રહ્યુ હતું.
“મેં રાઘજીન મારી નાખ્યો સ.” મનુ બોલી.
“કેસે ઠીક સે બતા.” વકીલે પૂછ્યુ.

મનુએ શરૂથી લઈને અંત સુધી પોતે શુ કરીને આવી હતી એ જણાવ્યુ. વાત જાણ્યા બાદ વકીલે યોજના બનાવી. સહદેવને પણ યોજનામાં સામેલ થવુ હતું. માટે એને પણ યોજનામાં સામેલ કર્યો. તેઓ બ્હાર આવ્યા. યોજના પ્રમાણે સહદેવ ઘોડા પર સવાર થયો, વકીલ અને મનુ ગાડીમાં નીકળ્યા. તેઓ ગામ તરફ આવી રહ્યા હતા. કલાક બાદ તેઓ ગામ પહોંચ્યા.

મનુના ઘર આગળ લોકોનુ ટોળુ ઉભુ હતું. મનુને આવતા જોઈ બધા એ તરફ ફર્યા. મનુને ફાળ પડી. ‘એ મર્યા...પોલીસ આવી ગઈ કે શું? અંદર લાશ જોઈ લીધી બધાએ?’ તે બબડી. સવર્ણો, ફળિયાના લોકો, ચુનાવ અધિકારીઓ, જ્યોતિર્લીંગ, શમાજી અને અન્ય દરબારો ઊભા હતા. મનુને આમ ગાડીમાં કોટવાળા માણસ સાથે શમાજી અને બીજા કેટલાક લોકો પ્રથમ વાર જોઈ રહ્યા હતા માટે તેઓ અચંબામાં હતા. વાસના એક-બે લોકોએ મનુને જોઈ એટલે બોલ્યા: ‘આ આવી જય મનુ.’ ‘હા, આમનું નામ જ મનરાગીનીબેન નાથપૂજક સે.’ બીજા એકે ચુનાવ અધિકારીને કહ્યું. તે અને વકીલ ગાડીમાંથી ઉતર્યા. તે ગભરાઈ ગઈ હતી. મનુને આવતા જોઈ એક અધિકારીએ કહ્યુ: “સારું થયુ તમે આવી ગયા, બાકી અમે નીકળી ગયા હોત.”
“મારે થોડુ કામ હતું એટલે બ્હાર ગઈ’તી” મનુએ જણાવ્યુ.

મનુને અધિકારીઓને અંદર બોલાવ્યા. તે, વકીલ અને સહદેવ અંદર આવ્યા. સહદેવ ઘોડા પર સવાર હતો. બીજા બધા ગ્રામજનો માર્ગ પર ઘરથી દૂર ઊભા રહ્યા. તે ઓસરીમાં ખાટ પર બેશી. અધિકારીઓ તેની સામે ઊભા રહ્યા અને એકે એના થેલામાંથી નિવેદન પત્ર કાઢી અંગુઠો લેવડાવ્યો. દરમિયાન વકીલ મનુની પાસે બેઠો. સહદેવ હજુ પણ ઘોડા પર ચડેલો હતો. બધાની નજર તેના પર હતી. કોઈ આ અજાણ્યા માણસને ઓળખતુ ન હતું. સહદેવને ઘરની પાછળ વાડો દેખાઈ પડતો હતો. તે નીચે ઉતર્યો અને ઘોડાની લગામ પકડી વાડામાં ઘોડો મૂકી આવ્યો. મનુ પ્રથમવાર ચુંટણીમાં ઊભી રહી હતી માટે અધિકારીઓએ તેને નિયમો જણાવ્યા અને ચૂંટણીની પ્રક્રિયા સમજાવી. બ્હાર ઊભેલી લોકોની ભીડ અધિકારીઓના જવાની રાહ જોઈ રહી હતી. સહદેવ વાડામાં ઘોડો બાંધી આંગણે આવ્યો.

અધિકારીઓ સાથે વાત પતી એટલે વકીલ એને કઈક સમજાવી રહ્યા હતા. જેવા અધિકારીઓ ત્યાંથી નીકળયા એવા ગામના બધા લોકો અંદર આવ્યા.
“મનુડી તુ ચુંટણીમાં ઊભી સુ?”
“રાઘજી બાપુનો ઘોડો તારી પાહે ચમનો આયો?”
“રાઘજી બાપુ ચ્યાં સ?”
“તે ચમ ચુંટણીમાં નોમ લખાયું?”

એક સાથે સૌએ સવાલ પૂછવાના ચાલુ કર્યા. શમાજી મનુને જોઈ રહ્યા અને બોલ્યા: “એ મનુડી, તે ચમ ચુંટણીમાં નોમ લખાયુ સ? નોમ પાસુ લઈ લે.”
“નોમ પાસુ ખેંચવા નહીં લખાયુ.”
“તારી જાત ભૂલી જય સુ કે હું?” શમાજી બોલ્યા.
“ના, પણ તારી તાકાત નહીં આ ગોમન ચલાવાની!” મનુ બોલી.
“શુ બોલી હાલી વધારણ!” શમાજી ઉશ્કેરાઈને બોલ્યા.
“તુ તારા બાપ-દાદાની મિલકતના રોટલા તોડયા કર. ગામ હંભાળવુ તારું કોમ નહીં.” મનુએ શાંતિથી જવાબ આપ્યો.
જ્યોતિર્લીંગ વચ્ચે બોલ્યો: “રાઘજી બાપુનો ઘોડો તારી પાહે ચમનો આયો?”
“એ ઘોડો રાઘજી બાપુનો સ?” મનુએ આશ્ચર્ય સાથે પૂછ્યુ.
“હોવ.” જ્યોતિર્લીંગ બોલ્યો.
“મન ન’તી ખબર” મનુએ કહ્યુ.
“ચ્યાં સ બાપુ?”
“મન નય ખબર?
“તો આ ઘોડો તારી પાંહે ચમનો આયો?”
“મુ પાદરે મંદિરે જઈ’તી, ત્યાં મન મળ્યો’તો અન આ વીંટી મળી.” કહી તેણે વીંટી બતાવી.
“આ તો બાપુની વીંટી સ.” જ્યોતિર્લીંગ બોલ્યો અને વીંટી તરફ જોઈ રહ્યો.
“એ બધુ મેલ હમડા... મનુડી તારુ નામ પાસુ લઈ લે.” શમાજી મૂળ વાત પર આવ્યા.
“આ જે કારા કોટમાં ભઈ બેઠો સ ન મારી બાજુમાં એ વકીલ સ. ચૂંટણીના નિયમો પ્રમાણે કોઈએ બળજબરી કરી તો એના પર આ વકીલ જોડે હુ કેસ ઠોકાવડાઈ દઈસ” મનુએ કહ્યુ.
“તારુ નામશેષ કરી નાખીશ આ ગામમાંથી, મનુડી તન આયા રે’વુ મુશ્કેલ થઈ જશે.” શમાજીએ ધમકી આપી. પાછળ ઉભેલા ગ્રામજનો, સવર્ણો, વકીલ અને સહદેવ બધાએ આ સાંભળ્યું.
“તારી જાત ભૂલી જઇસુ... હરામજાદી!” કહી એક દરબાર લાકડી લઈ તેને મારવા આવ્યો.

સહદેવની નજર તેના પર પડી. સહદેવ એ આવી રહ્યો હતો એની ડાબી બાજુ ઊભો હતો. જેવો તે મનુની નજીક આવ્યો અને લાકડી ઉગામી તેવી સહદેવે એની કમર પર લાત મારી. દરબાર કાંટાવાળી જાડીજાંખરાની વાડમાં અવળો પડ્યો, બીજા બે દરબાર લાકડી લઈ આગળ આવ્યા. બીજો એક દરબાર લાકડી ઉગામી એને મારે એ પહેલા સહદેવે લાકડી પકડી એના નાક પર કોણી મારી અને પછી પેટમાં લાત મારી દૂર ફંગોળી દીધો. બીજો દરબાર આગળ આવ્યો. સહદેવે એની કમરમાંથી પિસ્તોલ કાઢી અને હવામાં ગોળી છોડી. બંદૂકના ધડાકાથી પાછળ ઉભેલા લોકો મનુના ઘરનો ઉંબરો ઉતરી ગયા. શમાજી અને બીજા ચાર દરબાર જોઈ રહ્યા. બે ક્ષણ એમ જ ઊભા રહ્યા બાદ વકીલ બોલ્યા: “તુમ ઇતના ડરતે હો ઇસ લડકી સે? કી ચુનાવ કે પરિણામ કે પહેલે નામ વાપીસ લેનેકા બોલને આ ગયે?”
“હા...હાં આનાહી હું ડરવાનુ?” શમાજી હસ્યો અને બોલ્યો: “આ વધારણન કુણ મત આલવાનુ?
“તો ક્યુ ઇતના ભડક રહા હે? જીત કે દીખા...” વકીલે કહ્યુ.

આ સાંભળી શમાજી બે ઘડી વિચારમાં પડ્યો. જાડીજાંખરામાં પડેલો દરબાર ઊભો થયો, તેના મોઢા, ગળા, ખભા અને છાતીના ભાગ પર ઉઝરડા પડ્યા હતા. “...તારી જાતના...” કહી તે સહદેવને મારવા દોડ્યો. શમાજીએ એને રોક્યો કહ્યુ: “જવા દે... પસી જોઈ લઇસુ.” કહી તે બધા ચાલ્યા ગયા. જ્યોતિર્લીંગ ઊભો ઊભો આ બધુ જોઈ રહ્યો હતો. એ બોલ્યો: “મુ બાપુનો ઘોડો લઈ જવ સુ...” કહી તે વાડા તરફ ચાલવા લાગ્યો. કશુક યાદ આવતા પાછો ફર્યો: “બાપુની વીંટી આલ.”
“હું સબૂત કે ઇ બાપુની વીંટી સ?” મનુએ કહ્યુ.
“મન ખબર સ ઇ બાપુની વીંટી સ!” રાડ નાખી જ્યોતિર્લીંગ બોલ્યો.
“નય મલ.” મનુએ શાંતિથી જવાબ આપ્યો.

બે ક્ષણ આંખો જીણી કરી તે મનુને જોઈ રહ્યો અને પછી વાડામાં ઘોડો લેવા જતો રહ્યો. રાત થઈ ગઈ હતી, સાંજનુ અજવાળુ વિસરાઈ ગયુ હતું. સહદેવ અને વકીલ તેને સપોર્ટ કરી રહ્યા હતા. માટે તેનામાં હિમ્મત આવી. બધા ચાલ્યા ગયા બાદ વકીલ, સહદેવ અને મનુ અંદર ઘરમાં ગયા અને કમાડ વાંસી દીધુ. સહદેવે અને વકીલે રાઘજીની લાશ જોઈ. માંસના લોંદા પડ્યા હોય એમ તેની છાતી લાગી રહી હતી અને એનાથી પણ ભયાનક  તેનુ શીશ ધડથી છેટુ પડ્યુ હતું.

વકીલે બંનેને ફરી યોજના સમજાવી: “મનુ તુ તેરે અડોસ-પડોશકે લોગો કો અભી યે બતાકે આ કી તેરી જાન કો યહાં ખતરા હૈ, ઇસ લીએ તુ હમારે સાથ આયેગી ઓર ઉનહે બતાના કી યે બાત કીસી કો બતાયે નહીં. બાદમેં સહદેવ ઓર મેં પહેલે લાશ કો કીસી થેલી યા બડે કપડેમેં લપેટ કે પીછે તબેલેમેં લે આયેંગે. તબ તક ઘરમેં જો કોઈ ભી કીમતી સામાન હે ઉસે પેક કર કે તુ તેરી બેલગાડીમેં રખેગી. તુને ઇસકી બોડી કો અંદર ઘસીટકે લાઇ પર બ્હાર કુછ જગાહ ખૂન કે દાગ હે ઓર અંદર ભી યહાં પે ખૂન કે દાગ ફૈલે હુએ હે. ઇસ લીએ લાશ એક બાર હટ જાય, તુ અપના સામાન લે લેગી ઉસકે બાદ ઘરકે અંદર જીતનેભી કંબલ યા ચટાઈ હે ઓર જો કપડે ઇસ્તેમાલમેં નહીં હે ઉસે હર જગાહ ફૈલા દેને હે. તબેલેમેં સે ઘાંસ લેકે અંદર આયેગી પીછે કે દરવાજે સે ઘાંસ ફેલાતે હુએ આના હે. પીછે કે દરવાજેસે થોડા બ્હાર તક તુ ઘાંસ ફેલાયેગી. ઉસકે બાદ તુ પૂરે ઘરમેં કેરોસીન ડાલ દેગી. બ્હાર જો લકડીયા હે ઉસે અંદર સબ જગા રખ દેગી. હમ લાશ કો ઓર તેરા થોડા સામાન બેલગાડીમેં રખેંગે. બાકી કા સામાન મેરી ગાડીમેં રખેંગે. મેં મેરી ગાડી લેકે પહેલે નીકલ જાઉંગા. તુ ઓર સહદેવ બેલગાડીમેં આઓગે. જબ તુમ દોનો નીક્લોગે તબ સબ લૉગ તુમ્હે જાતે દેખે વેસે કુછ આવાઝ કર કે નિકલના હે. મેં ગાંવ કે પીછે, તાલાબ કે પાસ ગાડી લેકે ખડા રહુંગા. તુમ દોનો લાશ કો બેલગાડીમેં લેકે મેરે પાસ આ જાના. યે સબ જલ્દી કરના પડેગા ક્યુંકી વો લડકા ઘોડા લેકે ગયા હે, ઓર મનુને બતાયા થા કી ઘોડા ઉસે તાલાબ કે પાસ મીલા. તો વો લૉગ રાઘજી કો ઢૂંઢને તાલબ કે પાસ જાયેંગે, હમે ઉનસે પહેલે વહાં જાના પડેગા. ફટાફટ યહાં સે નિકલના પડેગા. ઇસ લીએ જલ્દીસે કામ પે લગો.” વકીલે સમજાવ્યુ અને ત્રણેય નક્કી કરેલા પોતાના કર્તવ્યો કરવા લાગ્યા.

મનુ સૌપ્રથમ જાનકીના ઘરે ગઈ અને કહી આવી કે પોતે જઈ રહી છે. ત્યાં સુધી સહદેવે અને વકીલે લાશને બે ગોદડામાં લપેટી પાછળના દરવાજેથી બળદગાડામાં મૂકી આવ્યા અને રાઘજીનું માથું પણ. મનુ પોતાનો સામાન થેલાઓમાં ભરવા લાગી. દરમિયાન સહદેવ ઘાંસ લઈ આવ્યો અને વકીલ તબેલાની વાડ બાજુથી જાડીજાંખરા ખેંચી લાવ્યા અને પાછળના ઓરડામાં ફેલાવી દીધા. મનુએ તેનો સામાન વકીલની ગાડીમાં ચઢાવી દીધો પછી ન કામના કપડાં અને ગોદડા જમીન પર પાંથરી દીધા. ત્યારબાદ તે આંગણામાંથી લાકડા લઈ આવી અને ઓરડામાં બિછાવી દીધા. વકીલ પછી ગાડીમાં જતા રહ્યા. મનુએ બંને ઓરડામાં ઘાંસતેલ રેડ્યુ, રેડતા-રેડતા તે પાછળ વાડા સુધી આવી અને કમાડ આગળ ઘાંસતેલનુ ડબલુ ઉંધુ વાળી દીધુ. કમાડ વાંસી તે વાડામાં આવી, સહદેવે ગાડું તૈયાર રાખ્યું હતું.

તે અને સહદેવ ગાડામાં બેશી બ્હાર નીકળ્યા. ચોકમાં ચાર-પાંચ આદમી તાપણી કરતાં બેઠા હતા. વકીલે કહ્યુ એમ તે બળદને જાકારો કરતા નીકળી એટલે થોડા લોકોનુ ધ્યાન તેમના પર ગયુ. તેઓ પાદર બાજુ વળ્યા. વકીલે તળાવ નજીક મા દુર્ગાના મંદિર આગળ ગાડી ઊભી રાખી હતી. બ્હાર ગાડીને ટેકો દઈ તે સિગારેટ પી રહ્યા હતા. થોડીવાર બાદ મનુ બળદગાડુ લઈ આવી.
“અબ ઇસ લાશ કો પાનીમેં ફેંક દેતે હે, સહદેવ હાથ બટા...” વકીલે કહ્યુ.
“હા.” સહદેવ બોલ્યો અને પગ બાજુથી લાશ પકડી. વકીલે ઉપર તરફથી ગોદડું પકડ્યું.
બે ક્ષણ બાદ મનુ બોલી: “નહીં...” વકીલ અને સહદેવ એને જોઈ રહ્યા. “આ ગામના લોકોનું પીવાનુ પાણી છે. આ પાણી ખરાબ ના કરાય.”
“તો તુ બતા ? લાશ કા ક્યાં કરના હે?” વકીલે પૂછ્યુ. મનુ વિચારવા લાગી.
ચાર ક્ષણ પછી વકીલે કહ્યુ: “જલ્દી બતા ટાઈમ નહીં હે હમારે પાસ!”
મનુ આજુબાજુ જોવા લાગી. અચાનક તેની નજર સાકેત પર ઠરી. તે તરત બોલી:“પેલા... પેલા ખંડેર આગળ મૂકી આવો.”

આટલા વર્ષો પછી સાકેતની હાલત ખંડેરથી પણ વધારે બૂરી થઈ ગઈ હતી. તેની આસપાસ આડા-અવળા બાવળીયા અને પીપળા ઉગયા હતા. સાકેત અવાવરુ જગ્યા થઈ ગઈ હતી. ત્યાંથી ૧૫૦ મીટર છેટે સ્મશાન હતું એટલે આખા વિસ્તારમાં કોઈ જાતની ચહેલપહેલ ન હતી. વકીલ અને સહદેવ લાશ ઉઠાવી એ બાજુ લઈ ગયા. સાકેતમાંથી કોઈક મોટેથી મંત્રોચ્ચાર કરી રહ્યુ હતું, એનો અવાજ બંનેને સંભળાયો. સહદેવ તે અંગે કઈ પૂછે એ પહેલા ૧૦,૧૨ જણાનુ ટોળું ગામથી એમની બાજુ આવી રહ્યુ હોય એમ લાગ્યું.

મશાલોની દીપ્તિ ધીમે ધીમે વધી રહી હતી. મનુએ બૂમ પાડી કહ્યુ “એ...જલ્દી હાલો.... પેલા લોકો આવ્યા.” સહદેવ અને વકીલે એના શબ્દો સાંભળ્યા. તે બંનેએ રાઘજીની લાશ સાકેતની પાળીના કઠેડા તરફ નાખી અને ગોદડા લઈ દોડ્યા. વિચિત્ર રીતે રાઘજીનું શીશ ગગડતું માર્ગ નજીક આવ્યું. સાકેતના પહેલા મજલેથી બારીમાંથી કોઇકે એ બંનેને લાશ નાખતા જોયા. મનુએ ગાડુ ભગાવ્યુ. વકીલ અને સહદેવ ફટાફટ ગાડીમાં બેઠા અને વકીલે જોરથી એક્સિલેટર પર પગ દાબી ગાડી ભગાવી, ધૂળ ઊડી અને રમરમાટ કરતી ગાડી શિલાજ તરફ ભાગી. 

ટોળુ ત્રણ રસ્તે આવી ઉભુ. તે લોકોએ ગાડી કે મનુનુ બળદગાડુ ન હતું જોયુ. ત્યાં ઊભા રહી ચર્ચા કરવા લાગ્યા કે રાઘજીની શોધખોળ કઈ બાજુથી ચાલુ કરવી. સાકેતમાં થતો મંત્રોચારનો અવાજ ક્યારનો બંધ થઈ ગયો હતો. વકીલ અને સહદેવ રાઘજીની લાશ કઠેડા આગળ મૂકી રહ્યા હતા ત્યારે પહેલા મજલેથી રાધા એમને જોઈ રહી હતી. આ તરફ ત્રણ રસ્તે ટોળુ દેખાતા રાધા નીચે આવી. તેના હાથમાં જાડુ ખંજર હતું. ટોળાએ સ્મશાન તરફ જવાનો નિર્ણય કર્યો. તે લોકો સાકેત નજીક આવ્યા.

રાધા એક હાથમાં કંકુ અને એક હાથમાં ખંજર લઈ મુખ્ય દરવાજા તરફ આવવા લાગી. તેના પગની જાંજરનો અને હાથની કાચની બંગડીઓનો અવાજ સ્પષ્ટ રીતે સંભળાતો હતો. ટોળાના બધા આદમીઓએ અવાજ સાંભળ્યો. તે સૌ ભયભીત થઈ ઊભા રહી ગયા. રાધા મુખ્ય દરવાજાની જાળી પાસે ઊભી રહી. અંધારુ સખત હતું. ટોળાએ જે મશાલો સળગાવી હતી, એના પ્રકાશે દરવાજાની પાછળ રાધાની કાયા દેખાઈ. એ જગ્યાનુ રહેવાસી કોણ હતું તે ગામ જાણતુ હતું, ત્યાંથી એ લોકો પાછા વળી ગયા અને સીમ બાજુ ચાલ્યા ગયા. રાધા બ્હાર નીકળી અને લાશ પાસે ગઈ. ત્યાં મડદાને ઓળખવા બાજુમાં પડેલું મસ્તક ઉઠાવીને જોયું. પછી જેમ હતું એમ મૂકી દઈ તે પાછી સાકેતમાં જતી રહી.

સવા કલાક સીમ બાજુ તપાસ કરતાં ટોળાંના હાથમાં બંધ પડી ગયેલી મશાલો સિવાય કઈ ન આવ્યુ. હિમ્મત કરી સૌ હવે સ્મશાન બાજુ જવાનો નિર્ણય કર્યો. મા દુર્ગાના મંદિરે ઊભા રહી પહેલા જોયુ કે રાધા બ્હાર તો નથી ને. વાતાવરણ નિર્જીવ લાગી રહ્યુ હતું. સાકેતમાં કોઈ સંચાર દેખાઈ પડતો ન હતો. ધીમે ધીમે ટોળુ સ્મશાન તરફ જવા લાગ્યું. સ્મશાનની અંદર જઈ એ લોકોએ તપાસ કરી પણ કઈ હાથ લાગ્યું નહીં. પાછા વળતી વખતે સાકેત નજીકના જાડી ઝાંખરાં આગળ તે લોકો નજર કરતાં રહ્યા અને એક જણને પાળીના ખૂણાના કઠેડા પર મડદું પડેલુ દેખાયુ. તે મશાલ થોડી નજીક લઈ ગયો અને ધડ પર માથુ ન ભાળતા, ગળા ફાડ ચીસ પાડી, તેના હાથમાંથી મશાલ પડી ગઈ. તે મંદિર તરફ દોડ્યો.

ટોળાંના લોકોએ એની મશાલ તરફ જોયુ. જેના અજવાળે મૃત રાઘજીનું લોહીથી લથપથ મસ્તક દેખાઈ પડતુ હતું.

*


લાંબો ચક્કર મારીને વકીલ અને મનુ શિલાજ વટી પાછા મનુના ગામ વાળા મુખ્ય માર્ગ પર આવ્યા. થોડે દૂર બાજુમાં વકીલે ગાડી ઊભી રાખી. મનુએ પણ ગાડુ બાજુમાં કર્યુ. જે ગોદડામાં રાઘજીની લાશ લપેટી હતી, એ ગોદડા એક બાજુ ખૂણામાં મૂકી સળગાવી નાખ્યા અને વકીલે સિગારેટ સળગાવી.
“સહદેવ, તુ રાત કો વાપીસ જાયેગા મનુ કે ઘર. વહાં પે જાકે પીછે કે દરવાજે પે ઘાંસતેલ જહાં ગીરાયા હે વહાં આગ લગાકે વાપીસ આના હે. મનુ કુછ દિન હમારે વહાં રૂકને વાલી હે.” વકીલે કહ્યુ. મનુ સાંભળી રહી. ત્યારબાદ ત્રણેયએ ઇબ્રાહિમ વકીલના ઘર તરફ પ્રયાણ કર્યુ.

વકીલનુ ઘર હોટલ જેવુ વિશાળ હતું. સેનાના ક્રાંતિકારીઓ બધા ત્યાં જ રોકાયા હતા. મનુ બધાને મળી. જેલમાં જે બધા સાથે હતા એમની સાથે વાત કરી. આવીને સૌ પહેલા તેમણે જમવાને ન્યાય આપ્યો. ત્યારબાદ વકીલે તેને તેનો અલગ ઓરડો બતાવ્યો. પહેલા માળ પર મનુ તેના ઓરડામાં ગઈ. સામાન મૂકી બારી પાસે આવી. આજે અમાસ હતી. આખું અવકાશ કાળું ધબ દેખાઈ રહ્યું હતું. નીચે પ્રાંગણમાં સહદેવ અને બીજા ક્રાંતિકારીઓએ ‘બોનફાયર’ કરી બેઠા હતા. સહદેવ ૩ કલાક બાદ નીકળવાનો હતો. અત્યારે રાતના સાડા દસ વાગી રહ્યા હતા. મનુને એકાએક મહત્વની વાત યાદ આવી. તે સહદેવ પાસે ગઈ. મનુને વાત કરવી હતી માટે બંને બાજુમાં એકાંતમાં આવી ઊભા.
“તુ અત્યારે નિકળીશ તો સારું રહેશે.” મનુએ કહ્યુ. સહદેવને બીજી જ કોઈ વાતની અપેક્ષા હતી માટે આ પ્રશ્ન અંગે કોઈ ખ્યાલ ન હતો. બે ક્ષણ એને જોઈ રહ્યા બાદ બોલ્યો: “કેમ?”
“તને અહીથી મારા ગામ પહોંચતા કલાક થશે માટે કહુ છુ. તારે ત્રણ વાગતા પહેલા ગમે એ કરી પાછા આવી જાઉ પડશે.”
“કેમ?”
“કારણ... (બે ઘડી અટક્યાં બાદ) કારણ કે ૩ વાગ્યાનો સમય એવો છે કે ગામમાં હરતા ફરતા કોઇ પણ માણસનુ આવી બને છે.
“હંહ...” કહી તે હસ્યો.
“સહદેવ ૩વાગે રાધાબાનો સમય આવે છે, એ સમયે ફરવુ બહુ જોખમી છે.”
“કોણ રાધા બા?” તેણે પૂછ્યુ.
“સહદેવ એ બધુ જણાવાનો સમય નથી અત્યારે, તુ નીકળને અત્યારે...”
“અરે પણ શુ થઈ જવાનુ હમણાં જઈશ તો?”
“એક વાત સમજને તુ. એ પછી જોખમ વધારે છે ત્યાં જાઉ. મારી વાત માનને. મને તારી ચિંતા થાય છે. તુ જા અત્યારે....” કહી મનુએ એના હાથ પર હાથ મૂક્યો અને ત્યાંથી ચાલી ગઈ.

મનુ આટલુ દબાણ આપી કહી રહી હતી માટે સહદેવને અત્યારે નીકળવુ ઠીક લાગ્યું. તે તેના એક ક્રાંતિકારી મિત્ર સાથે મોટરસાઇકલ લઈ નીકળ્યો. તદ્દન ગામડાનો પહેરવેશ લાગે એ માટે બંનેએ શાલ ઓઢી લીધી હતી અને માથે ટુવાલ વીંટાળ્યો હતો જેથી ઠંડી ઓછી લાગે.

*


આ તરફ રાઘજીના ઘરે માણાં ભેગુ થયુ હતું અને રોકકળ ચાલી રહી હતી. ગામના બધા સવર્ણો તેના ઘરે ભેગા થયા હતા. ગામમાં પસાર થતા સહદેવે રાઘજીના ઘરે રોકકળ જોઈ અને બોલ્યો: “લોકોને ભગવાન શુ કામ પોતાની પાસે બોલાવતો હશે? ભગવાન સૌનુ ભલું કરે... ૐ શાંતિ.” તેનો મિત્ર અચંબાથી એને જોઈ રહ્યો અને બાઇક ઊભું રાખ્યું. તે બોલ્યો:”તમે લોકોએ જ તો એને માર્યા પછી મદદ કરી રહ્યા છો.
“હા તો? ભગવાનને પ્રાર્થના તો કરવી જોઈએને. મરેલાની આત્માને શાંતિ મળે એટલે. ‘ને તે શું બાઇક ઊભું રાખ્યું છે. હજી આપડે આગળ જવાનું છે, આયાં કઈ મરણના લાડુ નથી ખાવાના. હાલ.”
“કેવો માણસ છે?” તે ક્રાંતિકારી બોલ્યો અને બીડી સળગાવી, બાઇક ચાલુ કર્યું.

મનુના ઘરથી થોડા આગળ બંને ઊભા રહ્યા. ત્યાં સુધી આવતા તેની બીડી હોલવાઈ ગઈ. તેણે બીડી સળગાવી. સહદેવે પણ એક બીડી લીધી. બંને ચાલતા-ચાલતા વાડા તરફ આવ્યા, સહદેવે રસ્તામાં બીડી સળગાવી. તે વાડામાં આવ્યો અને વિચારવા લાગ્યો આ ઘરે મનુએ આવવા મને કહ્યું હતું. કોણે વિચાર્યું હશે એક દિવસ હું જ આ ઘર સળગાવીશ? જો મનુને અમસ્તા મળવા આવ્યો હોત તો તેણે કેવી રીતે આવકાર કર્યો હોત? ચા પાઈ હોત. કઈક ખાવા આપ્યું હોત પણ આજે જ્યારે આવ્યો ત્યારે વસ્તુસ્થિતિ જુદી હતી. હમડા એના ઘરમાં એક લાશ પડી હતી. ખૂબ જ ક્રૂરતાથી તેણે રાઘજીને માર્યો હતો. આવી ઘરવાળી જો મારી હોય તો?? તે મનોમન હસ્યો, બીડી પીતા-પીતા તે આવા બધા વિચાર કરી રહ્યો હતો. તેની બીડી પતી ગઈ. તેણે પતી ગયેલી બીડી ઘાંસ પર નાખી. સહેજ અમથુ લાલ સળગતુ બીડીનુ ટપકુ દેખાઈ રહ્યુ. સહદેવ રાહ જોઈ રહ્યો કે ક્યારે તે ટપકુ આગ પકડે, પણ થોડીવાર બાદ ટપકું હોલવાઈ ગયુ. સહદેવે નિસાસો નાખ્યો અને બાકસ નીકાળી બીજી બીડી સળગાવી અને માચીસની સળી ઘાંસ પર ચાંપી. ઘાંસતેલના કારણે તરત આગ પકડાઈ ગઈ અને દરવાજા સુધી અગ્નિ પ્રસરી ગઈ. ત્યારબાદ સહદેવ બીડીના દમ લેતો લેતો બ્હાર આવ્યો. તેનો ભાઈબંધ બંધ મોટરસાઇકલને ધક્કો મારી આગળ દોડાવા લાગ્યો. થોડી જ ક્ષણોમાં ઊંચો ધુમાડો છવાયો. થોડીવાર હળવેથી ચાલ્યા બાદ સહદેવ ભાગ્યો. તેનો ભાઈબંધ બંધ મોટરસાઇકલ દોડાવી રહ્યો હતો અને વેગ પકડતા ચાલતી મોટરસાઈકલે તેના પર બેસી, કીક મારી મોટરસાઇકલ ચાલુ કરી. સહદેવ દોડતો આવી ચાલુ મોટરસાઈકલ પર બેઠો અને તેઓ પાદરેથી ગામ બ્હાર નીકળી ગયા.

સળગવાની ગંધ આસપાસ ફેલાવા લાગી. ધુમાડો આકાશમાં ઊંચે સુધી ફેલાઈ રહ્યો હતો. ફળિયામાં બે જણ તાપણી કરતાં બેઠા હતા. એમના ધ્યાનમાં આ વાત સૌથી પહેલા આવી. મનુના ઘરમાં આગ લાગેલી જોઈ બંને જણાએ બૂમાબૂમ કરી મૂકી અને દોડતા એ બાજુ ગયા. થોડીક જ વારમાં બધા ઘરની બ્હાર આવી ગયા અને પરિસ્થિતિનો ખ્યાલ મેળવી આગ હોલવવા પ્રયત્ન કરવા લાગ્યા. દસેક મિનિટમાં બધે વાત પ્રસરી ગઈ. ફળિયામાં દોડાદોડ અને કોલાહલ થઈ ગઈ. ઘણા આદમીઓ આગ હોલવવા પાણી-રેતીના તબકડા નાખી રહ્યા હતા. સૌને એમ હતું કે મનુ ઘરમાં હશે માટે બે જણ એને નીકાળવા દરવાજો તોડી અંદર કુદયા. જાનકી બ્હાર આવી અને જણાયુ કે મનુ અંદર નથી પણ ત્યાં સુધીમાં મોડુ થઈ ગયુ હતું. બે આદમી અંદર આગમાં કૂદી ગયા હતા.

ઘરના પહેલા ઓરડામાં જમીન પર ગોદડા અને ચટાઈ સળગી રહી હતી માટે પગ મૂકવાની જગ્યા ન હતી. તેથી એક જણ બીકથી બ્હાર આવી ગયો પણ બીજો વ્યક્તિ મનુને બચાવા અંદર દોડ્યો. ઓરડાની શરૂઆતમાં નાનુ રસોડુ હતું. જેમાં લાકડાની અભરાઇ હતી. તેના પર વાસણ મૂકેલા હતા. એની થોડા ઉપર લાંબી લાકડાની પટ્ટી પર વાસણ સજાવી મૂક્યા હતા. તે ઓરડામાં એક વીજળીનો ગોળો હતો. જે છાપરાના ટેકે જે લાકડા રાખ્યા હતા એના પર બાંધ્યો હતો. તેના તાર જે દીવાલેથી જોડ્યા હતા. ત્યાં આગ પહોંચી જતાં શૉટ-સર્કિટ થયુ અને બ્હારની દીવાલ પર જ્યાં મીટર લગાવ્યું હતું ત્યાં મોટો ધડાકો થયો. બ્હાર ઉભેલા બૈરાં-છોકરાઓના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. છાપરું જે લાકડાના ટેકે ઉભુ હતું એ લાકડું સળગવા મંડ્યુ અને છાપરાના નળિયા નીચે પડવા લાગ્યા.

બીજા ઓરડામાં જ્યાં સેટી અને કબાટ હતો ત્યાં બળીને બધુ ખાક થઈ ગયુ હતું મનુને બચાવા આવેલા માણસના પગે આગ ચોંટી હતી. તેણે ધ્યાનથી બંને ઓરડામાં જોયુ, ક્યાંય તેને મનુ ન દેખાતા પાછળના કમાડેથી બ્હાર નીકળ્યો. આગ પ્રસરતી તેની કમર સુધી પહોંચી, બ્હાર વાડામાં આવી તે જમીન પર પડ્યો અને બળવાના કારણે દર્દથી ચીસો પાડી આળોટવા લાગ્યો. પાછળ વાડામાં ઉભેલા લોકોએ તેના પર ધાબળો નાખી આગ હોલવી. એ માણસનો જમણી બાજુનો પગ બળી ગયો. તેને તાત્કાલિક દવાખાને મોકલવા બે માણસ ગયા અને બાકીના પાણી અને રેતી નાખી આગ હોલવવાનો પ્રયત્ન કરતાં રહ્યા. ચાર કલાકે એની મેળે આગ હોલવાઈ. કાળા પડી ગયેલા લોઢાના, પિત્તળના વાસણો સીવાય બધુ રાખના ટુકડા બની ગયુ હતું. ‘હારું થયું આનું એકલીનું મકાન અલગ સ, જો એક જ દીવાલે અડી બીજા ઘર હોત તો ચેટલું નુકશાન થાત?’ એક આદમી બોલ્યો.

શમાજીએ બધાની સામે મનુને ધમકી આપી હતી કે તેને આ ગામમાં નહીં રહેવા દેય અને એ જ રાત્રે મનુનાં ઘરે આગ લાગે છે. એક જ દિવસે ગામમાં બે દુખદ ઘટના બની હતી. રાઘજીનું ખૂન અને મનુનાં ઘરમાં આગ. આ બંને ઘટનાને ગ્રામજનો ભલીભાતી રીતે એક તાંતણે જોડી રહ્યા હતા. મનુએ ચુંટણીમાં નામ લખાવ્યુ માટે શમાજીએ મનુનુ ઘર સળગાવી નાખ્યુ અને કદાચ રાઘજીનું ખૂન પણ શમાજીએ ચુટણી જીતવા માટે કરાવી દીધું હોય. વકીલે આવી જ કઈક યુક્તિ વિચારી હતી, જે બરાબર ફળી. સૌ કોઈને મનુ માટે સહાનુભૂતિ થઈ રહી હતી. રાઘજી આ રમતમાંથી બાકાત થઈ ગયો હતો અને શમાજીને લોકો તિરસ્કારથી જોતાં હતા માટે આગળ દાવ નાખવો મનુ માટે એકદમ સરળ થઈ ગયો.

રાઘજીના ઘરે રોકકળ ચાલી રહી હતી. તેણે મનુના ઘરે આગ લગાડી હોય એવી શંકાને સ્થાન ઓછુ હતું. શમાજીએ સાંજે જ મનુને ધમકી આપી હતી કે તારુ આ ગામમાં રહેવુ મુશ્કેલ થઈ જશે. આ ધમકી ઉભેલા બધા લોકોએ સાંભળી હતી માટે ગામ માટે શમાજી અધમ બની ગયો.

*


આગલા દિવસે સવારે રાઘજી છેલાજી દેસાઈની અંતિમ યાત્રા નીકળી. સવર્ણોથી લઈને દલિતો સૌ કોઈ તેમાં જોડાયા હતા અને એમના દુખમાં ભાગીદાર બન્યા. ગામની બધી સ્ત્રીઓ હૈયાફાટ રડી હતી. બધાએ એક વાત સ્વીકારી લીધી કે રાધા બાએ રાઘજીનુ શિરચ્છેદ કર્યુ હતું પણ આવી બેરહમીથી છાતી અને વાંસા પર ઘા બાએ માર્યા હોય એ માનવુ થોડું કઠિન હતું. છતાં એક વાત તો ગ્રામજનોએ માન્ય રાખી જ કે સાકેત આગળ રાધા બાના ઘર પાસે રાઘજીની લાશ મળી હતી અને રાઘજીને શોધવા નીકળેલા લોકોએ રાધા બાના હાથમાં ખંજર જોયુ હતું. જેથી એ પુરવાર થયુ કે રાધા બાએ રાઘજીને શરીરરૂપી બંધનમાંથી મુક્તિ આપી. રાધાને ગામની દેવી માનવમાં આવતી હતી. તેના નામના નિવેજ થતા હતા, તેની પુજા થતી હતી અને રાધા બા સૌની માનતા પૂરી કરતાં હતા માટે માતાને ગમ્યુ એ ખરુ માની રાઘજીનુ મૃત્યુ મૂંગામોઢ ગામ આખાએ સ્વીકાર્યુ.

અંતિમ યાત્રાની વિધિ પતાવ્યા બાદ મનુના ફળિયાના બધા માણસો ભેગા થઈ શમાજી પર પોલીસ કેસ કરી આવ્યા અને સાક્ષી તરીકે ફક્ત વાલ્મીકિ વાસના લોકો જ નહીં પણ આવી હલકી કરતૂત કરવા બદલ એક-બે સવર્ણોએ પણ સાક્ષી પુરાવી કે શમાજીએ મનુને ધમકી આપી હતી. ૨૫ જણા એક વ્યક્તિની ફરિયાદ લખાવા આવ્યા હતા, એટલે પોલીસે વગર આળસ કરે યોગ્ય પગલા લેવા પડ્યા. શમાજીની ધરપકડ કરી લેવામાં આવી. મામલો એટલો ગંભીર હતો અને એટલા લોકોએ સાક્ષી પુરાવી હતી કે પૈસાના જોરથી પણ શમાજીને જામીન મળી શકે એમ ન હતી.

*


૫ દિવસ બાકી

બે દિવસ રોકાયા બાદ મનુ પાછી પોતાના ગામ આવી રહી હતી, ઇબ્રાહિમ વકીલ તેને મૂકવા આવી રહ્યા હતા. આ બે દિવસ તેણે સહદેવ સાથે ખુશીથી ગાળ્યા હતા. જતા પહેલા તે સહદેવને મળી. સહદેવ તેને રોકવા માંગતો હતો. ફરીથી તે એનાથી છૂટો થવા ન હતો માંગતો.
“મનુ ત્યાં કાઇ નથી હવે, તારું ઘર ખાક થઈ ગયુ છે. કોઈ નથી તારુ ત્યાં...” સહદેવે કહ્યુ.
“પણ મારે જાવું પડશેને.”
“કેમ પણ?”
“કેમ એટલે? મારૂ ઘર છે ત્યાં, મારૂ ગામ છે એ.” મનુએ જણાવ્યુ.
“તારુ ઘર બળીને ખાક થઈ ગયુ છે, મેં મારા હાથે સળગાવ્યુ હતું.”
“સહદેવ વાત એ નથી, આટલે સુધી આવ્યા પછી હું અચાનક બધુ ના મૂકી શકુ... (બે ક્ષણ બાદ) ઇબ્રાહિમ સાહેબે કેટલી મહેનત કરી છે, મેં કેટલુ વેઠયુ છે આના માટે.”
“છોડ ને યાર આ બધુ. મારી સાથે ચાલને. આપણે અલગથી નવી જિંદગી શરૂ કરીએ.”
મનુ થોડી વાર ચૂપ રહી. તેણે સહદેવને સાફસાફ જણાવી દીધુ: “સહદેવ વ્યક્તિને હંમેશા તેનુ મન કશુક કરવા કહેતુ હોય છે, મારૂ મન મને કહી રહ્યુ છે કે મારે રોકાવું જોઈએ. મને નથી એવું સંવેદન થઈ રહ્યુ કે મારે તારી સાથે આવવું જોઈએ.”

આ સાંભળી સહદેવના મનમાં ફાળ પડી. તેણે મોઢું હંકાર્યુ, પછી નકાર્યુ અને બોલ્યો: “ઠીક છે. આ ચહેરો તું જિંદગીમાં ક્યારેય નહીં જોવ હવે.” કહી તે ત્યાંથી ચાલ્યો ગયો. સહદેવ મનુનુ ગાડુ લઈ આવવાનો હતો. વકીલને લાગતુ જ હતું કે તે આવા કઈક ધતિંગ કરશે માટે એમણે બીજો માણસ તૈયાર રાખ્યો હતો. મનુને આવા કડવા વેણ ન હતા બોલવા પણ જો એણે એમ ન કહ્યુ હોત તો સહદેવ એને જવા ન દેત. ભીની નજરે તે ગાડીમાં બેશી અને સહદેવને ગુમાવવા બદલ પોતાને કોસવા લાગી. બીજો ક્રાંતિકારી બળદગાડુ લઈ તેમની પાછળ આવી રહ્યો હતો.
“સહી ડીસીજન લીયા તુને લડકી.” વકીલે કહ્યુ અને ગાડી ચાલુ કરી. મનુ ડૂસકા ભરી રડવા લાગી. વકીલ ચૂપચાપ ગાડી ચલાવી રહ્યા. દસેક એક મિનિટ બાદ વકીલ બોલ્યા: “આજ કા પ્લાન મેં અભી તુજે બતા રહા હું... ધ્યાન સે સુન, અભી ઘર જા કે...” વકીલ બોલી રહ્યા હતા, વચમાં રડતાં-રડતાં મનુ બોલી: “રડી લઉં હું મારા દુખનુ થોડીવાર?” આંસુ ભરી નજરે તે વકીલને જોઈ રહી. બે ઘડી વકીલ તેને જોઈ રહ્યા:
“મુજે લગા તુને રો લીયા ઉસકે નામ કા...” મનુ થોડા અણગમા સાથે વકીલ સામે જોઈ રહી.
“મતલબ ઉસકે સાથ જો હુઆ ઉસકા...” કહી તે ચૂપ થઈ ગયા.

આ વિયોગથી પોતે પણ ખુશ ન હતી. તે શું ચાહતી હતી એ તે સમજી શક્તી ન હતી. શેનું ઘેલું લાગ્યું હતું એને? એ તે જાણતી ન હતી. કેમ આ બધુ કરી રહી હતી? એ પ્રશ્નનો ઉત્તર પણ તેનુ મન તેને આપી શક્યુ નહીં. ક્યાંય સુધી પોતાના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવતી રહી કોણ હતી તે? અને શું બની ગઈ હતી પોતે? શું કરી લઇશ હું ચૂંટણી જીતી ને? સવર્ણોની સામે પડીને શું મળવાનું હતું એને? બધા પ્રશ્નોનો એક જ જવાબ હતો પોતાનું ખોવાયેલું આત્મસન્માન મેળવવું. માણસ દગાખોર વ્યક્તિ, દુશ્મન કે કુદરત વિરુદ્ધ સંબંધમાં પણ રહી શકે પણ જ્યાં આત્મસન્માન ન હોય ત્યાં વ્યક્તિ પદાર્થ બની રહી જાય છે. શ્વાસઉચ્છવાસ કરતી કોઈ નિર્જીવ વસ્તુ જેમ. પોતાના આત્મસન્માન ખાતર તેણે તેના પ્રેમને ત્યજયો. કેટલી સ્ત્રીઓ આવું કરી શકે? તેનું મન થઈ રહ્યું હતું સહદેવ સાથે સ્નેહનો સેતુ બાંધે પણ પોતાના આત્મસન્માનના બલિદાનને બદલે નહીં. તેનું તર્ક તેને એમ કરવા રોકી રહ્યું હતું પણ મન થોડી તર્કને સમજે છે, એ તો જ્યાં લાગણીઓ તરસી થાય ત્યાં પલકો છલકાવી દે છે.  બહુ બધા વિચારો સાથે તે આંખોને ઓગાળતી રહી. ૨૦ મિનિટ જેટલું અંતર બાકી હતું. હવે વકીલે કડકાઈથી કીધુ:
“એ લડકી...અબ રોનાધોના બંધ કર. તેરા ગાંવ આ ગયા હે. અબ સુન મેરી બાત પહેલે હમ તેરે ઘર જાયેંગે. વહાં સે ફીર પુલિસ સ્ટેશન જાયેંગે ઓર હો શકે તો નીડર બન. યે રોનાધોના છોડ દે. અબ યે ગાંવ તેરી ઊંગલી કે નીચે આને વાલા હે, તું ઐસે રોયેગી તો લોગોકો તેરે પે સે ભરોસા ઉઠ જાયેગા. આંસુ પોછ.” કહેતા વકીલે એમનો રૂમાલ આપ્યો.

મનુએ રૂમાલથી આંખો લૂછી. થોડું પાણી પીધુ. અને રિયર-વ્યૂ અરિસામાં જોઈ વાળ સરખા કર્યા. તેના ઘર આગળ ગાડી ઊભી રહી. તે નીચે ઉતરી અને કાળા કોલસાની ખાણ સામે ઊભી હોય એમ એના ઘર તરફ જોઈ રહી. તેનુ ઘર ખાખ થઈ ગયુ હતું. ઘરની આગળનો ટેકરો ચઢવા પ્રયત્નો કર્યો પણ આટલા ૩૫ વર્ષથી જે ઘરમાં મોટી થઈ હતી, રહી હતી, જે લાગણીઓ અને ભવ્ય ભૂતકાળ જોડાયો હતો આ ઘરથી એ બળીને ખાક થઈ ગયો હતો, આ દુષ્કૃત્યના ભારે એના પગ ઉપડવા ન દીધા. તે નીચે ઢીંચણે બેશી ગઈ અને જમીન પર માથુ રાખી રડવા લાગી. તેણે એક જ દિવસમાં કેટલું બધુ ગુમાવ્યુ હતું. જેલમાંથી આ ઘરમાં આવવા કેટકેટલા વલખાં માર્યા હતા અને આજે આ જ ઘરને તેણે સળગાવી મૂક્યુ.

આજુબાજુમાં લોકો ભેગા થઈ ગયા હતા અને મનુને જોઈ રહ્યા હતા. જાનકી તેની પાસે આવી અને તેની પીઠ પર હાથ મૂકી વ્હાલથી બોલી: “મનુ...”

તેને વકીલની વાત યાદ આવી. જો એ નબળી પડી તો તેનુ વ્યક્તિત્વ બગડી જશે. હવે તેણે હિમ્મતથી કામ લેવાનુ હતું. જેટલા આંસુ સારવાના હતા એટલા સારી લીધા. હવે જવાબદારી સ્વીકારવાનો સમય આવી ગયો હતો. નાનુ બાળક બાંયથી મોઢું લુછે એમ મનુએ પોતાના ખભાથી આંખો સાફ કરી અને ઊભી થઈ. મનુની આ અવસ્થા જોઈ જાનકી રડી રહી હતી, મનુએ એને ગળે લગાવી અને શાંત પાડી. ગામના સવર્ણો અને દલિતો બધા ત્યાં ભેગા થઈ ગયા હતા. મનુએ જાનકીને આશ્વાસન આપી શાંત પાડી.

મનુ લોકો સમક્ષ આગળ આવી ઊભી રહી અને તીક્ષ્ણ નજરે જોઈ રહી, બાદ બોલી: “મારૂ ઘર હવે આ ગોમ સ, તો આ ગોમના બધા લોકો મારા ઘરના સ. હવે તમે મને માનો કે ના માનો પણ આજથી તમે બધા મારો પરિવાર સો... મારી પાંહે ગુમાવા માટે કશુ રહ્યુ નહીં સીવાય કે તમે બધા... દુનિયા મોણસને તરસોડે તો ય મોણસ જીવી જાય, પણ જો એના ઘરના એને તરસોડેને તો ઇ ક્યાંયનો નો રેય બાપ! આ ગોમ માટે મેં મારુ ઘર પણ હોમી દીધું, હજુય જેટલા બલિદાન જેને લેવા હોય એટલા હું આપવા તૈયાર સુ આ ગોમ માટે. સવાલ એ સે શું આ ગોમ મારો સ્વીકાર કરશે?” કહી મનુએ બે હાથ જોડી સૌને નમસ્કાર કર્યા અને પાછી ગાડીમાં બેશી ગઈ. જતા-જતા તેણે જાનકીને કહ્યુ: “મારો સામાન તારા ત્યાં ઉતારાવડાઈ લેન.” કહી તેણે બળદગડા પર સવાર સેનાનીને સામાન ઉતારવા ઈશારો કર્યો.

બધા હેત અને માનપૂર્વક મનુને જોઈ રહ્યા. મનુ આજુબાજુ નજર નાખ્યા વીના ગંભીર મુદ્રામાં સામે જોઈ રહી. વકીલે ગાડી પોલીસ સ્ટેશન લીધી. પોલીસ સ્ટેશન જઈ તેણે પોલીસરક્ષકને કહ્યુ:
“સાહેબ...સાહેબ મારા ઘરમાં આગ લાગી જઈ હતી સાહેબ. મુ એની રીપોટ લખાવા આઇસુ.”
ખુરશીમાં બેઠેલો અધિકારી બોલ્યો: “તમારી ફરિયાદ બે દિવસ પહેલા જ લખાઈ ગઈ છે અને અમે ગુનેગારને જેલમાં નાખી દીધો છે.”
“કોને સાહેબ?” જિજ્ઞાસા સાથે તે બોલી.
“શમાજી બાપુને.” અધિકારીએ જણાવ્યુ.
“પણ... શમાજી આવુ ના કરે સાહેબ, આવુ હલકુ કૃત્ય એ કદી નો કરે સાહેબ.”
અધિકારી સ્તબ્ધ થઈ ગયો: “તો તમે એમ કહેવા માંગો છો કે અમે ભૂલ કરી છે શમાજીને પકડીને?”
“ચોક્કસ. સાહેબ, મુ એમના ઘરે વાસણ, કચરો-પોતું કરવા જતી’તી. મન તો એ એમની દીકરીની જેમ રાખ સ. એ આવુ નો કરે ક્યારે.”
“શું બોલી રહ્યા છો તમે?’ આશ્ચર્ય સાથે પોલીસ અધિકારી બોલ્યો.
“સાહેબ. એમન છોડી દો.”
“ઑ...મનરાગીનીબેન ૨૫ જણાએ જુબાની આપી છે કે શમાજીએ તમારું ઘર સળગાવ્યુ.”
“સાહેબ મારૂ ઘર સ, મારી જુબાની હાંભળો. ઘાંસતેલ ઢળી જવાના કારણે મારા ઘરમાં આગ લાગી’તી.”
ચાર ક્ષણ આશ્ચર્યથી પોલીસ અધિકારી એને જોઈ રહ્યો અને બોલ્યો: “સારું. જો તમે જ કબુલ કરી રહ્યા છો તો છોડી દવ છુ હું એમને.”

પોલીસે શમાજીને છોડી મૂક્યા. બ્હાર મનુ વકીલ સાથે ગાડી જોડે ઊભી હતી. શમાજીએ એની પાસે આવ્યા: “તે મન સોડાયો એટલે એમ ના હમજીસ કે મારા પર બોવ મોટો ઉપકાર કર્યો સ. ભૂલીસ નય એક ટાઈમ હતો જ્યારે મે તન મદદ કરી હતી. તન લોન કરાઇ આલી’તી.”
“ના... ના, ભૂલાતુ હશે. ૨૫૦૦ની લોનના ૫૫૦૦રૂ. લેવા વાળા ઉપકારી માણસને ભૂલતું હશે કોઈ?” શમાજી ભોંઠા પડી એને જોઈ રહ્યા.
“તમને બ્હાર કાઢવાનુ કારણ એક જ કે તમે તમારી નજરે જોઈ હકો આ ગામમાં એક વાલ્મીકિ સ્ત્રીન સરપંચ બનતા.” મનુએ વટથી કહ્યુ.
શમાજી ખડખડાટ હસવા લાગ્યો: “હાળી, બે-પાંચ પૈસા હું કમાઈ લીધા તન લાગસ તુ દરબારું ઉપર રાજ કરે?”
“તું તારી નજરે જોઈશ.”
“હવ જોયા, જોયા... આવી મોટી.” શમાજી બોલ્યા.
બે ઘડી તે શમાજીને જોઈ રહી પછી: “તાકાત હોય તો જીતીન બતાડ.” મનુએ કહ્યુ અને સ્મિત આપ્યુ. શમાજી ડોળા કાઢી એને જોઈ રહ્યો અને બોલ્યો: “તમન તમારી ઓકાત બતાવાનો વારો આઇ જયો સ... જો તું ખાલી.” કહી શમાજી ત્યાંથી ચાલ્યા ગયા.
વકીલે પછી તેને એક યોજના આપી કે: “લડકી મેં તેરે કો એક નઇ ગાડી દે દેતા હું... ઓર તું લોગોમેં કુછ પૈસે બાટ દે. તો લૉગ તેરે સાથ ખડે હો જાયેંગે.”
“તો મારામાં અને બીજામાં શુ અંતર રહી જશે સાહેબ? મારી જાત મહેનતથી જ જીતીશ. બાકી હાર કબુલ છે મને.” મનુ એ કહ્યુ. વકીલ તેને જોઈ રહ્યા.

મનુ પાછી તેના ફળિયામાં આવી. તેના ઘરની જમણી બાજુએ એટલે કે રોડના બીજા છેડે ગંભીરભાઇના ચાર-પાંચ મકાન હતા. જેમાંથી એક મકાન મનુને રહેવા માટે આપ્યુ. મનુએ તેનો સામાન મકાનમાં ઉતાર્યો. એ મકાન પણ મનુના મકાન જેવુ જ હતું. બસ ખાલી આગળ અહી ઓટલો ન હતો. આગળ અને પાછળ એક-એક દરવાજો હતો. નવેસરથી તેનુ ઘર ઊભુ થાય ત્યાં સુધી તેને અહીયાં જ રહેવાનુ હતું.

મનુની જાન પર કેટલી મોટી આફત હતી, વકીલ જાણી ગયા હતા માટે તેમણે પોલીસ પાસેથી સુરક્ષા માંગી. મનુએ એના માટે પણ આનાકાની કરી પણ વકીલે એક ના સાંભળી. વકીલે બે પોલીસ અધિકારીઓ મનુના ઘર આગળ તૈનાત કરાવ્યા અને પછી વકીલે રજા લીધી. એક એક પોલીસ અફસર આગલા અને પાછળના દરવાજે ખડે પગ થઈ ગયા. બેઉ સારા ઓફિસર હતા.

એક અફસરનુ નામ હતું વસંત જાડેજા. વસંત જાડેજા તેની નોકરીથી ખૂબ જ વફાદાર હતો. પોતાના ૨ વર્ષના કાર્યકાળમાં ૧૦ વાર તેને તબદીલ કરવામાં આવ્યો હતો. કારણ કે જે વિસ્તારમાં તેની નિમણૂક થતી ત્યાં ડાંડાઇ કરતાં લોકો કે ગેરકાયદેસર કામ કરતાં માણસોને તે સીધા દોર કરી નાખતો. ગુનાખોરોના અયોગ્ય કામમાં મુશ્કેલી ઊભી કરતો. સ્વાભાવિક વાત છે ઈમાનદારી એવું ઘી છે જે દરેક કુતરાને હજમ થતુ હોતુ નથી. માટે વારંવાર તેને દરેક જગ્યાએથી સ્થળાંતર કરવુ પડતુ.

ઈમાનદારી તેના લહુમાં હતી પણ તેની સાથે ઈમાનદારી થઈ ન હતી. તેણે પ્રેમલગ્ન કર્યા હતા. સમાજથી, પોતાના પરિવારથી બધાથી લડીને તે પોતાના પ્રિયપાત્રને પરણ્યો હતો પણ પરણ્યાના ૭ મહિના બાદ તેની પત્ની બીજા વ્યક્તિ સાથે ભાગી ગઈ. એ દિવસથી વસંત એકલો પડી ગયો હતો અને ઉદાસ રહ્યા કરતો હતો. તે ભગવાન શંકરનો ભક્તો હતો, જેમ દેવી પાર્વતિને મૂકી ભોળાનાથ ગિરનાર આવી જઈ સોમરસથી કાળજાની આગને હોલવવાનો પ્રયત્ન કરતાં હતા એમ વસંત પણ તેની પત્નીના વિરહમાં સોમરસની પ્રસાદ સવાર-સાંજ લીધા કરતો.
તે રાત સૂતા પહેલા મનુને રાધાબાની પરિક્રમા યાદ આવતા બંને પોલીસ અફસરોને ચેતવી દીધા કે ૩થી૪માં રાધા બા પસાર થતા હોય છે. માટે એ સમયે સંતાઈ જઉ. ઘંટનો અવાજ સાંભળી સામે જઉ નહીં. બંને અફસર સમજી ગયા. પછીતે ચોકી કરી રહેલો અફસર એમ પણ ૧૨ વાગ્યા પછી સૂઈ જતો માટે તેને આ ચેતવણીથી ઝાઝો ફેર ન પડ્યો. વસંતે આ વાતનુ ધ્યાન રાખી. ૩થી૪ એક કલાક તે પોતાની જીપમાં લપાઈ જતો.

*


૨ દિવસ બાકી

ત્રણ દિવસથી શમાજી વિચારી રહ્યા હતા કે કેમ કરી મનુને ચૂંટણી લડતા રોકવી. પહેલા તો વિચાર આવ્યો કે ભલે તે લડતી ગામનુ કોઈ તેને મત નહીં આપે પણ પછી જે ઘટનાઓ થઈ એ પરથી એમને લાગ્યું બાજી એમના હાથમાંથી લસરી રહી હતી. પભાએ તેમણે એક ઉપાય આપ્યો. રાધાના પિતા ગોવર્ધનરામ શમાજીના મિત્ર હતા. મિત્રતાના ભાગરૂપે તેમણે ગોવર્ધનરામને અરજ કરી કે તે રાધાને કહે કે મનુ તેનુ નામ પાછુ ખેંચી લે. આખા ગામમાં રાધા જ એક એવી વ્યક્તિ હતી જેની વાત કોઈ સ્ત્રી અવગણી શકે એમ ન હતું. ગોવર્ધનરામે મિત્રતાની શરમભરી રાધાને મનુ સાથે વાત કરવા કહ્યુ. રાધાએ એ કાર્ય માટે હા પાડી.

*

Final Chapter: THE DEVI































મનુ તેના નવા મકાનમાં સામાન ગોઠવતી અને સરખો કર્યા કરતી. તેને ઘરની બ્હાર નીકળવાની મનાઈ હતી. બંને પોલીસ અફસર જણાવતા કે તેની જાનને બ્હાર ખતરો છે માટે તે ઘરમાં જ બેશી રહેતી. સમય મળે જાનકી તેને મળવા આવતી. તેની પણ અફસર ચકાસણી કરતા કે તે કોઈ હથિયાર લઈને આવી નથી. મનુને આ બધુ ન હતું પસંદ પણ તે જરૂરી હતું. માટે તે સહન કરી રહી હતી. જાનકી આજે તેને મળવા આવી હતી. વાતમાંથી વાત નીકળતા મનુએ જણાવ્યુ: “જોનકી... માર રાધાબાન મલવું સ.”
“ચમ?”
“બધા લોકો ખોટે ખોટું ઇમનુ નોમ આલ સ કે એમણે રાઘજીન મારયો.”
“તે એ તો હાચી જ વાત સ ન, બાએ જ રાઘજીન મારયો. ઇણે કઈક કર્યુ હશે એટલે બાકી રાધા બા કારણ વગર એવું ના કરે.” જાનકી બોલી. મનુ તેને જોઈ રહી.
“હમડા તો મુ ઘરની નય જય હકૂ, ચૂંટણી પતેને એટલે આપણે એમન મળવા જયસુ.” મનુએ જણાવ્યુ.
“હારુ. મરે વખત થયો એમને મલે. મુ આવીશ તારી હારે.” જાનકીએ કહ્યું.

બંને બહેનપણીઓ છૂટી પડી. મનુને રાત્રે સૂતી વેળાએ રાધા બાના વિચાર આવી રહ્યા હતા. તે એમને મળવા માંગતી હતી અને પૂછવા માંગતી હતી પોતાની અંદર ભરી રાખેલા ઢગલો પ્રશ્નો કે પોતે શું કરવુ જોઈએ આગળ. અત્યારે તો ફક્ત વિચારણા જ તે કરી શકે એમ હતી. ચૂંટણી પત્યા બાદ તે રાધાબાને મળી પૂછવાની હતી કે તેણે આગળ શું કરવુ. એમ આડા-અવળા વિચારોમાં ગોથા ખાતા, તે ઊંઘી ગઈ.

તે ન હતી જાણતી કે રાધા આજે તેને મળવા આવવાની હતી. આજે રાત્રે તે મનુને જે કહે એ વાત તેણે સ્વીકાર્ય કરવાની રહેશે. મનુને રાધામાં શ્રદ્ધા હતી માટે જ રાધા બાના દરેક નિર્ણયને તે સરમાન્ય રાખવા તૈયાર હતી. મુખ્ય વાત એ હતી કે શમાજીએ મનુ પોતાનુ નામ પાછું ખેંચાવી લે એના માટે રાધાને મોકલી હતી અને રાધા એ કામ કરવા રાજી થઈ હતી. માટે આજની રાત શમાજી આરામની નીંદરમાં પોંઢી ગયા.

બરાબર ત્રણ વાગે રાત્રે રાધા ઘંટ અને દસ્તો લઈ પોતાના નિયમિત ક્રમ મુજબ ગામમાં ‘રાધેમોહન’નો નાદ કરતી નીકળી પડી. ટન...ટન... ઘંટના ગહન ધ્વનિથી વિસ્તાર આખો ગુંજી ઉઠ્યો, એમાં પાછળ રાધેમોહનનો નાદ વાતાવરણને નિસ્તેજ કરી રહ્યુ હતું. આજે રાધા મનુના આંગણે ઊભી રહી ઘંટનાદ કરી રહી હતી. ઘંટનો ધ્વનિ સંભળાતા વસંત જાડેજા સતેજ બન્યો. તે ઘરથી સહેજ છેટે ડાબી બાજુ તેની ગાડીમાં છુપાઈને બેઠો હતો. તેણે તેની રિવોલ્વર પર હાથ રાખ્યો હતો. તેણે રાધાને ઊભેલી જોઈ. કોઈ અલૌકિક શક્તિ તેનામાં લાગી રહી હતી. તેને થયું કે બ્હાર જઈ રાધાને રોકે પણ મનુએ કહ્યું એમ રાધાની સામે જવામાં જોખમ હતું માટે તે અંદર જ રહ્યો. ઘંટનાદ અને રાધેમોહનનો અવાજ સ્પષ્ટ થતા મનુ જાગી ગઈ, તેના હ્રદયના ધબકારા વધવા લાગ્યા. તેણે તો રાધા બા આગળ કોઈ માનતા કરી ન હતી તો પછી કેમ બા આજ તેના ઘરે આવ્યા? શું બા મનની ઈચ્છા જાણી ગયા હશે? તેણે ડરતા-ડરતા કમાડ ઉઘાડયુ. બ્હાર લાલ વસ્ત્રોમાં સજ્જ માથે લાલ ટીકો અને એવો જ રક્ત રંગ તેના હોઠે લાગેલો હતો. તેની પાયલ, ચાંદીનું માદળિયુ અને તેનો શૃંગાર સાક્ષાત મા ભવાનીના દર્શન કરવી રહ્યા હોય એવુ લાગી રહ્યુ હતું.

મનુના મનમાં જે ડર હતો એ રાધા બાને જોતાં મટી ગયો. આટલા વર્ષોથી જે લોકગથા સાંભળી હતી કે રાધા બા રાત્રે આવે ત્યારે દૈવી શક્તિઓથી પાપીઓનો સંહાર કરતી અને રૌદ્ર રૂપ ધારણ કરતી માટે મનુને તેના રૌદ્ર રૂપથી ડર લાગી રહ્યો હતો પણ જ્યારે કમાડ ઉઘાડી સામે જોયુ તો રાધા બા ઊભા હતા. નિખાલસ અને કોમળ. એમને જોઈ મનુને સારું લાગ્યું, તેણે એમને અંદર બોલાવ્યા. તે બાને પગે લાગી અને ખાટ પર બેસાડયા અને પોતે જમીન પર બેશી.
“બા...મુ હોંજે જ તમન યાદ કરતી’તી કે મારે તમન મલવા આવવુ’તુ.” મનુએ કહ્યુ.
“મનોરમા...તુ જે કરી રહી સુ તે બરાબર કરી રહી સુ.” આજે પ્રથમવાર મનુને કોઈએ મનોરમા નામથી સંબોધી.
“બા... રાઘજીને...”
“તે મારયો સ, મુ જાણું સુ.” રાધાએ કહ્યુ. મનુએ તેમની સામે બે હાથ જોડ્યા.
“બા, બોવ બધા પ્રશ્નો થાય સ મન. મન જવાબ આલોન.”
“અત્યારે એના માટે સમય નથી. તને મુ એટલું જ જણાવા આયીસુ કે...તુ જે કરી રહી સુ ચાલુ રાખ, એ મુક્તિ નય. મા ભવાની તારી હારે સ.” રાધાએ કહ્યુ અને ઊભી થઈ.

મનુ બાના ચરણોમાં પડી ગઈ અને તેની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા. બા એ તેને ઊભી કરી માથે ચુંબન આપી કહ્યુ: “તથાસ્તુ.” બાદ એ દૈદીપ્યમાન પ્રતિભા ત્યાંથી લુપ્ત થઈ ગઈ. મનુને ઉત્તર મળી ગયો હતો. તે સાચા પથ પર જઇ રહી હતી.

*


છેલ્લો એક દિવસ બાકી ચૂંટણીને

સવારે રાધા શમાજીના ઘરે ગઈ. શમાજીએ ખુશીથી તેનુ સ્વાગત કર્યુ અને અંદર બોલાવી. અંદર આવતા-આવતા રાધાએ જણાવ્યુ: “શમા, એ સોડીન ના રોકીસ. એ નય રોકાય. તાર તારી આબરૂ બચાઈ રાખવી હોય તો તારું નોમ પાસું ખેંચી લે ચૂંટણીમાંહી.” રાધાએ જણાવ્યુ.
“હેં??? શું બોલ સ, તે એન હું કીધું?” શમાજીએ પૂછ્યુ.
“મે કીધુ નોમ ના ખેંચીસ પાસું, તુ લડ તમતાર.”

આ સાંભળી શમાજીનો પિત્તો ગયો એણે રાધાનો હાથ પકડી એને બ્હાર ખેંચી લાવ્યા. રાધાને લાત મારી ઘરની બ્હાર કાઢી મૂકી: “ભેનબખત હારી હિજરી...કોમ બગાડ્યુ મારૂ.” કહી તે અંદર જતો રહ્યો. રાધા ઊભી થઈ અને કપડાં સાફ કરી પોતાના ઘર તરફ ભણી. શમાજી અંદર આવી પાટ પર બેઠા. પભો ઊભો હતો એણે પૂછ્યું શું થયુ. શમાજીએ આખી વાત જણાવી. બધુ સમજ્યા પછી પભાએ છેલ્લો ઉપાય આપ્યો. એના માટે એમણે અરજણને અને ભીખાને ભેગા કર્યા. ભીખો દરબાર એ જેને સહદેવે લાત મારી જાડીજાંખરામાં ફેંકી દીધો હતો. અરજણ શમાજીનો ખાસ હતો. તે શમાજીના એક સાદે કોઈની પણ સાથે મારપીટ, બબાલ કે ખૂન કરી નાખતો. બીજા ઘણાય અરજણ કરતાં પણ વધારે ચઢિયાતાં મવાલી શમાજી માટે કાઇપણ કરવા ખડેપગ હતા પણ શમાજીને અરજણ માટે વિશેષ આકર્ષણ હતું. આ બાબત પભાને પણ ક્યારેક ખૂંચતી. તેણે જ અરજણને આ યોજનામાં સામેલ કર્યો.

પભાએ બંનેને એક છેલ્લુ કામ સોપ્યું. વગર કોઈ ચૂકે આ કામ પાર પાડવાનું હતું. માટે જ એકદમ સચોટ રીતે ખામીરહિત યોજના ચારેએ બનાવી. ચારેય જણ ૨ કલાક સુધી બેશી આખી યોજના બનાવી અને આજ રાત્રે બધો ખેલ સમેટી લેવાની તૈયારી શરૂ કરી.

મનુને વસંત સાથે વાત કરવુ ગમતુ હતું. તે નિખાલસ અને પોતાની જવાબદારીથી વફાદાર હતો. મનુ જાણતી હતી એની પત્ની એને તરછોડી ગઈ હતી એટલે તે નશામાં ગળાડૂબ રહ્યા કરતો હતો પણ આજે તે સ્વસ્થ હતો, કોઈપણ જાતના નશા વગર તે આવ્યો હતો. મનુએ તેની પત્ની અંગે વાત કરી. જવાબમાં તેણે જણાવ્યુ: “મનુબેન તમને ખબર છે, ઇનો ભાઈ મને મારવા આવ્યો હતો ત્યારે એ વચ્ચે ચપ્પુ પોતાની હથેળી પર રાખી ઊભી રહી ગઈ અને કહ્યુ કે વસંતને કોઈએ જો હાથ લગાડ્યો તો તે પોતાની નસ કાપી નાખશે. આ હદ સુધી એને મારા માટે પ્રેમ હતો. મેં પણ મારા પરિવારને તરછોડી દીધુ એના માટે, છતાં અંતે તે ભાગી ગઈ... અને એ પણ એવા વ્યક્તિ સાથે જેને બાપના પૈસે આખી જિંદગી જીવ્યા કરવુ હતું, પૈસા રળવાનુ કોઈ કામ એને ન હતું કરવુ.”
“તમે કેમ હંમેશા એને જ કોસી રહ્યા છો કે એણે તમારી હારે ખોટું કર્યુ?”
“ના...ના હું મને પણ કોસું છુ કે મેં એને કેમ એટલો બધો પ્રેમ કર્યો.”
“હા, એટલે વાત એક જ થઈ ને... એની નજરથી જોવાનો પ્રયત્ન કરી જોવોને, જો એ તમને મૂકીને ચાલી ગઈ છે. તો એવા તો શું કારણ રહ્યા હતા કે જે માણસ માટે પોતાના ઘરના ની સામે થઈ જનાર વ્યક્તિ કોઈ બીજા જોડે ભાગી જાય?” મનુએ સમજાવ્યુ. આ સાંભળી વસંત વિચારમાં પડ્યો. પછી મનુએ ઉમેર્યુ:“ચોક્કસ તો ના કહી શકુ પણ એક સ્ત્રી તરીકે મને એમ લાગે છે કે તમારી આ ઈમાનદારી તમને નડી છે.”
“એટલે?”
“એક સ્ત્રીને શુ જોઈએ પરણ્યા પછી? એક ઘર, પોતાને સમય આપે એવો પતિ અને બાળકો. તમે એને શુ આપી શક્યા? (બે ક્ષણ બાદ) ચોક્કસ તમે એને પ્રેમ આપ્યો હશે, રહેવા માટે ઘર આપ્યુ હશે પણ એક જગ્યાએ ક્યાંય થાળે પડ્યા?”
“એટલે?” વસંત સમજવા પ્રયત્ન કરી રહ્યો હતો.
“મને આખી વાત જાણતા એમ લાગે છે કે મહિને ૨ મહિને થતા તમારા સ્થળાંતરથી તમારી પત્ની કંટાળી ગઈ હશે, એકલી પડી ગઈ હશે અને કદાચ આવું પગલું ભર્યું હોય. લગ્ન પછી એક સ્ત્રીને તેનો વર સમય આપે, જોડે રે, તેની કાળજી લે એ બધુ પસંદ પડતું હોય છે. જો એક પુરુષ આ બધુ પૂરું ના પાડી શકે તો તે સ્ત્રીએ બીજા વિકલ્પો વિચારવા રહ્યા.” મનુ પોતે જે અનુભવી રહી હતી એ વાત જણાવી દીધી. તે સભાન થઈ, ઘરમાં ચાલી ગઈ. સહદેવ સાથે તેને એવું જ જીવન જીવવું હતું. કોઈ એક સ્થળે ઘર સંસાર માંડી જિંદગી પસાર કરવી પણ સહદેવ દેશ માટે લડવા તૈયાર થયો હતો. આઝાદી માટે એક સ્થળથી બીજા સ્થળ સતત તેને ફર્યા કરવાનું હતું. મનુ તેનાથી દૂર થઈ એમાંનું એક આ કારણ હતું. 

આટલા સમયથી પોતાની પત્નીને દોષ આપી રહેલા વસંતને આજે પોતાની ભૂલ સમજાઈ. તે હતાશાના ગર્તમાં ખોવાઈ ગયો. અંદર મનુ પણ પોતાની જાતને સંતાપતી રહી, પોતે લીધેલા નિર્ણય અંગે દુખી થઈ રહી હતી. સહદેવનુ જીવન એવું જ રહેવાનુ હતું આ રાજ્યથી પેલા રાજ્ય. તે ક્યારેય એક જગ્યાએ ટકીને ઘર માંડવાનો ન હતો. મનુ આ વાતના લીધે જ તેની પાસે ન હતી ગઈ અને આખી જિંદગી હવે અહી એકલા વિતાવવાનો નિર્ણય તેણે લીધો હતો.

સાંજે વસંતે હદ બ્હારનો દારૂ ઢીંચ્યો હતો. અત્યાર સુધી ફક્ત તે તેની પૂર્વપત્નીને કોસતો હતો, આજે પોતાની જાતની નિંદા કરવા લાગ્યો કે પોતે કેટલો બધો ખોટો હતો અને પોતાની મિથ્યાની અગ્નિમાં મદિરાના ઘૂટ માંડી રહ્યો હતો. બ્હાર આગલા દરવાજે તે પીયને જમીન પર ઢળી પડ્યો હતો. સાંજ ઢળી ચૂકી હતી માટે ઝાઝું અજવાળુ હતું નહીં. મનુ પણ વહેલાસર જમીને ઊંઘી ગઈ.

રોજ તે આગળ અને પાછળના બંને કમાડ વાસી દેતી પણ આજે પછીતેનો કમાડ બંધ કરવાનુ તે ભૂલી ગઈ હતી. મધ્યાન રાત્રિ થઈ હતી. આગલા દિવસે મતદાન થવાનુ હતું. આ જંગમાં મનુએ પોતાનુ સર્વસ્વ લગાવી દીધુ હતું. છતાં જે અસ્તિત્વ હતું તેનુ, જે કોમમાં તેણે જનમ લીધો હતો. જેના પર પોતે પસંદગી કરી શકે એમ ન હતી કે કયા કુળમાં જન્મ લેવો જોઈએ. બસ, એક આ અસમર્થતાના કારણે તેને ડર હતો કે પોતાની જ્ઞાતીના કારણે ક્યાંક હારી ન જાય. આ જંગમાં તેનું ઘર, તેનું અસ્તિત્વ બધુ લાગી ગયું હતું. જ્ઞાતિવાદને ધ્યાનમાં લઈ ગામ લોકો જે વર્તન તેમની પ્રત્યે કરતાં એ બાબતથી તે નિરાશ થઈ હતી. જ્યાં પીવાના પાણી ભરવાના અલગ અલગ નિયમ હોય, મંદિરમાં પ્રવેશ કરવાના જાતિગત તફાવત હોય, જ્યાં મૂછો રાખવાનો અધિકાર જે-તે કોમને જ હોય, જ્યાં આગળ ભણવાનો અધિકાર જે-તે કોમના બાળકોને જ હોય, ઘોડા પર ફરવાનું સ્વાતંત્ર જે-તે લોકોને જ હોય, ગામની સમૂહ બેઠકમાં ફક્ત શ્રીમંત કોમ બેસી શકે, એવા ગામમાં જ્યાં સ્ત્રીઓને પણ સ્વાતંત્ર ફક્ત ઘરના કામ અને પુરુષને ખુશ રાખવાનું જ હોય એવા ગામમાં મનરાગિની જેવી કન્યા જે પછાત જ્ઞાતિ ધરાવે છે એ ગામની ધણી બની શકે? એને આ ગામ સરપંચ તરીકે સ્વીકારે? જેમ સરપંચના ઘર આગળ ગ્રામજનો પોતાની સમસ્યા લઈને આવે, ઝઘડા કે દુશ્મનીનું સમાધાન કરવા મનરાગિનીના ઘરે આવશે? આવા વિચારો તેને સૂતા સૂતા આવી રહ્યા હતા. તે પાણી પીવા ઉઠી.

હિન્દુ ધર્મમાં સમાજ સ્વીકાર્ય ઘણા દૂષણો હતા. ઘણા સંવેદનશીલ બુદ્ધિજીવોઓ આ ધરતી પર જન્મ્યા અને અનૈતિક ઘણા દૂષણો દૂર કર્યા. બસ, એક જાતિવાદ દૂર ન કરી શક્યા. કારણકે પછાત કોમના લોકો ગામ શહેરમાં સુવિધા પૂરી પાડવામાં પોતાનું અસ્તિત્વ ગુમાવી બેઠા. લોકોના ઘરના કચરા-પોતા, સાફ-સફાઈ, ગટરોના બ્લોકેજની સમસ્યા, મૃત પામેલા ઢોરનો નિકાલ, સ્મશાનોમાં અગ્નિદાહનો નિકાલ વગેરે. એવા ઘણા કામ જે કાચા હ્રદયના લોકો ન કરી શકે એ ખૂબ જ નિમ્ન રોજગારની કમાણી હેઠળ કરતાં હોય છે. મરી ગયેલા ઢોર(કુતરા, ગાય, ભેંસ, બળદ વગેરે) વખત આવવા પર સખત ઝેરી દુર્ગંધ છોડવા લાગે છે. જેની દુર્ગંધ નાકમાં જતાં ઉલ્ટી થવા લાગે અથવા તો માણસ બેભાન પણ થઈ શકે છે. આવા મૃત પ્રાણીઓથી, આવી દ્દુર્ગંધથી દૂર ભાગતો સમાજ આવા કામોના નિકાલ કરતાં લોકોથી પણ દૂર ભાગવા લાગ્યો. તેમના અસ્તિત્વને દુર્ગંધ સમજવા લાગ્યો. સમાજના લોકો તેમનું અસ્તિત્વ ભૂલી ગયા. પછાત કોમ ખાલી પૈસા ન હોવાના કારણે પછાત નથી રહી પોતાના અસ્તિત્વની અવગણના કરતાં સમાજનો સ્વીકાર કરી હોંસે હોંસે જીવી રહી છે માટે પછાત રહી ગઈ છે.

પછીતેના દરવાજે કઈક સંચાર થયો હોય એવુ તેણે અનુભવ્યુ. મનુએ પાછળના દરવાજે જોયુ અને પાછી પોતાની જગ્યાએ સૂઈ ગઈ. પછીતે ચોકી કરી રહેલા પોલીસ અફસર પર બે બુકાનીધારી માણસોએ હુમલો કર્યો. તે અફસર સૂઈ રહ્યો હતો, એકે એનુ મોઢું દબાવી બીજાએ ગળા પર ચપ્પુ ફેરવી દીધુ. આગળનો અફસર નશામાં ધૂર્ત હતો માટે બુકાનીધારીઓને એની ચિંતા ન હતી. તેમણે પાછળના દરવાજાથી ઘરમાં ઘૂસવાનું નક્કી કર્યું. તેમને એમ હતું કે મનુએ અંદરથી કમાડ બંધ કર્યુ હશે. એક શખ્સ હળવેથી કમાડની કુંડી ફેરવવા લાગ્યો. દરમિયાન મનુ પાણી પીવા ઊભી થઈ હતી અને તેણે આ સંચાર અનુભવ્યો. તે પાછી પોતાની જગ્યાએ સૂતી ત્યારે અચાનક તેને યાદ આવ્યુ કે પોતે દરવાજો બંધ કરવાનુ ભૂલી ગઈ હતી. બારણું ઊઘડવાનો અવાજ આવ્યો. મનુ ઉઠી ગઈ, તે દીવાલના ટેકે સંતાઈ ગઈ.

અફસરને પતાવી દીધા બાદ બંનેએ પોતાની બુકાની ઉતારી નાખી મશાલના અજવાળે પાછળના રૂમમાં તપાસ શરૂ કરી. મનુ હળવેથી આગળના દરવાજા તરફ ચાલી. મશાલ હાથમાં લઈ બંને પાછળના ઓરડામાં મનુની શોધ કરી રહ્યા હતા. મશાલનો પ્રકાશ મનુએ જોયો અને તે આગળના દરવાજાની દીવાલે ઊભી રહી અવાજ કર્યા વિના કુંડી ઉઘાડવાનો પ્રયત્ન કરી રહી. ત્યાં સુધીમાં બંને મશાલધારી પાછળના ઓરડામાં તપાસ કરી આગળના ઓરડામાં આવ્યા. જ્યાં મનુએ પથારી કરી હતી ત્યાં એક જણો ઓશિકા પર ચપ્પાના ઘા મારવા લાગ્યો. આ જોઈ મનુ ડઘાઈ ગઈ અને ઝડપથી કમાડ ઉઘાડયુ અને બૂમ પાડી: “વસંત!”

બીજો જે માણસ ઊભો હતો એણે મશાલનો પ્રકાશ મનુએ જે તરફ બૂમ પાડી એ તરફ નાખ્યો. તેણે મનુને બ્હાર ભાગતા જોઈ. તે એની પાછળ ગયો, તેના હાથમાંથી મશાલ નીચે પડી ગઈ. નીચે ગોદડા પર મશાલ પડી. પહેલો મનુની પાછળ ગયો અને એનો ચોટલો ખેંચ્યો. મનુ ભાગી રહી હતી. એના વાળ ખેંચાતા આંચકો એના માથામાં લાગ્યો અને તે પાછળ ઢસડાઈ. પેલો માણસ એના વાળ પકડી અંદર લઈ આવ્યો અને ચોટલો ખેંચી દીવાલ તરફ ફેંકી. તેનુ માથુ દીવાલ સાથે ભટકાયુ. ગોદડું સળગતા બીજા માણસે મશાલ ઉપાડી લીધી અને જ્યાં ફાનસ હતી એમાં દીવો કર્યો. આખા ઓરડામાં અજવાળુ પ્રસરી ગયુ.

મનુએ તે બંને માણસને ઓળખ્યા. જેણે ફાનસ સળગાવી એ ભીખો હતો અને જેણે વાળ ખેંચ્યા એ અરજણ હતો. મનુનુ જ્યાં માથું ભટકાયુ હતું ત્યાં તે પડી રહી. ભીખાએ અરજણને ચપ્પુ આપતા કહ્યુ “લે પતાઈ નાખ આને...”
“હમડા ઉભો રે’, મારી હાળી... જાત ભૂલી જઈ’તી એની, આને તો...”કહેતા તેણે મનુને બોચીમાંથી પકડી ઊભી કરી અને દીવાલ તરફ જે કબાટ હતો એ તરફ ફેંકી: “એવી મારીશન હું આજે... બધા હલકાઓના સોકરાના સોકરા યાદ રાખસે, એમની ઓકાત શુ હતી.” કહી તેણે લાકડાની લાંબી અભરાઇ પર તેની બોચી પકડી મોઢું ઘસેડયુ. લાકડાની અભરાઇ અને કાંસાના વાસણો સાથે તેનું મો ઘસડાયું. અભરાઈના છેડે આવતા તેણે ધક્કા સાથે મનુને ફેંકી. લોખંડની અણીદાર પટ્ટીના ટેકે અભરાઇ લટકેલી હતી.

અરજણે જે રીતે એને ઢસડી હતી, અભરાઇ ત્યાંથી નીચે પડી ગઈ. ભીખો શાંતિથી અદબ વાળી આ જોઈ રહ્યો હતો. મનુ દીવાલના ખૂણામાં લોહીલુહાણ પડી. તેના ઉપર અભરાઇ પડી હતી. મનુની માંડ એક આંખ અરધી ખૂલતી હતી. મનુનો હાથ જમીન પર કશુક શોધી રહ્યો હતો. આક્રોશમાં આવેલા અરજણને તે દેખાયુ નહીં. તેણે અભરાઇ આઘી કરી મનુને ઊભી કરી. મનુએ હાથમાં લોખંડની અણીદાર પટ્ટી પકડી. અરજણ બોલ્યો: “અત્યાર તો જીવ બચાવા ચેવા ફડફડિયા મારી રઈસ. તે હાળી રાઘજીન ચમનો મારયો...?”
“આવી રીતે.” મનુ બોલી અને લોખંડની પટ્ટી બે હાથે પકડી અરજણની છાતીમાં ભોંકી દીધી અને નીચેની તરફ ખેંચી.
અરજણ જ્યાં ગોદડું સળગી રહ્યુ હતું એના પર ફસડાઈ પડ્યો. ભીખાએ આ જોયુ બે ક્ષણ બાદ: “તારી જાતની...” બોલી તે ચપ્પુ લઈ મનુને મારવા આવ્યો. મનુ બે ડગલાં પાછળ ખસી.

અંદર ચાલી રહેલા કોલાહલથી વસંત થોડો ભાનમાં આવ્યો. તે હજુ અર્ધસભાન અવસ્થામાં હતો. તે લથડાતો દરવાજા આગળ ગયો. ભીખાએ મનુ પર ચપ્પુ ફેરવ્યુ, વચ્ચે અરજણનુ મડદું આવતા તે થોડો લથડાયો. સરખું સંતુલન ન આવતા મનુની બંધ આંખ પર ચપ્પાની ઊભી ધાર ઉલળી. લોહીનો એક લીટો દીવાલે ચોંટયો. ચામડી ચિરાતા આખા શરીરમાં તીવ્ર ઝણઝણાટી ઉપડી. તે ઊંધી ફરી, તેના મોઢામાંથી દર્દનાક ચિચિયારી નીકળી. તેણે તેની આંખ પર હાથ મૂક્યો. હથેળી પર લોહી ચોંટયું. ચીરામાંથી એક રેલો ગાલ પર ઉતર્યો અને તેના કપડાં પર નિતર્યો. પોતાનું લોહી જોઈ મનુ બેભાન થઈ જમીન પર ફસડાઈ પડી. વસંત અર્ધબેભાન અવસ્થામાં અંદર આવ્યો. તેને ભીખાના હાથમાં ચપ્પુ દેખાયુ. તે મનુ પર વાર કરવા આગળ આવી રહ્યો હતો. વસંતે તેની બંદૂક કાઢી અને ભીખાની છાતીમાં બે ગોળી ઉતારી દીધી. છતાં તે વાર કરવા આગળ વધી રહ્યો હતો. વસંતે એની છાતીમાં લાત મારી. ભીખો સળગતા ગોદડા પર અરજણની ઉપર પડ્યો.

વસંત મનુને ઊંચકી બ્હાર લઈ આવ્યો અને તાબડતોબ જીપમાં બેસાડી પાછો અંદર આવ્યો. બંનેની લાશ સળગવા લાગી હતી. વસંત પાછળ ચોકી કરતા અફસરને ઉઠાડવા ગયો. તેને મૃત જોઈ. પાછો આવ્યો અને બે-ત્રણ ડોલ પાણી બેયની લાશ પર નાખી આગ હોલવવા પ્રયત્ન કર્યો. તે હજુ પણ નશાની હાલતમાં હતો. તે બ્હાર ટાંકીએ જઈ એક ડોલ ભરી અને એમાં મો નાખી દીધુ. અરધી મિનિટ પછી મોઢું બ્હાર કાઢયું, ત્યારે તેનો નશો સહેજ ઉતર્યો. જીપમાં બેસાડી તે મનુને દવાખાને લઈ ગયો.

તબીબોએ તેની સારવાર ચાલુ કરી. તેને આંખ પર ચીરો પડ્યો હતો, માથા પર ભટકાવના લીધે બાહરથી ઇજા થઈ હતી. આમ, બધુ સામાન્ય હતું પણ તે ભાનમાં આવી રહી ન હતી.

*


મનુના ઘરમાં બે અને પછીતે એક લાશ પડી હતી. પરોઢમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી. અંદર બે આદમીઓના મડદા સળગી ગયા હતા. જેમાંથી એકની ઓળખાણ થઈ શકી હતી પણ બીજી લાશનું કમરથી ઉપર સુધીનુ શરીર બળી ગયુ હતું માટે ઓળખ થઈ શકી નહીં. મનુ પર હુમલા કરવામાં જે એક માણસને ઓળખી શક્યા પોલીસે એનું નામ જાહેર કર્યુ ભીખુભા દરબાર. બીજો જે શખ્શ હતો તેનું કમરથી ઉપર સુધી શરીર બળી જવાથી તેની ઓળખાણ થઈ નથી. ગામ લોકોની સીધી નજર શમાજી પર પડી. કારણ કે ભીખો એમનો માણસ હતો. સવારે ૮ વાગતા મતદાન શરૂ થયુ. પોલીસ શમાજીના ઘરે આવી.

મનુ જીવતી બચી છે, એ સમાચાર મળતા શમાજી ચિંતામય થઈ ગયા હતા. શમાજીના બધા પાસા ઉલ્ટા પડી રહ્યા હતા. વસંત અને અન્ય પોલીસ અફસર શમાજીના ઘરે આવી પૂછપરછ કરી. જવાબમાં શમાજીએ જણાવ્યુ તેમને આ વિષયમાં કઈ ખબર નથી.
“એક વાર મનુબેન હોશમાં આવી ગયા પછી ખબર પડી જશે કે તમને આ વિષયમાં ખબર હતી કે નહીં.” વસંતે જણાવ્યુ. પોલીસ શમાજીનું લેખિત નિવેદન લઈ ઘટના સ્થળ પર આવ્યા.

શમાજી પોતે મહાન દુખના પહાડ નીચે દબાઈ ગયા હોય એમ લાગી રહ્યા હતા. તેમનું મોઢુ પડી ગયુ હતું. જીવન જાણે નીરસ બની ગયુ હોય એમ તે ઢગલો થઈ સવારના એક જ જગ્યાએ બેસી રહ્યા હતા. તેમની આંખો નમ હતી. કદાચ રડ્યા હશે. પભો ક્યારનો તેમને જોઈ રહ્યો હતો. ક્ષમાજીને ઉદાસ બેઠેલા જોઈ, આશ્વાસન આપતા તે બોલ્યો: “બાપુ, હોય હવે આવતી ચુંટણીમાં મે’નત કરીશુ. આમ ભાઇડા થઈ ઢીલા નો પડાય.”
“એ વાત નહીં પભા...” દીર્ઘ અફસોસ સાથે શમાજી બોલ્યા.
“તો?”
“અરજણ...મારો.” કહી તેમણે ઊંડો શ્વાસ લીધો.
“અરે બાપુ... અરજણ તમારો બોવ ખાસ હતો. મુ જાણું સુ. એવા તો ડેલાના દહ સોકરા તમાર માટે ઊભા થઈ જાય. તમારા હાટુ જાન કુરબાન કરી દ્યે, તમે જાકારો કરો ખાલી...”
“કેમનો તન હમજાવુ પભા...” નિરાંશ સાદે શમાજી બોલ્યા. પભો ચૂપ થઈ એમની સામે જોઈ રહ્યો.
“૨૫ વરહ પે’લા યાદ સ, પેલો ખીમજી આયાં રે’વા આયો’તો(માથું હંકારી પભાએ હા પાડી) ઇણે નવુ નવુ ઘર માંડ્યુ’તુ. પસી એની ભરતી સેનામાં થઈ’તી. એની નવવધૂ ત્યારે એકલી રે’તી’તી ઘરમાં. ત્યારે હું એના ત્યાં બેહવા જતો’તો...(થોડીવાર બાદ) અન એવુ થયુ’તુ.”
“એટલે બાપુ, એ તમારો....” પભો બોલ્યો અને શમાજી રડી પડ્યા.
“માર ન’તો મોકલવાનો એન ત્યાં...” કહી તે ડૂસકો ભરી રડતાં રહ્યા.

*


બપોરના ૧ વાગ્યા સુધીમાં અરધુ મતદાન થઈ ગયુ હતું, જાનકી દવાખાનામાં મનુની સાથે હતી. રાત્રે જો અરજણે અભરાઇ સાથે તેનું મો ભટકાડયું એ પહેલા ભિખાએ તેના પર ચાકુ હુલાવ્યું હોત તો તે એની આંખ ગુમાવી બેસત. તેનું નશીબ સારું હતું કે અભરાઈના વાસણ સાથે ભટકાતાં તેની આંખ બંધ થઈ ગઈ. બપોરે તેને ભાન આવ્યુ. તેની આંખ પર પાટો બાંધવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા પોલીસ તેનું નિવેદન લેવા આવી ગઈ. કેવી રીતે હુમલો થયો, બીજો જે માણસ ઓળખી શકાયો ન હતો, તે કોણ હતું? એ પૂછ્યુ. મનુએ સાચી ઓળખ આપી અને આખો ઘટનાક્રમ જણાવ્યો. ત્યારબાદ પોલીસે પૂછ્યુ: “તમારા પર હુમલો કરાવ્યો હોય એવા કોઈ માણસ પર તમને શક છે?”
“ના.” મનુએ જણાવ્યુ. આ સાંભળી જાનકીનું મો વાંકું થયું પણ તે ચૂપ રહી. પોલીસ બધી માહિતી લઈ ત્યાંથી ગઈ પછી જાનકી એને વઢ્તા બોલી: “તે ના ચમ પાડી?”
“છોડ યાર.... ક્યાં હુંધી નફરત હારે લઈને ફરીસુ? આજે એક વાલ્મીકિ કન્યાના કારણે એક દરબાર જેલમાં ગયો, એ પછી ઇનો સોકરો મોટો થશે અને એક વાલ્મીકિ કન્યાને હેરાન કરશે. ફરી કોઈક સ્ત્રી તેનો ખાતમો કરશે અને ફરી બીજો કોઈક સવર્ણ તેનું વેર વાળવાનું ઉદ્દેશ્ય ઊભું કરશે. આ દેખાદેખી, આ વિરોધ-પ્રતિશોધના ચક્રવ્યૂહમાં વર્ષોથી આપણી માનવ જાતિ ફસાઈ ગઈ સ. માર હવ આગર આ ગોમમાં એવુ નય થવા દેવુ. આજે એક દરબારને એક વાલ્મીકિ કન્યાએ જીવદયા આપી.” મનુએ કહ્યું. જાનકી તેને જોઈ રહી.

તેને બાટલો ચઢાવામાં આવ્યો હતો. તેને બ્હાર જઈ ગામ લોકો સાથે વાત કરવી હતી. આમ, તો ઉઠવાની હાલતમાં ન હતી અને તબીબે પણ બ્હાર જવા ના પાડી. તેણે કહ્યું અત્યારે લોકોને મળવું જરૂરી છે. વિનંતી કરી બ્હાર જવા પરવાનગી મેળવી. તબીબે તેની સાથે એક પરિચારિકા મોકલી. ૧થી૪ ધોરણની નિશાળમાં મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું. વસંત તેની ગાડીમાં મનુને મતદાન કેન્દ્ર લઈ જવા સાથે આવ્યો. મનુ મતદાન કેન્દ્ર પર આવી રહી છે એવા સમાચાર દવાખાનેથી ગામમાં સતિશ જોડે પહોંચતા કર્યા. આ વાત પ્રસરતાં ગામ આખું મનુને જોવા, તેને સાંભળવા સાકેત પાસે મતદાન કેન્દ્ર પર આવી ગયુ.

કેન્દ્ર પર મતદારોની લાઇન નિશાળના પ્રવેશદ્વારની બ્હાર સુધી લંબાઇ હતી. તળાવ અને સ્મશાનના ત્રણ રસ્તાએ વસંતે જીપ ઊભી રાખી. મનુ નીચે ઉતરી. તેનો બાટલો પકડી પરિચિકા પણ નીચે ઉતરી, ગામ લોકો તેની સામે ઊભા રહ્યા. ગામના મોટાભાગના લોકો તેને સાંભળવા આવ્યા હતા, જેમાં સવર્ણો પણ બાકાત રહ્યા ન હતા. રાધા બા સાકેત પરથી આ દ્રશ્ય નિહાળી રહ્યા હતા. બધા મનુની નજીક આવ્યા એટલે તેણે સંબોધન કર્યું: “આ શ્વાસ હજી ચાલુ સ...(મનુ બોલી અને સૌને જોઈ રહી) અને હજુ પણ કોઈન મન મારવાની ઈસ્સા હોય તો આવી જાય. આ ઊભી હું.(કહી તેણે હાથ લંબાવ્યા, પરિચારિકાએ જે હાથે બાટલાની નળી ભરાવી હતી એ હાથ પકડી સરખો રાખ્યો) મનુએ આગળ કહ્યુ: “આ ગોમ માટે મુ લડી રયસુ, અન આ ગોમ માટે કોઈ મન મારી નાખસે તોય હું માર જાતન નશીબદાર હમજીસ. આ ગોમનું મુ હારુ ઈચ્છું સુ, હવે તમારા પર નિર્ભર સે કોને જીતાડવું. તમારો નિર્ણય આ ગોમનું ભવિષ્ય નક્કી કરશે. પ્રણામ.” એટલું કહી તે પાછી ફરી.

*


પરિણામનો દિવસ

મનુની તબિયત થોડી સુધરી હતી. ભીખાએ જે ઘા કપાળે માર્યો હતો એ હંમેશ માટે દેખાઈ રહેવાનો હતો. આજે પરિણામ આવવાનુ હતું માટે વકીલ તેને મળવા આવ્યા હતા. મનુને હરવા-ફરવાની પરવાનગી હતી પણ તે પરિણામ જાણવા બ્હાર જવા માંગતી ન હતી. તે ઘરે રહી. જાનકી તેની સાથે હતી. વકીલ અને ફળિયાના લોકો સહિત ગામ આખુ મતદાન કેન્દ્રએ પહોંચી ગયું. વકીલે જોયુ શમાજી ત્યાં હાજર ન હતા. તેમણે પંદર દિવસથી અરજણના મૃત્યુનો શોક પાળી રહ્યા હતા.

ચુનાવ આયોગ અધિકારીઓએ પરિણામ જાહેર કર્યુ. મનરાગીની નાથપૂજક પૂર્ણબહુમતથી(૯૩%) તાલુકાનાં પેટા સરપંચ તરીકે ચૂંટાયા છે. ૬% શમાજી નરોત્તમસિંહ રજપૂત, ૧% અન્ય. સૌ લોકોએ ખુશીથી તાળીઓથી અભિવાદન કર્યુ. વકીલ ઝડપથી ગાડી લઈ મનુના ઘર તરફ ગયા. વકીલની ગાડી પાછળ નાના છોકરાઓ દોડી રહ્યા હતા. એમની પાછળ ફળિયાના લોકો મનુને મળવા ઉત્સાહથી આવી રહ્યા હતા. હરખનો માહોલ હતો. વકીલે ઘરે આવી મનુને સમાચાર આપ્યા. મનુએ રાજીનીરેડ થઈ ગઈ અને વકીલને પગે લાગી. કારણ વકીલની યોજના વગર આ ગામમાં મનુનુ જીતવુ અશક્ય હતું. બ્હાર લોકો મનુને મળવા આવ્યા હતા. વકીલે તેને બ્હાર આવી લોકોનો આભાર માનવા કહ્યુ.

મનુએ બ્હાર આવી સૌનો આભાર માન્યો. ફળિયાના લોકોએ ફૂલોના હારથી તેનું અભિવાદન કર્યુ. મનુ આભાર વ્યક્ત કરી, સૌને વંદી અંદર આવી. તે આજે ખુશ હતી. આજે તેના ગામે તે જે હતી એમ, જેવી હતી એવી, એની જ્ઞાતિ અને જાતિ સાથે સ્વીકારી. સાંજે રાઘજીની પત્ની તેને મળવા આવી. સાથે જ્યોતિર્લીંગ પણ આવ્યો હતો.
“એ મનુડી... તે મારા ધણીને માર્યો સ... તુ જિંદગીમાં ચ્યારેય સુખી નય થઉં! તન મારી મેલડી નય મૂકે... તારું નખ્ખોદ જવાનુ!” આવું બધુ તે બ્હાર ઊભી ઊભી બોલી રહી હતી. માર્ગ પર જતાં લોકો ઊભા રહી ગયા. ફળિયાના રહેવાસી બધા બ્હાર આવ્યા. મનુ અંદર હતી. બ્હાર કકળાટ સાંભળતા તે બ્હાર આવી.
“એય... હુ સ?” મનુએ પૂછ્યુ.
“મારા ધણીન મારીન મન પુસસ હુ સ, હાળી વધારણ!” સૌ કોઈ તેને જોઈ રહ્યા.
“કુણે કીધું મેં તારા ધણીન માર્યો?” મનુ એના વેણ સાંખી રહી.
“તો... તારી પાંહે બાપુની વીંટી ચ્યાંહી આયી? અન બાપુનો ઘોડો તારી પાહે ચમનો આયો?” જ્યોતિર્લિંગે પૂછ્યુ.
“મન રાધા બાએ વીંટી આલી’તી અન ઘોડો લઈ જવા કીધુ’તુ.” મનુએ કીધુ.
“જૂઠું...જૂઠું બોલ સ મારી બેટી હલકી!” રાઘજીની પત્ની બોલી. હવે મનુને ગુસ્સો આવ્યો. તે બોલી: “તન...હુ ધણીની કમી થવા લાગી સ? આ નવઘણનો જુવાનજોધ સોકરો પડ્યો’તો રે’ સ તારા ઘરમાં દિવસ-રાત!” મનુ બોલી એ બધાએ સાંભળ્યુ અને લોકો સ્તબ્ધ થઈ ગયા, અને ગુસપુસ કરવા લાગ્યા. રાઘજીની પત્નીને આ સાંભળી ફાળ પડી. તે ત્યાંથી ચાલવા લાગી. જ્યોતિર્લીંગ પણ ભોંઠો પડી ત્યાંથી જતો રહ્યો.

*


આ તરફ શમાજીને આઘાત પર આઘાત પડી રહ્યા હતા. અરજણને તો ગુમાવ્યો જ અને ચૂંટણી પણ હારી ગયા. ચૂંટણી હારવાની નાલેશી તેમનાથી સહન થઈ રહી ન હતી. ૧૫ દિવસથી, જ્યારથી અરજણના સમાચાર મળ્યા ત્યારથી ઘરમાં સૂનમૂન પડ્યા રહેતા અને આજ ચૂંટણીનાં પરિણામથી વધારે નાસીપાસ થઈ ગયા. પોતાના ઓરડામાં ગયા અને તિજોરીમાંથી તેમના પિતાની અમુલ્ય યાદગીરીની ચીજો નીકાળી. ઘણા સમયથી તેમણે પિતાની વિરાસતની ચીજો ફંફોળી ન હતી. શમાજીના પિતા પાસે એક ચાંદીની બંદૂક હતી. જેની નળી પર અને હાથા પર સુંદર કોતરણી કામ કર્યુ હતું. તેની ગોળીની કારટીઝ પણ શાહી જમાનાની લાગી રહી હતી. શૂન્યમનસ્ક બની શમાજી એમાં ગોળીઓ ભરવા લાગ્યા, યંત્રવત રીતે પલંગ પર બેઠા અને બારીની બ્હાર જોઈ રહ્યા.

સાંજ ઢળવા આવી હતી, પક્ષીઓ પોતાના ઘર તરફ વળ્યા હતા. ગામલોકના ઘરમાં ચૂલહા ધમધમી ઉઠ્યા હતા. શમાજીની બારીમાંથી એક ચમકારો થયો, એની સાથે બંદુકનો ધડાકો થયો. બ્હાર આંગળે લીમડાના જાડ પરથી બે-ત્રણ પક્ષી ઊડી ગયા. તબેલામાં પભો સાફ-સફાઈ કરી રહ્યો હતો, અવાજ આવતા તે ઘર તરફ ભાગ્યો.

*


મનુએ નવેસરથી ઘરનુ સમારકામ ચાલુ કરાવ્યુ હતું. હરજીવનદાસની હવેલી, રાધા બાની સાકેત પછી ત્રીજી વિશાળ હવેલી મનુની બનવા જઈ રહી હતી. દરમિયાન ફરીથી વકીલને સામાનની ફેરબદલ માટે લોકોને ઝારખંડ મોકલવાના હતા. તેમણે મનુને ફક્ત આંકડો જણાવ્યો. મનુએ એટલા માણસ હાજર કરી દીધા. આ વખતના ફેરામાં મનુએ પોતે ઓછો હિસ્સો લીધો અને ગામના લોકોને ૨૦૦રૂ. વધારે આપવા નક્કી કર્યા.

બીજા વખતના ફેરામાં સહદેવ ન હતો. એ દિવસે સહદેવે જે કહ્યુ હતું એ પછી ક્યારેય તે મનુની સામે ન આવ્યો. મનુએ વકીલને પૂછ્યુ કે એમણે જે કરી રહ્યા છે એ અને આઝાદીની ચળવળ એકબીજા સાથે કેવી રીતે સંલગ્ન છે. વકીલે ગોળગોળ જવાબ આપી, વાત બદલી નાખી. વકીલ જે કઇપણ કરી રહ્યા હતા, એ કામ અને આઝાદીની ચળવળને કઈ લેવાદેવા ન હતા. મનુને મોડાથી સમજાયુ અને હવે તે વકીલ સાથે કોઈ રીતેની ભાગીદારી રાખવા માંગતી ન હતી. એ દિવસ પછી તેણે વકીલ સાથેની બધી લેણી-દેણી બંધ કરી અને વકીલને પોતાના ત્યાં ન આવવા કહી દીધું. અહીથી તેણે વકીલ સાથેનો સંબંધ વિરમ્યો. સહદેવ પણ વકીલની સાથે આ બધી લૂટફાટમાં અવ્વલ ભૂમિકા ભજવતો હતો પણ મનુ જીવી ત્યાં સુધી તેને દેશની આઝાદી માટે લડતા એક ક્રાંતિકારી તરીકે જ જોઈ રહી. કારણ તે કદી મનુની સામે આવ્યો નહીં. આ લોકો જે લૂટફાટ કરતા હતા, એ દેશ આઝાદ થયા પછી પણ લૂંટફાટ બંધ કરી નહીં. નિર્દોષ તરુણોને ઘટનાઓનો અર્થ બદલીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા. સરકાર વિરુદ્ધ ભડકાવી રેલ્વે અને બેન્ક લૂંટતા રહ્યા. કેટલાક એમાંના બાગી બની ડાકુઓની ટોળકીમાં જોડાયા. જે મધ્ય પ્રદેશ અને બિહારના જંગલોમાં વિલીન થઈ ગયા. દેશ માટે લડતા એ યુવાનો ક્યારે નક્સલી બની ગયા, કેવી રીતે એક ઉદાર વકીલ પણ એ ચક્રવ્યૂહમાં સંડોવાયો તે કોઈ જાણી શક્યુ નહીં. માટે જ આજે ઈતિહાસમાં અંગ્રેજોની પજવણી કરવા વાળા આ નક્સલીઓને કોઈ યાદ નથી કરતુ. 

મનુએ ગ્રામજનોને બીજી રીતે સમજાયુ કે હવે પછીના કામમાં જોખમ વધારે રહેશે. માટે તેણે બધાને એ કામ કરવા માટે ના પાડી. હવેથી આપણાં ગામમાંથી કોઈ વકીલના કામ માટે નહીં જાય. તેણે ઠરાવ આપ્યો. ઘણા લોકોએ મનુની વાત માની લીધી પણ કેટલાકને જલ્દી જલ્દી પૈસા કમાવાનો ચસ્કો લાગ્યો હતો. ત્રીજા વખતના ફેરામાં ૧૦ જેટલા ગ્રામજનો અને બીજા ૧૨ ક્રાંતિકારીઓ સામાન લઈ જતાં હતા. ઝારખંડ નજીક એક નાના સ્ટેશન પર રેલ્વે ઊભી રહી. અંગ્રેજોએ તેમને પકડી પાડ્યા. ક્રાંતિકારીઓએ સામે ગોળીબાર કર્યો. ગ્રામજનો જે એમની સાથે જોડાયેલા હતા. એમને હથિયાર ચલાવતા આવડતા ન હતા. બ્રિટિશરો સંપૂર્ણ તૈયારી સાથે આવ્યા હતા. તેમણે બધા ક્રાંતિકારીઓ અને એમની સાથે સંડોવાયેલા બધા ૧૦ ગ્રામજનોને ગોળીબારીમાં મારી નાખ્યા.

એક સાથે ગામની ૧૦ સ્ત્રીઓ વિધવા થઈ ગઈ. એમાંની કેટલીક મનુને દોષ આપી રહી હતી કે આ બધુ મનુના લીધે થયુ હતું. મનુએ તે લોકો સાથે ઓળખાણ કરાવી હતી. મનુને એમના દોષ સામે કોઈ ચોખવટ કરવાનુ મન ના થયુ. ગામની બીજી બાયુએ એમને જણાવ્યુ: “મનુએ ના પાડી દીધી હતી કે હવે ત્યાં જવામાં સાર નથી પણ તમારા ધણીન પૈસા કમાવાની લાલચ હતી એટલે આવું થ્યું.”

એ પછી ગામના ઠાકોરો સાથે મળી તેણે દારૂ અને અફીણની દાણચોરી કરવાનુ ચાલુ કર્યુ. જેમાં પોલીસનો હપ્તો રહેતો, મનુ પોતાનો ભાગ લેતી. ૧ વર્ષ સરળતાથી બધુ ચાલ્યું પણ બાદમાં બ્હારની પોલીસ આમાં પગ પેસારવાનો પ્રયત્ન કરવા લાગી માટે મનુ આ કામમાંથી છૂટી થઈ ગઈ અને ગામના ઠાકોરોને ચેતવી દીધા કે આ ધંધા બંધ કરે પણ ઠાકોરોએ એની વાત માની નહીં. ધીમે-ધીમે દારૂનુ વ્યસન ઘરે-ઘરે વધવા લાગ્યું હતું. ઘરેલુ હિંસા અને અત્યાચારના કિસ્સા વધી રહ્યા હતા. મનુએ ઠાકોરોને છેલ્લી ચેતવણી આપી કે દારૂનુ વેચાણ બંધ કરે છતાં, ઠાકોરોએ વાત કાને ન ધરી. છેવટે મનુએ યોજના બનાવી અને એવી રીતે ગોઠવ્યુ કે દારૂ વેચતા ઠાકોરોનો દારૂનો સંપૂર્ણ જથ્થો અને રોકડ રકમ એ લોકો ભેગી કરી નાખે. બ્હાર ગામથી એક વ્યક્તિને ૩ ખટારા ભરી દારૂ જોઈતો હતો. એ માટે એક બ્રીફકેસ ભરી માણસ મોકલ્યો.

બુટલેગરોની ટોળકીએ ડાહ્યા થઈ બાજુના ગામથી પણ દારૂ મંગાવી લીધો. ૩૫ જણાની પોલીસની ફોજ આવી અને દરોડો પાડ્યો. ૧૭ જેટલા બુટલેગર અને બીજા ખરીદનારોને પોલીસે ઝડપી પાડ્યા અને માલ અને રોકડ કિમત જમા કરી લીધી. આ રીતે ગામમાં થતો દારૂનો ગોરખધંધો બંધ થયો અને ઘરેલુ અત્યાચારના કિસ્સા ઓછા થયા.

ધારોડીથી આગળ કેનાલનુ કામ ચાલતુ હતું, મનુએ તાલુકા પંચાયતમાં વાત કરી તેમના ગામ સુધી ખેતરોમાં પાણી આવે એની વ્યવસ્થા કરાવી આપી, જેના કારણે ખેડૂતોના માથેથી બહુ મોટો બોજ હળવો થઈ ગયો. ચાર વર્ષ આમ નીકળી ગયા. તેની હવેલી તૈયાર થઈ ગઈ હતી. ત્યાં પુજા કરાવી ગૃહ પ્રવેશ કર્યો. એ પછી પણ મનુ પાસે પૈસાની બહુ મોટી રકમ બચી હતી. તેના ભાઇનુ ભણતર પણ પૂરું થઈ ગયુ હતું. તે છાત્રાલયથી પાછો તેના ઘરે રહેવા આવી ગયો. મનુએ એ સમયમાં ખેતીલાયક જમીન ખરીદી હતી. જેમાંથી થોડી જમીન પર તેનો ભાઈ ખેતી કરતો અને બીજી જમીન ભાડે આપી દીધી.

પાંચ વર્ષ બાદ ફરીથી મનુ સરપંચ તરીકે ચૂંટાઈ. ગામમાંથી આ વખતે બીજા કોઈએ ઉમેદવારી નોંધાવી ન હતી માટે તે ફરી સરપંચ બની. મનુને ગામમાં ચોથા ધોરણથી આગળ નિશાળ શરૂ કરાવી હતી. તે માટે તાલુકામાં, અમદાવાદ, ગાંધીનગર બધે ધક્કા ખાતી થઈ ગઈ. બે વર્ષના અંતે તેને સરકાર પાસેથી નિશાળ બનાવા માટે અનુદાન મળ્યુ અને બીજા બે વર્ષમાં નિશાળ તૈયાર પણ થઈ ગઈ. ગામના બાળકોનું બાજુના ગામ ભણવા માટે જવાનુ બંધ થયુ. મનુએ ગામની દરેક બાળકીઓને ફરજિયાત નિશાળમાં દાખલો અપાવ્યો અને ખેતરમાં કરવી પડતી કાળી મજૂરીથી છુટકારો અપાવ્યો. નિશાળમાં ની:શુલ્ક મધ્યાહન ભોજન મળતું એનાથી શ્રમજીવી વાલીઓને એક પ્રકારની નિરાંત થઈ ગઈ. પહેલા જ્યારે પતિ-પત્ની મજૂરી કરવા જાય ત્યારે બાળકોને સાથે લઈ જવા પડતાં, આખો દિવસ બાળકોનું ધ્યાન રાખવું પડતું અને એમના માટે જમવાનું પણ બનાવવું પડતું. હવે બાળકો નિશાળ જતાં. જેનાથી સાચવવાની અને જમવાની નિરાંત થઈ. બીજા પાંચ વર્ષ આ રીતે પસાર થયા.

*


એના પછી તે ફરીથી સરપંચ તરીકે ચૂંટાઈ. સાલ ચાલતી હતી ૧૯૪૨. મહાત્મા ગાંધી બાપુએ વિદેશી કપડાંની હોળી કરી સ્વદેશી કપડાં બનાવાનુ અભિયાન ખેડયુ હતું. એને સમર્થન આપવા મનુએ ૭૦,૦૦૦ના ખર્ચે ગામમાં સુતરાવ કાપડની મિલ નાખી. જેમાં એમના ગામની અને આજુબાજુના ગામની ૩૦૦ સ્ત્રીઓને રોજગાર મળતો શરૂ થયો. આ જ સમયગાળામાં મનુએ ગામની દીકરિયુને સીવણકામ શીખવવા વર્ગો ચાલુ કર્યા. મિલમાં શહેરથી કાપડનો વેપાર કરતી સ્ત્રીઓ વ્યવસાય હેતુ આવતી થઈ. જે સીવણકામમાં માર્ગદર્શન અને તાલીમ આપતી. મિલમાં ‘ઘડપણની લાકડી, મારી લાડકી’ નામનું ડોનેશન બોક્સ મૂકવામાં આવ્યું. આ બોક્સમાં સ્ત્રીઓના વેતનમાંથી એક નાની રકમ અહી મૂકવામાં આવતી. જેમાં કન્યાઓને આગળ ભણવા કે અન્ય કોઈ સહાય જોઈતી હોય તે માટે ભંડોળ ભેગું કરવામાં આવતું. 

*


૧૯૪૭માં દેશ આઝાદ થયો, સાથે મનુ ફરીથી સરપંચ બની અને તેણે સ્ત્રી-સશક્તિકરણનુ અભિયાન ચલાવ્યુ. દરેક કન્યાને મેટ્રિક પછી આગળ ભણવા માટે શહેરમાં મહાવિદ્યાલયમાં દાખલો અપાવ્યો. ‘ઘડપણની લાકડી, મારી લાડકી’માં જે ભંડોળ ભેગું થતું હતું એમાંથી સેમેસ્ટર ફી, હોસ્ટેલ ખર્ચ અને મહિનાના ૨૦૦રૂ. જેટલો ખર્ચ કન્યાઓને મળતો. તેમ છતાં ઘણી મોટી રકમ ભંડોળમાં જમા થયેલી રહેતી. મનુએ ત્યારબાદ ગામના છોકરાઓ જેમને આગળ ભણવું હોય અને પૈસે ટકે સક્ષમ ન હોય એમને પણ ભંડોળમાંથી સહાય આપવાની શરૂ કરી. મનુની હવેલી પાછળ જે વાડો હતો ત્યાં ગામમાં ૧૨ વર્ષથી મોટી કન્યાઓને આત્મરક્ષણની તાલીમ અને સ્વ-બચાવના આક્રમણ અંગેની તાલીમ આપવામાં આવતી. એના માટે શહેરથી બે પ્રશિક્ષિકા આવતી, જે તાલીમ આપતી. મનુનાં ઘરમાં સતત ભીડ રહેતી. સવારથી બપોર સુધી ગામના કામો અને તાલુકાનાં માણસો આવતા, મિલના કામ માટે માણસો આવતા, આત્મરક્ષણની તાલીમ લેવા આવતી કન્યાઓ તેને મળીને જ જતી, મનુ સાથે વાત કરતી, સાંજે ફળિયાની છોકરીઓ લેશન કરવા તેના ત્યાં આવતી, આંગણામાં રમતી. મનુ કન્યાઓ સાથે બેસી વાતો કરતી અને એમની દિનચર્યાનો અહેવાલ જાણતી. જાનકી પણ આ બધામાં તેની સાથોસાથ રહેતી. આખો દિવસ આ બધામાં પસાર થતો.

તે ક્યારેક કન્યાઓ સાથે બે-બે હાથ લડાવતી તો ક્યારેક નાની બાળકીઓ સાથે આંગણામાં રમતી. ઘરે આવતી બાળકીઓએ મનુને લખતા-વાંચતાં શીખવાડયું. એમાં પણ એને ખાસો સમય લાગ્યો પણ કન્યાઓ ધીરજથી કામ લઈ તેને શીખવાડતી. મનુ સ્ત્રીઓને માનસિક મૂંઝવણોનો ઉકેલ લાવી આપતી. માટે તરુણાવસ્થામાં પ્રવેશતી કન્યાઓ ખુલ્લા મનથી તેને બધુ પૂછતી. મનુને પણ તેમની સાથે બેસવું, વાતો કરવું ગમતું.

એક દિવસ મિલમાં અચાનક છાતીમાં તેને ભયંકર દુખાવો ઉપડયો. ભાન ગુમાવતાં તે નીચે ઢળી પડી. તેને તાત્કાલિક દવાખાને લઈ જવામાં આવી. તબીબોને ખાસ કઈ ધ્યાનમાં ન આવ્યું. બ્લડ પ્રેશર ઓછું થવાના કારણે આવું થયું છે. એમ જણાવી દવા આપી રજા આપી. ત્રણ વર્ષ બાદ ફરી એવો જ દુખાવો ઉપડયો. આ વખતે શહેરના મોટા અસ્પતાલમાં લઈ જવામાં આવી. ત્યાં તપાસમાં તબીબોને જાણવા મળ્યું કે તેને છાતીમાં કેન્સર છે. આ સમાચારથી ગામમાં ખળભળાટ મચી ગયો. ગામની અને મિલમાંથી સ્ત્રીઓ છકડા ભરી ભરી તેની ખબર કાઢવા શહેર આવી. જાનકી સાથે ગામની ઘણી કન્યાઓ તેની કાળજી લેતી. સતત ૧૫દિવસ જાનકી અથવા બીજી સ્ત્રીઓ હોસ્પિટલ પર ૨૪કલાક તેની સાથે રહેતી. ૧૫દિવસ તેને અસ્પતાલ રાખવામા આવી પણ જે ભાગ્યમાં લખ્યું હતું એ થઈ ને જ રહ્યું.

મનુએ ગામમાંથી થઈ શકે એટલા દૂષણો દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા. તે હરહમેશ દરેક સ્ત્રી અને દીકરીને મદદ કરવા તત્પર રહેતી. ગામની સ્ત્રીઓ માટે હંમેશા તેના ઘરના દરવાજા ખુલ્લા રહેતા. ગામમાં સ્ત્રીઓ પ્રતિનિધિત્વ કેળવતી થઈ. ગામમાં મહિલાઓનો સાક્ષરતા દર વધ્યો હતો. જેની નોંધ મેયર સાહેબે લીધી અને આજુબાજુના ગામના સરપંચોને મનુ પાસેથી શીખવા કહ્યું હતું. ગામની સ્ત્રીઓ ધંધા-રોજગારમાં આગેવાની લેતી થઈ. રૂઢીબધ્ધ માન્યતા અને દેખીતી અસમાનતામાંથી બ્હાર આવી સ્ત્રીઓ છૂટથી હરતી ફરતી થઈ અને જે-તે ક્ષેત્રમાં તેઓએ કરિયર બનાવ્યું. સામાજિક ગેરમાન્યતા અને સ્ત્રીઓ પ્રત્યેના દૂષણો દૂર થઈ ગયા હતા. સતિશની દીકરી અંજુને પોલીસ અફસર બનવુ હતું એના માટે મનુએ એને દરેક જાતની મદદ કરી. ઘણી દીકરીઓના મનુએ કન્યાદાન પણ કર્યા. 

તેણે એ ગામના લોકોને સંદેશ આપ્યો હતો, તમારી જ્ઞાતિ કે જાતિથી તમારી મહાનતા નક્કી નથી થતી. જ્યાં પુરુષાર્થ છે ત્યાં મનુષ્ય એક જ દિશામાં જઈ શકે છે અને એ છે સફળતા. હું ભલે જે જ્ઞાતિમાં જન્મી, ભલે હું મરી ત્યાં સુધી કહેવાતા કેટલાક સવર્ણો આટલા વર્ષમાં એકવાર પણ સરપંચ માની મારા ઉંબરે આવ્યા નહીં. પણ મેં આ ગામની સ્ત્રીઓને સશક્ત બનાવી છે, આત્મનિર્ભર બનાવી છે. તેમને રોજગાર મેળવતી કરી છે. એમાં સવર્ણ કન્યાઓ પણ બાકાત રહી નથી. મારી મિલમાં, મારી નિશાળમાં તે લોકોએ શિક્ષણ અને વેતન મેળવ્યું છે. એ વસ્તુનો મને આનંદ છે કે ભણવા અથવા રોજગારની જગ્યાએ તે લોકો જ્ઞાતિવાદ ન લાવ્યા. મારી જ્ઞાતિ શરીરની ખોડખાપણ જેમ મારા ચરિત્ર સાથે બંધાઈ ગઈ. ભલે હું તેને મારાથી અલગ ન કરી શકી પણ તેની સામે લડવાનો મે પ્રયન્ત કર્યો છે, ‘ને એમાં હું સફળ પણ થઈ છું.

આ ગામે કે આખા બરોડા જીલ્લામાં કોઈએ કલ્પ્યું નહીં હોય કે એક સ્ત્રી ગામની સરપંચ બની શકે. શાસન કરી શકે. પણ તે બધી ભ્રમણાઓ/ ગેરમાન્યતાની સાંકળો તોડી મેં પુરવાર કર્યું છે કે મારી જાતિથી મારા કામોની સીમા નક્કી ન થઈ શકે. શાસન કોઈપણ કરી શકે છે, એમાં કોઈ જાતિ કે જ્ઞાતિની સીમા નથી. સવર્ણોએ ભલે મને સ્વીકારી નહીં પણ તેમની સ્ત્રીઓને મારી મિલમાં મોકલી, તેમની દીકરીઓને મારી નિશાળમાં ભણવા મોકલી પુરવાર કર્યું કે હું અનુચિત નથી. મારા કારણે તેમની દીકરીઓ આગળ ભણતી થઈ, તેમની સ્ત્રીઓ નોકરી કરવાનું સ્વાતંત્ર મેળવતી થઈ એનો મને રાજીપો છે. પોતાના પરિવાર માટે રળતી દરેક સ્ત્રીઓ અને પોતાના માટે ભણતી દરેક કન્યાઓ પર મને ગર્વ છે.

*


તા.૨૯/૦૭/૧૯૫૧,
મનરાગિનીએ અંત સુધી ગામની સ્ત્રીઓને સધ્ધર અને આત્મ-નિર્ભર બનાવા પ્રયત્ન કર્યા. એક વર્ષ બાદ એ કારમી બીમારીના કારણે તે નશ્વર રીતે આ જગતમાંથી દૂર થઈ. તેણે ગામની સ્ત્રીઓ માટે જેટલું કર્યુ, એટલુ કદાચ સરકાર કે કોઈ રાજાધિરાજે પણ નહી કર્યું હોય. માટે જ તેને એક સ્ત્રી તરીકે સંબોધવી ગામ લોકોને યોગ્ય ન લાગ્યું. કોઈ મહાપુરુષની જેમ એના નામના રસ્તા બનાવી કે પૂતળા બનાવી એક વ્યક્તિની પ્રતિભામાં તેને ઢાંકી શકાય એમ ન હતી. માટે જ્યારે મનરાગિનીએ દેહરૂપી વિદાય લીધી, એ પછી નિરાધાર બનેલુ ગામ રાધા બા પાસે ગયુ અને પુછ્યુ કેવી રીતે મનરાગિની નાથપૂજકને આપણી સાથે રાખી શકાય. રાધા બાએ જવાબ આપ્યો. એક દેવી તરીકે... તેણે મા સરસ્વતી જેમ શિક્ષણ પૂરું પાડ્યું, મા લક્ષ્મી જેમ ધન મેળવવાની સવલતો આપી, દુર્ગાની જેમ દૈત્યોનો નાશ કરવા આત્મ રક્ષણની પ્રયુક્તિઓ આપી. જેમ ઈશ્વર કદી કોઈ મનુષ્યમાં જાતિગત કે જ્ઞાતિના ભેદ નથી જોતાં એમ મનરાગિનીએ પણ ક્યારેય કોઈના માટે એવા ભેદ નથી રાખ્યા, સૌનો તેણે સ્વીકાર કર્યો ભલે કેટલાકે ન કર્યો. જો ઈશ્વરમાં પણ લોકો નાસ્તિકતાનો ભાવ ધરાવતા હોય તો આ તો મનુષ્ય હતી, પણ કોઈ દેવી કરતાં ઓછી નહીં. માટે મને લાગે છે આપણે તેને યાદ રાખવી જોઈએ એક દેવી તરીકે...

રાધા બાની વાત સૌને યોગ્ય લાગી. ગામ આખાએ ગામના પ્રવેશ પાસે મંદિર બનાવ્યુ. તેમાં મનરાગિનીની પ્રતિમા મુકાવી. મંદિર પર નામ લખવાનો વારો આવ્યો ત્યારે બધા ગૂંચવાયા કે નામ શુ આપવુ. અંજુએ ગામની બે-ત્રણ છોકરીઓને રાધા બાને બોલાવા મોકલી. એટલામાં સામેથી રાધા બા ચાલતા આવ્યા પગથિયાં ઉતરી અંજુ અને બીજી ચાર-પાંચ કન્યાઓ રાધા બા પાસે આવી અને પુછ્યુ કે બા મંદિર પર શુ નામ લખાવવુ છે. રાધા મંદિરની ધજા પર લખેલા 'મ'ને જોઈ રહ્યા. બે ઘડી એ તરફ જોઈ રહી તેમણે જવાબ આપ્યો: "મનોરમા દેવી..."

સમાપ્ત
-કીર્તિદેવ


Comments